Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વોંકળામાં કચરો ફેંકનારા હવે દંડાશે : પાની લાલઘુમ

રાજકોટ તા. ૧૧ : શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવા આજી-૧  ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ઘ તથા શહેરના સ્ટોર્મ વોટર ડ્રેઇન કે વોંકળામાં કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપેલ છે.

આ અંગે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે આવશ્યક તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જોકે આમછતાં જળાશયોમાં કે વોંકળાઓમાં અને સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કોઈ કોઈ લોકો કચરો ફેંકતા હોવાની હકિકત ધ્યાનમાં આવતા આ મામલે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ એમ પણ કહ્યું કે, હવે જળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તો  અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

કમિશનરશ્રીએ જાહેર જનતા જોગ એક અપીલમાં એમ કહ્યું હતું કે, શહેરના જળાશયો એ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય સાથે સીધીરીતે સંકળાયેલ સંવેદનશીલ સુવિધા છે. જળાશયો છે તો શહેરની સુખાકારી છે અને તો જ તેમાં વિકાસનો અવકાશ રહે છે.

જળાશયોમાં સંગ્રહિત પાણી સૌ કોઈ માટે જીવાદોરી છે ત્યારે તેની શુધ્ધતા સાથે ખીલવાડ કરવો એ ગંભીર ગુન્હાઈત કૃત્ય છે. જે કોઈ લોકો આવી પ્રવૃત્તિ કરતા હતા તેઓ હવેથી આવા કૃત્યથી દૂર રહે તે જાહેર જનતાનાં હિતમાં છે. તેમ અંતમાં જણાવાયું હતું.(૨૧.૨૪)

(3:46 pm IST)