News of Tuesday, 10th December 2019
રાજકોટ તા. ૧૦ : શહેરની ભાગોળે આવેલા માધાપર-ઘંટેશ્વર, મુંજકા, મોટામવા અને નવાગામને રાજકોટ શહેરની હદમાં ભેળવવા અંગે છેલ્લા ૧વર્ષથી ચર્ચાઓ ચાલી રહી છે આ દરમ્યાન મ્યુ.કોર્પોરેશનના શાશકો પણ આ બાબતે હકારાત્મક વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે અને આગામી તા. ૧૮ મીએ મળનાર જનરલ બોર્ડમાં આ પાંચેય ગામોને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભેળવવા માટે અધ્યક્ષ સ્થાનેથી મેયર બીનાબેન આચાર્ય અરજન્ટ બીઝનેશથી દરખાસ્ત રજૂ કરે તેવી શકયતા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરની પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરદિશાની હદને અડીને આવેલા માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા અને નવાગામના ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારોને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભેળવવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ થઇ રહી છ.ેઅને હવે મ્યુ. કોર્પોરેશનના શાશકોએ પણ આ અંગે હકારાત્મકતા દાખવી આગામી ૪ થી૬ મહીનામાં જનરલ બોર્ડમાં ઉપરોકત તમામ ગામોને રાજકોટની હદમાં ભેળવવા અંગે દરખાસ્ત મંજુર કરી રાજયસરકારમાં મોકલવા માટે વિચારણા શરૂ કરી છે અને આ અંગેનો ઠરાવ કરી સરકારની મંજુરી અર્થે મોકલી દેવાશે.
વિશ્વાસ પાત્ર સૂત્રોમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરનું નવુ વોર્ડ સીમાંકન પણ ચુંટણીપંચ ટુંક સમયમા઼ હાથ ધરનાર છે ત્યારે કોની સાથે જ ઉકત પાંચેય ગામોને શહેરની હદમાં ભેળવી દેવામાં આવે તે પ્રકારની વિચારણા ચાલી રહી છે.
નોંધનીય છે કે ર૦ર૦ના વર્ષના ઉતરાર્ધમાં આવી રહેલ કોર્પોરેશનોની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજકોટની હદ વધારવા માટે હિલચાલ શરૂ થઇ છે. જામનગર રોડ પર આવેલ માધાપર અને ઘંટેશ્વર ગામ અને યુનિવર્સિટી પાસે આવેલ મુંજકા ગામને શહેરમાં જોડી મહાનગરને હજુ મોટુ બનાવાશે.
શહેરમાં દોઢ દાયકા પહેલા રૈયા, નાનામવા અને મવડીની હદ વધારવામાં આવેલ. ત્યાર પછી ૨૦૧૫માં કોઠારીયા અને વાવડીને રાજકોટ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા. સરકારે જે ગ્રામ્ય વિસ્તારો જે તે નગર કે મહાનગરની એકદમ નજીક હોય અને સત્તાવાર રીતે અલગ પરંતુ વ્યવહારૂ રીતે શહેર સાથે જોડાયેલા હોય તેને સત્તાવાર રીતે શહેર સાથે જોડવાનું નક્કી કર્યુ છે તે મુજબ માધાપર, મુજંકા, ઘંટેશ્વર, મોટામૌવા, નવાગામ હાલ ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે. તેનુ રાજકોટ શહેરમાં વિલીનીકરણ કરી શહેરના કોર્પોરેશનના કાર્યક્ષેત્રની હદ વધારવાની હિલચાલ ચાલી રહી હોય તેમ સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે. માધાપર, મુંજકા અને ઘંટેશ્વરની જો હદ વધારવાના નિર્ણયને આખરી સ્વરૂપ આપવામાં આવે તો હાલની રાજકોટ શહેરની ૧૫ લાખ જેટલી વસ્તીમાં અંદાજીત ૬૦૦૦૦ જેટલો વધારો થશે. વિસ્તારની દ્રષ્ટિએ ઘણો વધારો થઈ જશે. જમીન મકાન સહિતના ધંધાની દ્રષ્ટિએ બન્ને વિસ્તારો વિકસી રહ્યા છે. સરકારી ચોપડે ગામડુ હોવા છતા વ્યવહારૂ દ્રષ્ટિએ શહેરના જ ભાગોળના વિસ્તાર તરીકેની છાપ ધરાવે છે. પાંચ વિસ્તારોને રાજકોટમાં ભેળવી -પ્રાથમિક સુવિધા સહિતના વિકાસના મીઠા ફળ પહોંચાડવાની સરકારની કલ્પના છે.પાંચ ગ્રામ પંચાયતોએ શહેરમાં જોડાવા માટે સહમતીનો ઠરાવ કરીને સરકારને મોકલવાનો રહેશે. જો કે ગ્રામ પંચાયતનો ઠરાવ તરફેણમાં ન હોય તો પણ હદ વધારા બાબતે નિર્ણય લેવાની સરકારને સત્તા છે. આ અંગે સત્તાવાર સમર્થન મેળવાઇ રહ્યું છે.