Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોરોના-બ્લેક ફંગસને હરાવી અનિરૂધ્ધસિંહ (રીબડા) સ્વસ્થ

અમદાવાદ સ્ટર્લીંગ અને રાજકોટની ઓલમ્પસમાં લાંબા સમયની સારવાર બાદ આંખ, જડબુ ઓપરેશનથી કાઢી નખાયાના અને એર એમ્બ્યુલન્સથી ચેન્નાઇ ટ્રાન્સફર કરાયાની અનેક અફવા વચ્ચે હવે બિલકુલ સ્વસ્થ : 'અકિલા' સાથેની વાતચીતમાં અનિરૂધ્ધસિંહે કહયું વડવાઓના પુણ્ય પ્રતાપે ગંભીર બિમારીમાંથી બચી શકયોઃ ૮૦ કિલો : વજનમાંથી ઘટીને ૬૪ કિલો થઇ ગયો પણ મનોબળ એટલું જ મજબુતઃ કોરોના નેગેટીવ આવ્યા બાદ દાંતમાં દુઃખાવો થતા : ડેન્ટીસ્ટની સલાહ મુજબ ફંગસને દુર કરવા પ થી ૭ દાંત કાઢી નખાયાઃ નાકની અંદર અને દાંતના ૩ થી ૪ ઓપરેશન કરાયા

રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અઢી મહિનાથી વધુ અમદાવાદની સ્ટર્લીંગ અને રાજકોટની ઓલમ્પસ હોસ્પીટલમાં કોરોના અને બ્લેક ફંગસની ગંભીર બિમારી સાથે ઝઝુમી હવે સ્વસ્થ બન્યા છે. તાજેતરમાં વેદાંત હોસ્પીટલના નિષ્ણાંત  ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો. અતુલ પટેલ તેમની રૂટીન ચકાસણી માટે રીબડા આવ્યા હતા. ત્યારની તસ્વીરમાં તેઓ ખુબ સ્વસ્થ અને પ્રસન્ન નજરે પડે છે.

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના ક્ષત્રીય અગ્રણી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) છેલ્લા અઢી મહિનાથી કોરોના અને ત્યાર બાદ મ્યુકર માયકોસીસ નામની ગંભીર બ્લેક ફંગસની બિમારી સામે ઝઝુમી રહયા હતા. તેમના સ્વાસ્થ્ય અંગે અનેક ઉલ્ટા-સુલ્ટી અફવાઓ બજારમાં ફેલાયા બાદ 'અકિલા' સાથે વિડીયો કોલીંગથી આપેલી મુલાકાતમાં તેઓએ સંપુર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. (ફોટોઃ જયદેવસિંહ જાડેજા)

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્ર-ગુજરાતના ક્ષત્રીય અગ્રણી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા)એ કોરોના અને બ્લેક ફંગસની ગંભીર બિમારીને પરાજય આપ્યો છે.  અઢી મહિનાથી વધુ સમય સતત અમદાવાદ અને રાજકોટની હોસ્પીટલમાં સારવાર લીધા બાદ છેલ્લા ૪-પ દિવસથી તેઓ બિલકુલ સ્વસ્થ બન્યા છે. આજે 'અકિલા' સાથેની વાતચીતમાં  તેમણે જણાવેલ કે, બ્લેક ફંગસ દુર કરવા નાકની અંદર અને દાંતના ૪-પ ઓપરેશન કરાયા બાદ વડવાઓના પુણ્ય પ્રતાપે આ ગંભીર બિમારીમાંથી બચી શકયો છું. વજન ઘણું ઘટી ગયું છે પરંતુ મનોબળ એટલું જ મજબુત છે.

અનિરૂધ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે મને ર૮-૩-ર૦ર૧ ના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર ચાલુ કરવામાં આવી હતી. ઓકસીજન લેવલ થોડા દિવસો પછી ઘટવા લાગતા પ્રથમ ઓકસીજન અને બાયપેપ બાદ  વેન્ટીલેટર ઉપર લેવામાં આવ્યો હતો. ફેફસાને નુકશાન થયા બાદ સતત ઇન્ફેકશન ઘટાડવા સારવાર ચાલી રહી હતી. દરમિયાન દિવસો પછી મને કોરોના નેગેટીવ આવ્યા બાદ ઓકસીજન લેવલ મેઇનટેઇન  થતા અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. પાછળથી મને દાંતમાં દુઃખવાની ફરીયાદ ઉભી થઇ'તી. અમુક  તબીબોએ તેનાથી ગભરાવાની જરૂર નથી તેવું જણાવ્યું હતું પરંતુ મારા ડેનટીસ્ટની સલાહ બાદ બ્લેક ફંગસ પ્રસરી રહયાનું નિદાન થયું હતું. દાંત ઉપરાંત નાકના હાડકા અને પાછળના ભાગે ૪-પ ઓપરેશનો અને ઇન્જેકશનના લાંબા કોર્ષ બાદ હવે હું  એકદમ સ્વસ્થ બન્યો છું. મહામારી દરમિયાન મને અને મારા પરિવારને દરેક રીતે સપોર્ટ આપના સૌનો આભાર માનુ છું. આ ગંભીર બિમારીથી બચવા સૌને સરકાર અને ડોકટરની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક અને હાથ-મ્હોંને સતત સ્વચ્છ રાખવાની સલાહ આપું છું.  મારા પૂ. પિતાશ્રી મહિપતસિંહજી જાડેજાએ પણ મોટી ઉંમરે કોરોનાને મ્હાત આપ્યો હતો. તેઓ સ્વસ્થ થયા બાદ હું બિમારીમાં સપડાયો હતો અને તબીબોની સારવાર અને વડવાઓના પુણ્ય પ્રતાપે સ્વસ્થ બની બહાર આવ્યો છું.

(3:14 pm IST)