Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોરબી રોડના વેલનાથપરામાં ૧૫ વર્ષની જીયા પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાત

પિતા કિશોરભાઇ પરમારે કહ્યું- લાતીપ્લોટનું ઘરનું ઘર છોડીને છ મહિનાથી ભાડે રહેવા આવ્યા હતાં

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં. ૧૭/૨૨ના ખુણે ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતી જીયા કિશોરભાઇ પરમાર (ઉ.વ.૧૫) નામની બાળાએ છાપરાની આડીમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વેલનાથપરામાં રહેતાં અને લાઇટ ફીટીંગનું કામ કરતાં કિશોરભાઇ ગંગારામભાઇ પરમાર (કોળી) તથા તેના પત્નિ ભાવનાબેન ત્રીસ હજારની લોન મંજુર થઇ હોઇ તે લેવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતાં. તેની મોટી દિકરી કામે ગઇ હતી અને નાનો દિકરો પતંગ ઉડાડવા ગયો હતો. ઘરે બીજા નંબરની દિકરી જીયા એકલી હતી. પતિ-પત્નિ લોન મંજુર થઇ તેની બૂક ઘરે ભુલી ગયા હોઇ તે પાછી લેવા આવ્યા ત્યારે દિકરીને લટકતી જોઇ હતપ્રભ થઇ ગયા હતાં. દેકારો મચાવતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. વિસ્તારના આગેવાન કાનાભાઇ ઉધરેજા પણ પહોંચી ગયા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ તેના ઇએમટી કોમલબેને જીયાને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

બી-ડિવીઝનમાં જાણ થતાં હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકી તથા કિશનભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આપઘાત કરનાર જીયા નવ ધોરણ સુધી ભણી હતી. હવે અભ્યાસ કરતી નહોતી. પરંતુ જકાતનાકા પાસે ઇમિટેશનના કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી.

તેના પિતા કિશોરભાઇએ આક્ષેપ કર્યો હતો કે અમારે ઘરનું મકાન લાતીપ્લોટમાં છે. પરંતુ એક છોકરાને કારણે અમે છ મહિના પહેલા આ ઘરનું ઘર મુકીને વેલનાથપરામાં ભાડેથી રહેવા આવી ગયા હતાં. છોકરો હેરાન કરતો હોવાનો આક્ષેપણ પણ કરાયો હતો. જો કે પોલીસ તપાસમાં હાલ આવી વિગતો બહાર આવી નથી. આજે જીયા કોઇપણ કારણોસર કામે  ગઇ નહોતી અને અચાનક આ પગલુ ભરી લીધું હતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

  • લાતી પ્લોટ વિસ્તારના છોકરાની હેરાનગતિ હોવાનો પિતાનો આક્ષેપ

.આપઘાત કરનાર જીયાના પિતા કિશોરભાઇ પરમારે આક્ષેપ કર્યો હતો કે લાતીપ્લોટના એક છોકરા દ્વારા મારી દિકરીને હેરાનગતિ હતી. આ કારણે જ અમે અહિનું ઘર છોડીને ભાડે રહેવા ગયા હતાં. અગાઉ અમે મહિલા પોલીસમાં અરજી પણ કરી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

(4:48 pm IST)