Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જેને ત્યાગી, વૈરાગી, સંયમી એવા ગુરૂ ગમી જાય એને જગતમાં બીજું કોઈ ગમતુ નથીઃ પૂ.નમ્રમુનિ મ.સા.

સેંકડો ભાવિકોએ સંયમ વેશ ધારણ કરી રાષ્ટ્રસંત પૂજયશ્રીને ૨૮મી દિક્ષા જયંતિએઅભિવંદના અર્પી

રાજકોટ,તા.૧૧: રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ની ૨૮મી દીક્ષા જયંતિ નિમિત્તે રાજકોટની ધરા પર સંયમના દિવ્ય તરંગો સાથે સંયમ અભિનંદના અવસર ઉજવાયેલ.

રાજકોટ સ્થિત સિનર્જી હોસ્પિટલ પાસેના મારૂતી પટાંગણમાં રચાયેલા ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં રાષ્ટ્રસંત પૂજયશ્રીને સંયમ જયંતિની શુભેચ્છા આપવા ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ શાસન ગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, અખંડ સેવાભાવી પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી, વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજય શ્રી ઊર્મિ-ઊર્મિલાબાઈ મહાસતીજી, ડો . પૂજય શ્રી અમીતાબાઈ મહાસતીજી, સૌરાષ્ટ્ર સિંહણ પૂજય શ્રી ઈન્દુબાઈ મહાસતીજી પરિવારના સાધ્વી છંદ બોટાદ સંપ્રદાયના પૂજય શ્રી અમીચંદજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજય શ્રી ઈલાબાઈ-નીલાબાઈ મહાસતીજી, આદિની પધરામણી સાથે મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત આદિ અનેક અનેક ક્ષેત્રોથી ભાવિકોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સેંકડો ભાવિકોએ સંયમનો વેશ ધારણ કરીને રાષ્ટ્રસંત પૂજયશ્રીના અત્યંત અહોભાવપૂર્વક વધામણા કર્યા હતાં.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીને સંયમ શુભેચ્છા વંદના પાઠવવા  પ્રવીણભાઈ કોઠારી, સી. એમ. શેઠ, જીતુભાઈ બનાણી, નટુભાઈ શેઠ, હરેશભાઇ વોરા,  ઉપેનભાઈ મોદી, પ્રતાપભાઈ વોરા,  સુશીલભાઈ ગોડા,  નિલેશભાઈ શાહ, મયુરભાઈ શાહ,  મેહુલભાઈ દામાણી,  સંજયભાઈ શેઠ, જિગરભાઈ શેઠ,  હર્ષદભાઈ અજમેરા (કોલકાત્તા), અલ્પેશભાઈ મોદી, સુકેતુભાઇ શાહ (જામનગર), શ્રી વી. ટી. તુરખીયા (રાજકોટ), અશોકભાઈ મોદી, સુરેશભાઈ કામદાર આદિ મહાનુભાવો ભકિતભાવે ઉપસ્થિત રહ્યાં હતાં.

નાભિના નાદ અને બ્રહ્મઘોષ સાથે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધનાની દિવ્યતા પથરાવતાં આ અવસરે અંત્યત પ્રભાવક શૈલીમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સંયમ ધર્મની પ્રેરણા કરતાં સમજાવ્યું હતું કે, સંયમ જયંતિનો ઉત્સવ તે માત્ર ઉત્સવ નથી હોતો પરંતુ અનેકોના હૃદયમાં સંયમના બીજ વાવવાનો પ્રેરણાત્મક અવસર હોય છે. કાંકરા હોય એમાંથી કદી ફળ સર્જાતાં નથી પરંતુ બીજ હોય તો એમાંથી ફળ સર્જાયા વિના રહેતાં નથી. સંયમ અભિવંદનાના અવસરે જો ભાવિકોના હૃદયમાં સંયમ ભાવ જાગૃત થઈ જાય એવું અમારૃં સંયમ જીવન બીજ સ્વરૂપે સાર્થક થાય તેવી પ્રભુ પાસે અંતરની પ્રાર્થના છે. મોહ, માયા અને ભોગ-વિલાસના આજના સમયમાં જેને સંયમ રૂચે છે અને સંસાર જેને ખેંચે છે તેવા કોઈક જ વિરલા મળી આવતાં હોય છે અને તેવા વિરલાઓ જ વાસ્તવિકતામાં વીતરાગના વારસદાર બનતાં હોય છે. જેને એકવાર ત્યાગી, વૈરાગી, સંયમી એવા ગુરૂ ગમી જાય એને જગતમાં કદી બીજુ કોઈ ગમતું નથી. આજના દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ કે, મિંચાતી આંખે આ દેહ પર મલ્ટી-ડર્ટી કલરના વય ન હોય પરંતુ પ્રભુનો ડ્રેસ હોય અને પ્રભુનો એડ્રેસ પામવાની તાલાવેલી હોય.

