ભુલ થઇ ગઇ...શહેરના ગૌરવપથ પર સરાજાહેર બે યુવતિની છેડતી કરી શહેરનું ગૌરવ હણનારા ત્રણ શખ્સો નહેરૂનગરના ઇમરાન શેખ, સૈયદ જેઠવા અને વાવડીના ફૈઝલ પઠાણને રાતભર દોડધામ કરી પોલીસે દબોચી લીધા હતાં. આ ત્રણેયને પોલીસ કમિશનર કચેરીએ લાવી એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએઅસાઇ ચંપાવતે વિગતો આપી હતી. એ પછી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવી, ગાંધીગ્રામ પી.આઇ. કે. એચ. વાળા, પી.આઇ. એન. એન. ચુડાસમા અને તેમની ટીમોએ ત્રણેય આરોપીઓને રૈયા રોડ નહેરૂનગરમાં લઇ જઇ તેમજ ત્યાંથી કાલાવડ રોડ પર તેણે જ્યાં છેડતી કરી હતી ત્યાં લઇ જઇ ફેરવ્યા હતાં. પોલીસની કાર્યવાહી નિહાળવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૦: ગૌરવપથ (કાલાવડ રોડ પર) ગત રાતે અત્યંત શરમજનક ઘટના બની હતી. બે યુવતિની સરાજાહેર છેડતી કરી ત્રણ શખ્સો કારમાં ભાગી ગયા હતાં. શહેર પોલીસે રાતો રાત ત્રણેયને ઝડપી લીધા હતાં. રૈયા રોડ નેહરૂનગર અને વાવડીમાં રહેતાં આ ત્રણ મુસ્લિમ શખ્સોને પોલીસ કમિશનર કચેરીના લીમડા નીચે લાવી આગવી ઢબે પુછતાછ કરવામાં આવતાં ત્રણેયએ 'ઓય માડી ઓય બાપા...ભુલ થઇ ગઇ...' એવા અવાજો કાઢી માફી માંગી હતી. ત્રણેયને રૈયા રોડ નહેરૂનગર તથા કાલાવડ રોડ પર લઇ જઇ પોલીસે કાયદાનું ભાન કરાવતાં ત્રણેયએ જાહેરમાં માફી માંગી હતી.
ઘટનાની વિગતો જોઇએ તો શહેરમાં થોડા દિવસ પહેલા આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મની ઘટના પછી પોલીસ સતત એલર્ટ થઇ છે. દરરોજ દારૂની ડ્રાઇવ, વાહન ચેકીંગની ડ્રાઇવ રાખવામાં આવે છે. શનિવારે પોલીસ અધિકારીઓએ કાલાવડ રોડ પરથી એક યુવતિનું અપહરણ થયાની મોકડ્રીલ યોજી હતી. જેમાં શહેર પોલીસની ટીમો અને ક્રાઇમ બ્રાંચની ટીમો મિનીટોમાં પહોંચી ગયા હતાં અને મોકડ્રીલની પરિક્ષામાં પાસ થયા હતાં. ત્યાં ગત રાતે
શહેરના ગૌરવપથ તરીકે ઓળખાતા કાલાવડ રોડ કોટેચા ચોકથી કેકેવી ચોક સુધીના રસ્તા પર એક અત્યંત શરમજનક ઘટના બની હતી. રિક્ષામાં જઇ રહેલી એક યુવતિ પર કારમાં બેઠેલા ત્રણ શખ્સોએ જીંજરાના ફોતરા ઉડાડી, થુંક ઉડાડી છેડતી કર્યા બાદ પાછળ ટુવ્હીલર પર આવી રહેલી આ યુવતિની બહેનપણીએ તેને ટપારતાં તેને પણ ગાળો ભાંડી સતત કારથી ટુવ્હીલરને કાવા મારી છેડતી કરતાં આ યુવતિએ હિમ્મત દાખવી સામનો કર્યો હતો અને પોતાના પરિચીતને ફોન કરી બોલાવી લીધા હતાં. એ પહેલા તેને પણ કારની ઠોકરે ચડાવવાનો પ્રયાસ થયો હતો. યુવતિના સગા આવી જતાં લુખ્ખાઓ કારમાં ભાગી ગયા હતાં. તેના નંબર નોંધી લેવાયા હોઇ પોલીસની ટીમો હરકતમાં આવી ગઇ હતી અને રાતોરાત ત્રણેયને દબોચી લેવાયા હતાં. જેમાં બે મુસ્લિમ શખ્સ રૈયા રોડના નહેરૂનગરમાં અને ત્રીજો વાવડીમાં રહે છે.
