Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના જન્મ દિવસે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સુરતમાં પણ રકતદાન કેમ્પ : જામનગર અને ભાવનગરમાં વૃક્ષારોપણ કરાયુ : જામનગરમાં 'મા ખોડલ'નું મંદિર નિર્માણ કરવા જમીનનું દાન

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના ૫૬ મા જન્મ દિવસ નિમિતે આજે રાજકોટ શહેરના ત્રણ સ્થળે શ્રી સરદાર પટેલ ભવન, પટેલવાડી વાણીયાવાડી અને પટેલવાડી બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. હાલની મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રકતની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્દજયોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. મહામારીની આ પરિસ્થિતિમાં પણ રાજકોટ શહેર અને આસપાસના ગામડા અને તાલુકા વિસ્તારમાંથી રકતદાતાઓ પોતાનો માનવધર્મ સમજીને સ્વયંભૂ રકતદાન કરવા પહોંચ્યા હતા. કેમ્પના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતમાં પણ રકતદાન કેમ્પ યોજાયો હતો. જયારે જામનગર અને ભાવનગરમાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નરેશભાઇના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું હતું. રકતદાતાઓએ પોતાનું અમૂલ્ય રકતદાન કરીને રકતદાન એ જ મહાદાનના સંકલ્પને સાકાર કર્યો હતો. નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને જામનગરના બિલ્ડરોએ મોટું દાન અર્પણ કર્યું છે. જામનગરના બિલ્ડરોએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને જામનગર જિલ્લાનું ખોડલધામ સંકુલ બનાવવા માટેની જમીન મા ખોડલના ચરણોમાં અર્પણ કરવાનો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. જામનગરના શિવધારા-૫ ડેવલપર્સના બિલ્ડર શ્રી મુકેશભાઈ અભંગી, શ્રી જયેશભાઈ સંઘાણી અને શ્રી દિનેશભાઈ કપુરીયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માધ્મયથી સમાજ વિકાસના હિતમાં સંકલ્પ લઈને લાલપુર ચોકડી પાસે કુલ ૪૫,૦૦૦ ચોરસ ફૂટ જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને દાન કરેલ છે અને જામનગર જિલ્લા ખોડલધામ સંકુલમાં મા ખોડલનું પ્રતિક મંદિર, શૈક્ષણિક સંકુલ, જિલ્લા સમિતિ માટે કાર્યાલય, સંસ્થા માટે કોમ્યુનિટી હોલ, સંપૂર્ણ કમ્પાઉન્ડ વોલ અને તમામ ગાર્ડન ડેવલપિંગ કરી આપવાની જવાબદારી પણ ત્રણેય બિલ્ડરોએ પોતાના શિરે ઉપાડી લીધી છે. સાથે જ શ્રી મુકેશભાઈ અભંગી ૩૬૫ દિવસના શ્રી ખોડલધામ મંદિરમાં માતાજીના થાળના દાતા બન્યા છે. બિલ્ડરોના આ નિર્ણયને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટી મંડળે વધાવ્યો હતો.

(3:17 pm IST)