સંયમ જીવનની વાસ્તવિકતા પર પ્રકાશ પડતાં કહ્યું હતું કે, સંયમ જીવન તે માત્ર પૂજાવાનું જીવન નથી પરંતુ કોઈ હાલ પણ ન પૂછે છતાં પ્રભુ સિવાય કંઈ રૂચે નહીં એવું ફકીરી નું જીવન તે સંયમ જીવન હોય છે. ચાહે કોઈ આવકારે કે જાકારો આપે, કોઈ ધજાગરો કરે ચાહે ધજા ફરકાવે પરંતુ દરેક પરિસ્થિતિનો સ્વીકાર ભાવ તે સંયમ જીવન હોય છે.

આ અવસરે મારૂતિ પટાંગણ અને મારુતિ કુરિયર સર્વિસના  રામભાઈ મોકરીયાની ઉદારભાવનાનું સન્માન શ્રી સંઘોના અગ્રણી ભાવિકોના હસ્તે પ્રભુ મહાવીરની રત્નજડિત ફ્રેમ આપીને કરવામાં આવ્યું હતું,

સમગ્ર સૌરાષ્ટ્રના સંઘો તરફથી રાષ્ટ્રસંત પૂજયશ્રીને અત્યંત અહોભાવપૂર્વક રામભાઈ મોકરીયા તેમજ  જિતુભાઈ બેનાણીના હસ્તે શાલ અર્પણ કરવામાં આવેલ. રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીની ૨૮ મી દીક્ષા જયંતિ અવસરે ૨૮ ભાવિકોએ સંયમ લેવાના ભાવ પ્રગટ કર્યાં હતા.  અર્હમ યુવા સેવા ગ્રુપના ભાઈઓ અને બહેનોએ પ્રભુનો વેશ પહેરી, એક દિવસ માટે સાધુત્વનો એહસાસ કર્યો અને આત્મધરા પર સંયમના બીજનું વાવેતર કર્યું. 

ઉપરાંતમાં, આ અવસરે ગાદીપતિ પૂજય શ્રી ગિરીશચંદ્રજી મહારાજ સાહેબની નિગ્રંથતાનું દર્શન કરાવતાં પ્રેરણાત્મક ગ્રંથ 'મહાનાયક'નું વિમોચન વિજયાબેન માણેકચંદ શેઠ પરિવારના સભ્યોના હસ્તે સમગ્ર સૌરાષ્ટ્રના સંઘોની ઉપસ્થિત વચ્ચે  કરવામાં આવ્યું હતું. ૫૦૦ રૂના મૂલ્યના  ગ્રંથની જિગરભાઈ શેઠ પરિવારના સહયોગે માત્ર ૭૫ રૂ.ના મૂલ્યમાં પ્રાપ્તિ કરવામાં આવી હતી.

ગોંડલ સંપ્રદાયના  પ્રવીણભાઈ કોઠારી તથા રાજકોટ રોયલ પાર્ક સંઘના ચંદ્રકાંતભાઈ શેઠે પૂજયશ્રીને  શુભેચ્છા વંદના અર્પણ કરી હતી. લુક એન લર્ન રાજકોટની બાલિકાઓ દ્વારા આ અવસરે સુંદર  નૃત્ય ગીતની પ્રસ્તુતિ કરતાં સર્વત્ર હર્ષનાદ છવાયો હતો.  પૂજય શ્રી ઊર્મિલાબાઈ મહાસતીજીએ આ અવસરે સંયમ શુભેચ્છા અર્પણ કરી યુવાપેઢીને ધર્મ તરફ વાળનારા રાષ્ટ્રસંત પૂજયશ્રીની પ્રશસ્તિ કરી હતી.

વિશેષમાં, લુક એન લર્નના ં સેન્ટર્સની શૃંખલામાં મોબાઈલ લુક એન લર્ન વેનનું આ અવસરે ઉદઘટન કરવામાં આવેલ. એની સાથે સાથે બે મહિના અગાઉ રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા બે આત્માઓના આત્મા યાત્રા દીક્ષા મહોત્સવની ડીવીડી સંજયભાઈ શેઠ અને  મનોજભાઈ ડેલીવાળાના હસ્તે લોન્ચ કરવામાં  આવેલ. કાર્યક્રમનું સંચાલન હેમલભાઈ મહેતાએ કર્યું હતું.

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની ૨૮મી દિક્ષા જયંતી નિમિતે ચેન્નાઈમાં શ્રી ગુજરાતી સ્થાનકવાસી જૈન એસોસિયેશનમાં પ્રાંગણથી ગુરૂ પરિવાર દ્વારા ત્રણ કિલોમીટર પદયાત્રા કરી જૈન ધર્મનો પ્રચાર સાથે દેશમાં શાંતિનો સંદેશ પહોંચાડવા પ્રયાસ કરેલ. તેમ અમિતાબ દોશીની યાદીમાં જણાવાયેલ છે.(૩૦.૮)

(3:35 pm IST)