Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા

કાલે ૧૨ જાન્યુઆરીઃ સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મજયંતિ

સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી,૧૮૬૩ ના રોજ કલકત્તા ખાતે સિમલાપાલ્લીમાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું  બચપનનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરીદેવી હતું. શ્રીરામ કૃષ્ણ પરમહંસ તેમના ગુરુ હતા. તેમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ એવું દ્રઢપણે માનતા કે બધા ધર્મો એકજ છે. જીવ જ શિવ છે અને માનવસેવા એજ સાચી પ્રભુસેવા છે.

 સ્વામી વિવેકાનંદ ૧૮૭૧માં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને ૧૮૭૯માં પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. સ્વામી વિવેકાનંદ વિજ્ઞાન, ઇતિહાસ જેવા અનેક વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમને વેદ, ઉપનિષદ, ભગવદગીતા, રામચરણ અને અન્ય પુરાણોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે યોગ અને ધ્યાનનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કલાકો સુધી ધ્યાનમાં બેસતા હતા. સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વામી વિવેકાનંદે હિન્દૂ ધર્મનો અને યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં સિંહ ફાળો આપ્યો હતો. સને ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણમઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. 

'ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો..' એ તેમનો ખુબજ લોકપ્રિય સુવિચાર હતો. તેઓ મનની અપાર શકિત અને લક્ષનિર્ધારણ પર ખુબજ ભાર આપતા અને આત્મવિશ્વાસ જીવન માટે અનિવાર્ય હોવાનું દ્રઢપણે માનતા. તેઓ કહેતા કે જેમને પોતાના પર વિશ્વાસના  હોય તો તે નાસ્તિક છે. યુવાનો દ્રઢ સંકલ્પ કરે તો તેમના માટે કઈ પણ અશક્ય નથી.સંગઠનની શકિત શ્રેષ્ઠ શકિત છે. સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યો અનેક વિદ્વાનો દ્વારા પ્રશંસા પામ્યા છે. જુલાઈ-૪,૧૯૦૨ ના રોજ માત્ર ૩૯ વર્ષ જેવી નાની ઉમરમાં તેમનું અવસાન થયું હતુ છતા આટલા વર્ષો પછી, આજે પણ તેમના વિચારો-  સિદ્ધાંતો એટલા જ જીવનમાં ઉપયોગી થાય એવા છે.

સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મજયંતિ પર  તેમને કોટી કોટી વંદન....!

ખોડીદાસ એન.સોમૈયા

  મો.૯૮ર૪૮ ૦૦૯૭૦

(3:54 pm IST)