Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સહકાર રોડ ક્રિષ્નજી સોસાયટીમાં કીડનીની બીમારીથી કંટાળી રસીકભાઇ પરમારનો આપઘાત

યુવાને ગળાફાંસો ખાઇ લીધો : પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧ : સહકાર મેઇન રોડ પર ક્રિષ્નજી સોસાયટીમાં રહેતા યુવાને કીડનીની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સહકાર મેઇન રોડ પર આવેલી ક્રિષ્નજી સોસાયટી શેરી નં. ૪માં રહેતા રસીકભાઇ વેલજીભાઇ પરમાર (ઉ.૪૬) એ ઘરમાં ઉપરના રૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. નાના ભાઇ બોલાવવા માટે ઉપરના રૂમમાં જઇ દરવાજો ખોલીને જોતા રસીકભાઇ લટકતી હાલતમાં જોવા મળતા તેણે દેકારો બોલાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને રસીકભાઇને નીચે ઉતારી ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી મયુરભાઇએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ મદ્રેસા અને રાઇટર મયુરભાઇ ઠાકરે તપાસ હાથ ધરી હતી. મૃતક રસીકભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતા તે અપરણીત હતા તે ઘણા સમયથી બીમાર રહેતા હોઇ તેથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

(3:08 pm IST)