Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

બકરી ઈદ માટે દુબઈ નિકાસ થતા 2 લાખ ઘેટા-બકરા કચ્છમાં અટવાયા

મંજૂરી રદ થતા નિકાસ અટકી જતા ચાર જહાજ પાંચ દિવસથી પોર્ટ પર અટવાયા

 

રાજકોટ: ટુના પોર્ટથી 10,000 જેટલા ઘેટા-બકરાની નિકાસ અટકાવવા મામલે રાજ્ય સરકાર અને કચ્છના પશુધન વેપારીઓ વચ્ચે થતી વાટાઘાટો બાદ કેંદ્રીય શિપિંગ મંત્રાલયે એક્સપોર્ટ જહાજને 3 ઓગસ્ટે આપેલી મંજૂરી રદ કરતા અટકી ગઈ છે. જો કે નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી કરાયો કે, MSV (મર્ચન્ડાઈઝ સેલિંગ વેસલ)ની મંજૂરી કયા કારણોસર રદ કરાઈ છે. પરંતુ આ 4 જહાજ છેલ્લા 5 દિવસથી ટુના પોર્ટ પર અટવાયા છે. 

   બીજીતરફ 2 લાખ ઘેટા-બકરાની નિકાસ અટકી જતા એક્સપોર્ટ્સની હાલત કફોડી બની છે. એક્સપોર્ટ્સને 22 ઓગસ્ટે આવતી બકરી ઈદ પહેલા ઘેટા-બકરા દુબઈ એક્સપોર્ટ કરવાના હતા. 5 ઓગસ્ટે જે શિપમેન્ટ અટકાવી દેવાયું તે દુબઈ મોકલાવાનો પ્રથમ જથ્થો હતો. સમુદ્રી સફર માટે જહાજ માલિકોએ ખાસ મંજૂરી માગી હતી, જેથી કરીને તે સમયસર માલ દુબઈ પહોંચાડી શકે. જો કે ખરાબ વાતાવરણને કારણે સામાન્ય રીતે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી સફર ખેડવાની મંજૂરી પર પ્રતિબંધ મૂકેલો હોય છે. 

    સલાયા સેલિંગ વેસલ ઓનર અસોસિએશનના પ્રમુખ અહમદ ભાયાએ જણાવ્યું કે, “3 ઓગસ્ટે શિપિંગ મંત્રાલય દ્વારા મુસાફરીની ખાસ પરવાનગી આપ્યા બાદ એક્સપોર્ટ્સને તેમના વિદેશના ખરીદદારો તરફથી ઘેટા-બકરાનું એડવાન્સ પેમેન્ટ મળી ગયું છે. રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ટુના પોર્ટ આવતા બીજા ઘેટા-બકરાને રસ્તામાં જ અટકાવી દેવાયા છે. આ ઘેટા-બકરા દુબઈ અને મસ્કતમાં એક્સપોર્ટ કરવાના હતા. આ સ્ટોકની ડિલિવરી લેવા માટે યમન અને ઓમાનથી પણ જહાજો દુબઈ પોર્ટ આવવા માટે રવાના થયા છે. 

    દર વર્ષે ટુના પોર્ટથી 40 મિલિયન ડોલર્સનું પશુધન એક્સપોર્ટ થાય છે. કચ્છ લાઈવસ્ટોક એક્સપોર્ટ્સ અસોસિએશનના સેક્રેટરી આદીમ નૂરે કહ્યું કે, “અમે નક્કી સમયે માલ નહીં પહોંચાડી શકીએ. જેના કારણે અમારા વિદેશના ગ્રાહકોનો વિશ્વાસ અમારા પરથી ઘટી જશે અને તેની અસર 40,000 પરિવારો પર પડશે. અમદાવાદમાં અમે એક મીટિંગ યોજવાના છીએ અને આગળ શું કરવું તે અંગે નિર્ણય કરીશું. 

    વિશ્વસનીય સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, વેપારીઓએ દુબઈના આયાતકારોને કહ્યું છે કે તેમની ડિપ્લોમેટિક ચેનલ દ્વારા ત્યાંની સરકારને વિનંતી કરે કે તે માલ એક્સપોર્ટ કરવા માટેની મંજૂરી આપવા ભારત સરકારને સમજાવે. વેપારીઓ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરે તેવી શક્યતા છે. લગભગ 40 જેટલા એક્સપોર્ટ્સ ઘેટા-બકરાને એક્સપોર્ટ કરવાના ધંધામાં સંકળાયેલા છે. પશુધન મેળવવા માટે UAEની પહેલી પસંદ ભારત છે. 

    અહમદ ભાયાએ કહ્યું કે, “UAEના દેશો ભારતીય પશુઓને વધારે પસંદ કરે છે કારણકે ભારતીય પશુઓ હાઈજેનિક છે. તેઓ પાકિસ્તાન કે ઈરાનમાંથી પશુઓ ખરીદવાનું પસંદ નથી કરતા. આ બાબતે આપણા માટે લાભદાયી છે પરંતુ સરકાર તે છબિ ખરાબ કરી રહી છે.જણાવી દઈએ કે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સિઝ અંતર્ગત કામ કરતા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિઝે દરિયાઈ સફર માટે વાતાવરણ સ્વચ્છ હોવાનો રિપોર્ટ આપ્યો હતો, જે બાદ જ શિપિંગ મિનિસ્ટ્રીએ મંજૂરી આપી હતી

(11:46 pm IST)