રાજકોટઃ શહેરની સેવાભાવી સંસ્થા પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા યોજાનાર મેગા કેન્સર નિદાન-માર્ગદર્શન કેમ્પ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી રહેલા ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટની મેડીકલ ટીમના અગ્રણી અને મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડો. વિભાકર વચ્છરાજાની, ડો. દિવ્યેશ પટેલ, એચ.સી.જી.ના ડો. દુષ્યંત માંડલીક તથા પ્રવાસન નીગમના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા.૧૧ : ગુજરાત - સૌરાષ્ટ્રમાં કેન્સરનાં દર્દીઓનું પ્રમાણ વધતુ અટકાવવા માટે કેન્સરનાં રોગ અંગે જન જાગૃતી અને સચોટ નિદાન માટે શહેરની સેવાભાવી સંસ્થા 'શ્રી પૂજીત રૂપાણી ટ્રસ્ટ' દ્વારા સૌરાષ્ટ્રના નાગરિકોને વિનામૂલ્યે કેન્સર અંગે માર્ગદર્શન તથા નિદાનની સુવિધા મળી રહે તેવાં પ્રયાસોનાં ભાગરૂપે આગામી તા.૧પનાં રોજ કેન્સર ક્ષેત્રના શ્રેષ્ઠ આરોગ્ય-ચિકિત્સા સંસ્થા એચ.સી.જી.નાં સહયોગથી કેન્સર માટે વિનામૂલ્યે નિદાન-માર્ગદર્શનનાં કેમ્પનાં પ્રોજેકટનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે થનાર છે.
આ અંગે ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઇ રૂપાણીએ પત્રકાર ઉપેદમાં વિસુત માહિતી આપવાં જણાવ્યું હતું કે ''શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત શ્રી પ્રજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા હવે અનેરો પ્રોગ્રામ થવા જઇ રહ્યો છે. જેમા છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા તેની ચુંગાલમાંથી શહેરના પ્રજાજનોને બચાવવા માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉમક્રમે ''કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ'' હાથ ધરાયો છે.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલHCGનાં સંયુકત ઉપક્રમે શરૂ થનારા આ પ્રોગ્રામ અંતર્ગત હવેથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારના ભાગે પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.
આ ''કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ'' ઝુંબેશની શરૂઆત ૧૫ એપ્રિલ ૨૦૧૮ રવિવારથી થઇ જશે. જે અંતર્ગત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ''કિલ્લોલ'', ૧ મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ(ફોન નં.૨૭૦૪૫૪૫) ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી૧૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.
નિદાન કેમ્પ ખુલ્લો મુકવા માટે વિજયભાઇ રૂપાણી (ગુજરાત રાજય મુખ્યમંત્રી) હાજરી આપશે. જેના પ્રમુખ સ્થાને ડો.કૌસ્તુભભાઇ પટેલ - કેન્સર સર્જન (આસ્થા ઓન્કોલોજી એશોસીયેટસ,HCG કેન્સર સેન્ટર અમદાવાદ) ઉપસ્થિત રહેશે.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.કૌસ્તુભભાઇ પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો.દુષ્યંતભાઇ માંડલિક, ડો.પરીનભાઇ પટેલ, ડો.ભરતભાઇ પ્રજાપતિ તથા ડો.રશ્મિબેન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોેં, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે.
આમ કે એચ.સી.જીનાં વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઇ કઇ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામુલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયન દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ચિત બની શકશે.
ઉલ્લેખનીય છે કે આરોગ્યક્ષેત્રે જરૂરિયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં (OPD) સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્ર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પુરૂ પાડવા માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે.
આરોગ્ય તથા શૈક્ષણિક સેવાઓ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા નબળા વર્ગના પરિવારોની બહેનોને પગભર કરવા માટે સિવણ, એમ્બ્રોઇડરી, કોમ્પ્યુટર સહિતના વોકેશનલ કોર્સ પણ શીખવવામાં આવે છે. ઝુપડપટ્ટી જેવા વિસ્તારોમાં વસતા માટે સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટ, હરતું ફરતું રમકડાંઘર, સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.૮ સુધીના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર તાલીમ વર્ગ સહીત કુલ ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટ કાર્યરત છે.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શ્રીમતિ રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી જુદી કમિટીઓના મેમર્બ્સ કાર્યરત રહે છે.આગામી ૧પ એપ્રિલ રવિવારે યોજાનારા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમર્બ્સ શ્રીમતિ અંજલિબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, દિવ્યેશભાઇ પટેલ તથા બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા આ તકે જણાવાયું હતું.(૨૨.૯)
કેન્સરના વિનામૂલ્યે નિદાન કેમ્પનો લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ
રાજકોટ :. આ તકે રાજ્યના મુખ્યમંત્રી અને ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે, અચાનક દેખા દેતા કેન્સરના રોગને ઉગતો જ ડામવા માટે તેના ચિહ્નો ઓળખી લઈ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાત કરવાનું સરળ થઈ જાય છે. આ માટે નીચે દર્શાવેલા લક્ષણો પૈકી કોઈપણ એક દેખાય તો પણ લેશપાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેવુ જોઈએ. આ લક્ષણો નીચે મુજબ છે.
(૧) લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ (૨) લાંબો સમય અવાજ બેસી જવો (૩) ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ (૪) ગળામાં સતત દુઃખાવો ચાલુ રહેવો (૫) મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી (૬) શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોવી (૭) સ્તનમાં ગાંઠ - લોહી પડવું (૮) લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામાં લોહી નીકળવું (૯) માસિક સ્ત્રાવ વખતે વધુ પડતું લોહી નીકળવું (૧૦) યોનિમાંતી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું (૧૧) ઝાડા-પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મૂત્ર વાટે લોહી નીકળવું (૧૨) સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું.