Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

નવરંગપરામાં પટેલ કારખાનેદાર ચેતનભાઈ કમાણીની ધંધામાં મંદીના કારણે આત્મહત્યા

આંગન રેસીડેન્સીમાં રહેતા પટેલ કારખાનેદારે કારખાનામાં ગળાફાંસો ખાઈ લીધોઃ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા. ૧૧ :. લક્ષ્મીનગર મેઈન રોડ પર નવરંગપરામાં વિશ્વાસ ફેબ્રીકેશન નામના કારખાનામાં પટેલ કારખાનેદારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ધંધામાં મંદીના કારણે પટેલ કારખાનેદારે પગલુ ભર્યાનું જાણવા મળ્યુ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર પુનીતના ટાંકા પાસે આંગન રેસીડેન્સીમાં રહેતા ચેતનભાઈ પરસોતમભાઈ કમાણી (ઉ.વ. ૩૮) એ ગઈકાલે લક્ષ્મીનગર મેઈન રોડ નવરંગપરા શેરી નં. ૨ માં આવેલા પોતાના વિશ્વાસ ફેબ્રીકેશન નામના કારખાનામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતા ૧૦૮ના ઈએમટી નરેશભાઈ સાગઠીયાએ જોઈ તપાસી તેનું મોત નિપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. બાદ જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ ગૌતમભાઈ પરમાર તથા રાઈટર મનોજભાઈએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ચેતનભાઈ કમાણી બે ભાઈમાં નાના હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. છેલ્લા ઘણા સમયથી કારખાનામાં મંદીના કારણે દેણુ થઈ જતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું તેના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યુ હતું. આ બનાવમાં પટેલ યુવાને કરેલા આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)