Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઘંટેશ્વર પાસે કારની ઠોકરે રોહીદાસપરાના ફોટોગ્રાફર વીરજીભાઇ સાગઠીયાનું મોત

વણકર યુવાન કામ પતાવી બાઇક પર ઘરે આવતા'તા ને કાળ ભેટ્યોઃ ત્રણ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંતઃ કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્કના ગેઇટ સામે રાત્રીના પોણા બારેક વાગ્યે હુન્ડાઇ વેરના કાર નં. જીજે૩ઇઆર-૭૯૩૭ના ચાલકે બાઇક નં. જીજે૩એનએન-૫૩૯૧ને ઠોકરે ચડાવતાં બાઇકચાલક કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રહેતાં ફોટોગ્રાફર વીરજીભાઇ મુળજીભાઇ સાગઠીયા (વણકર) (ઉ.૪૨)નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાત્રીના વીરજીભાઇ સાગઠીયાને અકસ્માત નડતાં તેમના મોબાઇલ ફોનમાંથી કોઇએ તેના ભાણેજને જાણ કરતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અકસ્માત સ્થળે કારનો ચાલક કાર મુકીને ભાગી ગયાનું જણાયું હતું. ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. ઓ. જે. ચિહલાએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઇ રમેશભાઇ મુળજીભાઇ સાગઠીયા (ઉ.૪૫)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મૃત્યુ પામનાર રમેશભાઇ ફોટોગ્રાફી-વિડીયો શુટીંગનું કામ કરતાં હતાં અને આઠ ભાઇ તથા એક બહેનમાં સાતમા નંબરે હતાં. તેને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. આ ત્રણેયે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વીરજીભાઇ સાંજે પોતાના કામ સબબ જામનગર રોડ તરફ ગયા હતાં અને ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો. કાર ચાલકે બાઇકને પાછળથી ઠોકરે ચડાવ્યું હતું.  તસ્વીરમાં અકસ્માત સ્થળે વાહનો, વીરજીભાઇનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:09 pm IST)