Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જીવનમાં સંયમ મળો, અનશન મળો,અંતે સંથારો મળોઃ પૂ.નમ્રમુનિ મ. સા.

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પરમપૂજય ગુરૂવર્યોની સ્તુતિ,આરાધના ભકિત સાથે ગુરુદેવોનો મહિમા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રીનમ્રમુનિ મ. સા.ના સાનિધ્યમાં વર્ણવાયો

   રાજકોટઃ તા.૧૧,પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે પુણ્ય આત્મા એવા તમામ પૂજયગુરુદેવો દિવ્યત્માઓના જયજયકાર સાથે મંગલ પ્રારંભ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની  નિશ્રામાં પરમ પૂ. ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ વ્યકત કરવાની ધર્મયાત્રાનો શુભારંભ થયો હતો. આજના સંઘપતિ તરીકે પ્રભુદાસભાઈ પારેખ(શિલ્પા જવેલર્સ) પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે આજની ધર્મસભાનો ધર્મલાભ લીધો હતો. ગુજરાતરત્ન પૂજય ગુરુદેવ શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબે અને તપ સાધનાના મહાત્મ્યને સમજાવીને ભાવિકોને તપ આરાધના કરવાનો બોધ આપીને આજની ધર્મસભાનો શુભારંભ કરાવ્યો હતો.

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે પૂ.ગુરુદેવે જીવનમાં ગુરુના મહત્વનું  મહાત્મ્ય સમજાવતાં ફરમાવ્યું હતું કે,ધર્મ સમાન રસ્તાની મોક્ષરૂપી મંઝિલ માટે ગુરુરૂપી સાઈનબોર્ડની જરૂર પડે છે. ગુરુવંદના કરતાં કરતાં ગોંડલ સંપ્રદાયના સંસ્થાપક એકવતારી, પ્રાતઃસ્મરણીય, નિદ્રા વિજેતા ગચ્છાધિપતિ પૂજય શ્રી ડુંગરસિંહજી સ્વામીની ભકિત આરાધના સકળ સંઘે કરી હતી. સાચા શિષ્યને પોતાના ગુરુદેવ મળે છે ત્યારે તરત જ ફ્રિકવન્સી મેચ થઈ જાય છે. એમ જેની લાઈફમાં ગુરુનો યોગ થાય છે તે અયોગી બની જાય છે. તપસ્વી જય માણેક ગુરુદેવો કે જેમણે જીવનભર પાણીનો ત્યાગ કરેલો,છાશની પરાશમાં લાકડાના છોલ પલાળીને ગોચરી વપરતા.

કાલે ભાવિકો દ્વારા આપવામાં આવેલાં મીઠાઈનું બોકસ ખોલીને ખાતાં ૨૦,૦૦૦ ગરીબોએ જે ખુશી,આનંદ અને પ્રેમ સાથે પ્રભુ મહાવીરના જન્મને ઉજવ્યો હતો.તે જોઈને પૂ.ગુરુદેવે રાજકોટના ભાવિકોની ખૂબ અનુમોદના કરી હતી.

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઇનર કલીનીંગ કોર્સમાં ગઈકાલે આત્મશુદ્ઘિ, કોર્ષ પૂરો થયા પછીના છ દિવસીય શેડ્યુઅલ આપ્યા બાદ આજરોજ તમામ શિબિરાર્થીઓને પૂ.ગુરુદેવની નિશ્રામાં ડુંગર દરબારમાં  રચાયેલ સમવશરણમાં આજથી ૨૫૦૦ વર્ષ પહેલાના પ્રભુ મહાવીરના સમવશરણની અનુભૂતિ કરાવવામાં આવી હતી. સમવશરણના પ્રવેશ પહેલાં દરેક ભાવિકે પોતાની જાતને પ્રભુના દરબારમાં પ્રવેશ માટે અણિયાળા પથ્થરોની પગદંડી પર ચાલીને લાયક તેમજ પાવન બનાવી હતી.પૂ.ગુરુદેવના સાનિધ્યમાં પ્રભુના સમવશરણનું અદભુત દ્રશ્ય સર્જાયું હતું. જયાં ગાઢું મિથ્યાત્વ રચાય છે, ત્યાં દેવો સમવશરણની રચના કરે છે ત્યારે આત્મા સમવશરણના પગથિયાં ચઢતાં ચઢતાં ભવયાત્રામાં આત્મકલ્યાણની યાત્રામાં શીઘ્રતાથી આગળ વધી જાય છે. આજના દિવસે આત્મામાંથી ઇર્ષ્યાતત્વને વિદાય આપવાનો ભાવ અરિહંતોની અશાતનામાંથી મુકત થવાનો ભાવ સમ્યક ધ્યાન દ્વારા પૂ.ગુરુદેવે કરાવ્યો હતો.

સમવશરણના પગથિયાં ચઢતાં હળુંકર્મી આત્માઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી,પ્રભુને પ્રાર્થના કરતાં કહેતાં હતાં કે, આવતાં ભવમાં ઝૂંપડામાં જન્મ મળજો પણ પ્રભુ તમારું શરણ મળજો. પ્રભુ તારા જેવું જ્ઞાન, કરુણા,પવિત્રતા ભવોભવ મળજો. પ્રભુ શરણ માટેનું સિક્રેટ આપતાં પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું કે, અઠ્ઠી મીંજ્જ પેમાણું રાગ રત્ત્।ા જેની આંખમાં ભીનાશ હોય તેને આવતા ભવમાં પ્રભુનું સમવશરણ મળે જ છે. કોઈ આત્માને આત્મકલ્યાણના માર્ગનું દર્શન થાય ત્યારે આત્માના રોમરોમમાં એકાત્મભાવની જાગૃતિ થવા લાગે છે. મિથ્યા અસ્તિત્વને ખૂબ અસરકારક તરીકે શૂન્ય કરવા માટે પૂ.ગુરુદેવે આજે દસ રૂપિયા ન મળે ત્યાં સુધી દરેકને ભીખ માંગવા જણાવ્યું હતું. અને ભીખ મળ્યા પછી પરત આપીને ગુરુઆજ્ઞા હોવાની જાણ કરવા તેમજ સળગ છ કલાક સુધી મોબાઈલ ન વાપરવાની આજ્ઞા કરી હતી.

આજનાં અવસરે ગીજુભાઈ ભરાડ,  કાંતિભાઈ કપાસી,   સી.પી.દલાલનું રાષ્ટ્રસંત પૂજયશ્રીનાં વરદ હસ્તે રાજકોટ રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશેષમાં, સરગમ કલબનાં  ગુણુભાઈ ડેલાવાલા અને બોલબાલા ટ્રસ્ટનાં જયેશભાઈ ઉપાધ્યાયને રાષ્ટ્રસંત પૂજયશ્રી દ્વારા શ્રીયંત્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.  

(3:55 pm IST)