Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

શહીદોની ગૌરવ ગાથા આલેખતા પુસ્તક 'કારગીલ યુધ્ધ -ગુજરાતના શહીદો'નું વિમોચન

રાજકોટ : પૂર્વ ભારતીય નૌસેનાના અધિકારી મનન ભટ્ટ લિખિત ગુજરાતી ભાષાની સર્વપ્રથમ યુધ્ધ કથા પુસ્તક, 'કારગીલ યુધ્ધ-ગુજરાતના શહીદો' નો વિમોચન સમારોહ ગૌરવપૂર્ણ ૧૦૦૦ થી વધુ માજી સૈનિકોએ તેમના સૈન્ય મેડલ પહેરીને તથા બહોળી સંખ્યામાં રાજકોટ વાસીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. કારગીલ યુધ્ધમાં ગુજરાતી જવાનોની વીરતા અને બલિદાનો અંગે ચિતાર આપતા આ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં ૧ર ગુજરાતી કારગીલ શહીદોના પરિવારજનોએ સવિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યા મંદિર) એ આશીર્વચનો વરસાવ્યા બાદ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત સૌ યુનિ. ના નવનિયુકત કુલનાયક ડો. વિજય દેશાણીએ પ્રાસંગીક પ્રવચનન કરી શહીદોના સ્વજનોને નમસ્કાર કર્યા હતાં.  કાર્યક્રમમાં આવેલ શહીદોના સ્વજનોની રાજકોટમાં રહેવાની વીઆઇપી વ્યવસ્થા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તરફથી અને ભોજનની વ્યવસ્થા ભાભા ડાઇનીંગ હોલના ભરતભાઇ મેહતા તરફથી કરવામાં આવી હતી. પુસ્તકના લેખક રીટાયર નેવી ઓફીસર મનન ભટ્ટના પ્રેરણાસભર વકતવ્ય દરમિયાન સભાગૃહમાં હાજર સહુની આંખો નમ થઇ ગઇ હતી. તેમણે જણાવેલ કે ગુજરાતમાં જન્મેલા બાર આર્મી જવાનો કારગીલ યુધ્ધમાં વીરગતિને પામ્યા. આપણે પ્રથમ શ્રધ્ધાંજલી આ અમર વિરોને આપવી ઘટે. આ શહીદોની વિરગાથાઓનું વર્ણન છે. 'કારગીલ યુધ્ધ - ગુજરાતના શહીદો' માં મુકેશ રાઠોડ (અમદાવાદ), હરેન્દ્રગીરી ગોસ્વામી (કેશોદ, કોયલાણા ગામ), દિનેશ મોહન (ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના નિમાલી ગામ), રૂમાલભાઇ રજાત (પંચમહાલ જીલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામ), કાન્તીભાઇ કોટવાલ (સાબરકાંઠા જીલ્લાના કિસનગઢ ગામ), બાલાભાઇ બારીયા (પંચમહાલના ખટકપુરના આદિવાસી પરિવારનો પનોતો પુત્ર, વીર શહીદ અશોકસિંહ ગોવુભા જાડેજા, વીર શહીદ દિલીપસિંહ ડાહ્યાભાઇ ચૌહાણ, વીર શહીદ છગનભાઇ રાયસિંગભાઇ બારીયા, રમેશભાઇ જોગલ (જામનગર જિલ્લાનું ભાણવડ), શૈલેષ કાવાજી નિનામા (સેના મેડલ) (પંચમહાલ), માહિપતસિંહ નટુભા જાડેજાની ગાથા આલેખવામાં આવી છે. કારગીલ યુધ્ધ, પુસ્તક પૂર્વ સૈનિકોની શ્રધ્ધાંજલી છે. એ પર૪ શહીદવીરોને જેમણે વીરભૂમિ ભારત કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું., ર૦ વર્ષ પહેલાનાં એ યુધ્ધ વિષે બને તેટલું સત્યાપન કરીને અત્રે સાક્ષીભાવે આલેખવા પ્રયાસ કરેલ હોવાનું પુસ્તક લેખક મનન ભટ્ટ (મો. ૭૮૭૪૯ ર૭ર૭૧)એ અહીં જણાવ્યું હતું. (પ-ર૭)

(3:53 pm IST)