Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નાટક 'હું આત્મકથા છું' પ્રયોગનો ૧૬મીએ રાજકોટમાં શો

જામનગર અને રાજકોટ બન્નેના દર્શકો ઓવારી ગયાઃ શબ્દ, સંગીત, અભિનય, પ્રકાશ, ધ્વનિ, દ્રષ્યનો અદભૂત સમન્વયઃ ગુજરાતના પાંચ મહાન વ્યકિતત્વની આત્મકથાના અંશનું અનેરૃં મંચનઃ સરગમ કલબનું આયોજન : ૧૬ ઓગસ્ટે યોજાશે ત્રીજો પ્રયોગઃ પ્રવેશ નિઃશુલ્ક પણ વહેલો તે પહેલોના ધોરણેઃ ચાર સ્થળે પાસનું વિતરણ : નવાં પાત્ર, નવા પ્રસંગઃ એટલે જેમણે જોયું એમને પણ ફરી જોવાની મજા આવશે, નથી જોયું એમના માટે તો અવસર છે જ

રાજકોટ તા.૧૧ : રાજકોટના કલાકાર- કસબીઓ દ્વારા તૈયાર થયેલા નાટ્યરૂપ પ્રયોગ હું આત્મકથા છુંનો પ્રથમ શો ૭મી જુલાઇએ રાજકોટમાં યોજાયા બાદ ટૂંકા ગાળામાં જામનગરમાં પણ એ પ્રયોગને સુંદર સફળતા મળી હતી અને હવે ફરી રાજકોટમાં તા. ૧૬મી ઓગસ્ટ ગુરુવારે આ શો યોજાશે. આ ત્રીજા શો માટે સરગમ કલબનો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ માટે પ્રવેશપત્રનું વિતરણ શનિવાર સાંજથી શરુ થશે. નિમંત્રિતો ઉપરાંત ભાવકો, ભાષાપ્રેમીઓ પણ એ માણી શકશે.

૭મી જુલાઇએ આ પ્રયોગ હેમુ ગઢવી મિનિ હોલમાં થયો ત્યારે ૨૫૦ દર્શકોની ક્ષમતા વાળા એ હોલમાં લગભગ ૪૨૫ લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. તો ૧૫૦થી વધારે દર્શકોએ પર જવું પડ્યું હતું. એ પછી સોસિયલ મીડિયામાં સતત ચર્ચા થતી હતી. રાજકોટના વર્તમાનપત્રોએ પણ આ શોના પ્રચાર-પ્રસાર માટે સુંદર સહયોગ આપ્યો છે. ગુજરાતના સાક્ષર નરોત્ત્।મ પલાણ, કલામર્મજ્ઞ અને અર્થશાસ્ત્રી ડો.કે.કે.ખખ્ખર પણ એને વખાણી ચૂકયા છે. સૌરાષ્ટ્રના કલાજગતે આ પ્રયોગની સુંદર નોંધ લીધી છે ત્યારે દર્શકોની સતત માંગણીને ધ્યાને રાખીને ત્રીજો પ્રયોગ ૧૬ ઓગસ્ટે યોજાશે. કોઇ સંસ્થા કોઇ બેનર વગર કલાકારોએ પોતે જ આ પ્રયોગ કર્યો છે અને પ્રથમ વખત તો મંચન પણ એમ જ કર્યું હતું. એ દિવસે દર્શકોનો મિજાજ જોઇને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પોતાની સંસ્થા આ આયોજન કરશે એવું કહ્યું હતું.

૧૬ ઓગસ્ટે યોજાનારા આ શોમાં પણ નર્મદ, મણિલાલ નભુભાઇ દ્વીવેદી, ક.મા. મુનશી, ગાંધીજી અને ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશનું મંચન કરાશે. દરેક પાત્રને અનુરૂપ સંગીત, ઓડિયો- વિઝયુઅલ ઇફેકટ, એલઇડી સ્ક્રીન પર વિવિધ દ્રષ્યો, પ્રકાશ આયોજનથી આ આખી કૃતિ માણવા લાયક બની છે. પ્રથમ પ્રયોગની સરખામણીમાં આ શોમાં કસ્તુરબાનું પાત્ર ઉપરાંત કેટલાક નવા પ્રસંગ ઉમેરાયા છે. હું આત્મકથાનું લેખન, પરિકલ્પન, સંકલન અને સંશોધન ચિત્રલેખાના પત્રકાર-લેખક જવલંત છાયા (મો.૯૯૦૯૯ ૨૮૩૮૭)નું છે.

દિગ્દર્શન જાણીતા કલાકાર રક્ષિત વસાવડાએ કર્યું છે. આત્મકથાના રુપમાં દર્શકોની દાદ કાનન છાયાએ મેળવી છે. ઉપરાંત રાજકોટના નિવડેલા કલાકાર હર્ષિત ઢેબર,હિતાર્થ ભટ્ટ,દેવર્શ ત્રિવેદી, ક્રિશ્ના પટેલ પણ અભિનય કરી રહ્યાં છે. મંચરચના કલાનિર્દેશક કૈયુર અંજારિયાએ કરી છે. પ્રકાશ,ધ્વનિ સંચાલન ચેતન ટાંક, ચેતસ ઓઝા અને બિરદ છાયા સંભાળશે. નેપથ્ય અને નિર્માણ સંચાલનમાં જલ્પા છાયા સહાય કરી રહ્યા છે. આ ત્રીજા શોને ટી પોસ્ટનો સહયોગ પણ સાંપડ્યો છે. પ્રચાર-પ્રસારની વ્યવસ્થા સેવન સેન્સ કન્સેપ્ટ્સ સંભાળી રહ્યું છે.  કાર્યક્રમ માણવા માટે રાજકોટના ભાષાપ્રેમી ભાવકોને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઇ પટેલે નિમંત્રણ આપ્યું છે.(૩૭.૧૧)

પાસ કયાંથી મેળવશો

(૧) હેમુ ગઢવી હોલ, ટિકિટ બારી( સવારે ૧૦ થી ૧, બપોરે ૪ થી ૭) (૨) ટી પોસ્ટ- લીમડા ચોક પાસે,ડો. પી.આર. શાહના દવાખાના સામે (૩) ટી પોસ્ટ- રેસકોર્સ રોડ,ક્રિસેન્ટ બિલ્ડીંગ,એ.જી.ઓફિસની બાજુમાં (૪) ટી પોસ્ટ-દેશીકાફે-કાલાવડ રોડ, મોટેલ ધ વિલેજની બાજુમાં

(4:09 pm IST)