Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના બે દર્દી સાજા થતાં રજાઃ પાંચ નવા દર્દી સામે આવ્યા

સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ગોંડલ, વિછીયા, ઉપલેટા, અમરેલી, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, ગીર સોમનાથના કુલ ૩૦ દર્દી સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં તા. ૧-૯-૧૮ થી ૯-૧૦-૧૮ સુધીમાં સ્વાઇન ફલૂના કુલ ૯૦ કેસ સામે આવી ચુકયા છે. જેમાંથી ૧૯નો ભોગ લેવાયો છે અને આજના દિવસે ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલમાં બે દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. તે સાથે આજે આઠ દર્દી સારવારમાં છે. બીજી તરફ ગઇકાલે પાંચ નવા દર્દી જાહેર થયા છે.

આરોગ્ય તંત્રના અહેવાલ મુજબ જે ૧૯ મૃત્યુ થયા છે તેમાં ૩ દર્દી રાજકોટ ગ્રામ્ય પંથકના, ચાર દર્દી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા અને ૧૨ દર્દી અન્ય જીલ્લાના સામેલ છે. આજે સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ગોંડલ, વિછીયા, ઉપલેટા, અમરેલી, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, ગીર સોમનાથના દર્દીઓનો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં બે દર્દી સાજા થતાં રજા અપાઇ છે. આજે આઠ દર્દી છે તેના રિપોર્ટ પોઝિટીવ છે. ગઇકાલે તા. ૧૦ના નવા પાંચ દર્દીના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે તેમાં રાજકોટની ૨૭ વર્ષિય મહિલા, ૭૨ વર્ષિય વૃધ્ધા, રાણાવાવની ૨૫ વર્ષની મહિલા, તથા ૧૦ વર્ષની બાળા  અને કેશોદના ૫૫ વર્ષના પ્રોૈઢનો સમાવેશ થાય છે. જેમાંથી એક મહિલા સિવિલ હોસ્પિટલમાં અને બાકીના ચાર દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. (૧૪.૬)

(11:52 am IST)