Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભગવતીપરા અને આજી વસાહતની બે મુસ્લિમ સગીરાના અપહરણ થયા

એકને અમદાવાદનો ફિરોઝ અને બીજીને દૂધની ડેરી પાસેનો મોહીન ભગાડી ગયાની બી-ડિવીઝન તથા થોરાળા પોલીસ મથકમાં એફઆઇઆર દાખલ થઇ

રાજકોટ તા. ૧૧: ભગવતીપરામાં રહેતી ૧૭ વર્ષની સગીરાને મુળ અમદાવાદનો મુસ્લિમ શખ્સ ભગાડી જતાં બી-ડિવીઝનમાં અને આજી વસાહત પાસે રહેતી મુસ્લિમ સગીરાને દૂધની ડેરી પાસે રહેતો મુસ્લિમ શખ્સ ભગાડી જતાં થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં ભગવતીપરા મિંયાણાવાસમાં રહેતાં ગુલમહમદભાઇ હાસમાભાઇ ચલાંગા (ઉ.૪૦)એ બી-ડિવીઝનમાં મુળ અમદાવાદના ફિરોઝ દિલાવરભાઇ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવી છે. તેમની ૧૭ વર્ષની દિકરી ૮/૪ના રોજ ગૂમ થઇ હતી. તપાસ કરતાં તેણીને અમદાવાદનો ફિરોઝ ભગાડી ગયાની ખબર પડતાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ફિરોઝ લગ્ન પ્રસંગે રાજકોટ આવ્યો હોઇ તેની ઓળખ સગીરા સાથે થઇ હતી અને લગ્નની લાલચ આપી ભગાડી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે.

બીજા બનાવમાં આજી વસાહત શિવનગર મફતીયાપરામાં રહેતાં યુનુસભાઇ નુરમહમદભાઇ દલની ૧૫ વર્ષની દિકરી ૮/૪ના રોજ ગૂમ થઇ હતી. તપાસ કરતાં તેણીને દૂધની ડેરી પાસે રહેતો મોહીન મહમદભાઇ મીર લલચાવી ફોસલાવી લગ્નના ઇરાદે ભગાડી ગયાનું ખુલતાં તેની સામે અપહરણનો ગુનો દાખલ કરાયો છે. બંને બનાવમાં બી-ડિવીઝનના પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ અને થોરાળાના પી.આઇ. બી. ટી. વાઢીયા તથા ટીમે તપાસ હાથ ધરી છે. 

(3:56 pm IST)