ઘટના જાહેર થતાં પોલીસે મુળ જુનાગઢ પંથકની અને હાલ રાજકોટ રહી એમબીએનો અભ્યાસ કરતી યુવતિની ફરિયાદ પરથી સ્વીફટ કાર નં. જીજે૦૩કેએચ-૨૯૭૮ના ચાલક અને સાથેના બે શખ્સો સામે આઇપીસી ૩૫૪-ડી, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
ભોગ બનેલી યુવતિએ પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે તે મુળ જુનાગઢ પંથકની છે અન એમબીએનો અભ્યાસ કરી ચુકી છે. હાલમાં રાજકોટ રહી પ્રાઇવેટ નોકરી કરે છે. હાલમાં તે જ્યાં રૂમ રાખીને રહતી હોઇ તે રૂમ ખાલી કરી બીજે રહેવા જવું હોઇ રાત્રે સવા અગિયારેક વાગ્યે એક રિક્ષામાં સામાન ભર્યો હતો અને એ રિક્ષામાં તેની બહેનપણીને બેસાડી હતી. સામાન સાથેની આ રિક્ષા કોટેચા ચોકથી ચાલતી થઇ હતી. પાછળ પાછળ યુવતિ પોતાના ટુવ્હીલરમાં હતી. એ દરમિયાન એક સફેદ રંગની સ્વીફટ કાર આવી હતી અને યુવતિને બહેનપણી જે રિક્ષામાં બેઠી હતી તેણી પર ચાલુ કારમાંથી એક શખ્સે જીંજરા (લીલા ચણા)ના ફોતરા ફેંકી છેડતી કરી હતી. આથી તેણીએ એ શખ્સને આવું કરવાની ના પાડતાં એ શખ્સ અને સાથેના શખ્સો વધુ ભુંરાટા થયા હતાં અને 'અત્યારે છોકરીઓથી શું થાય છે?'તેમ કહી વધુ છેડતી શરૂ કરી હતી. ન બોલાવના શબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કર્યુ હતું.
પાછળ ટુવ્હીલર પર રહેલી બહેનપણીએ રિક્ષા નજીક પોતાનું વાહન લઇ કારમાં બેઠેલા શખ્સોને શા માટે આવું કરો છો? કહી ટપારતાં આ લુખ્ખાઓ તેની સામે થયા હતાં અને તેની પણ છેડતી કરી હતી. તેમજ તેના ટુવ્હીલરને કારની ઠોકરે લેવા પ્રયાસ કરી સતત કાવા માર્યા હતાં. આમ છતાં આ યુવતિએ હિમ્મત દાખવી હતી અને સામનો કર્યો હતો. પોતાના એક પરિચીતને ફોન કરી દીધો હતો. યુવતિઓને એકલી ભાળી લુખ્ખાઓને જાણે કોઇ ભય ન હોય તેમ સતત હેરાનગતી ચાલુ રાખી હતી. કોટેચા ચોકથી કેકેવી ચોક સુધી બંને બહેનપણીઓને હેરાન કરી હતી.
એ દરમિયાન યુવતિએ સંબંધીતને ફોન કર્યો હોઇ તે કેકેવી ચોક પાસે પહોંચી જતાં જ કારનો ચાલક અને તેની સાથેના બે શખ્સો ભાગી ગયા હતાં. તેની કારનો નંબર જીજે૦૩કેએચ- ૨૯૭૮ નોંધી લેવાયો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાને ગંભીર ગણી તુરત જ ટીમો દોડાવી હતી. ક્રાઇમ બ્રાંચ, માલવીયાનગર, એસઓજી, કયુઆરટી તથા બીજી ટીમોએ દોડધામ શરૂ કરી દીધી હતી.
પોલીસ કમિશનર મનોજ અગ્રાવલ, સંયુકત પોલીસ કમિશનર શ્રી ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમે આ ગુનામાં સામેલ શખ્સોને તાકીદે શોધી કાઢવા સુચના આપતાં ડી. સ્ટાફની ટીમ, ઇન્વે. ટીમ અને પીસીઆર વેનની ટીમો કામે લગાડાઇ હતી. એ દરમિયાન પીસીઆર વેનના કોન્સ. ભાગ્યેશભાઇ પરમાર અને રફિકભાઇએ કાર સાથે ત્રણેયને પકડી લીધા હતાં.
પોલીસે ત્રણ આરોપીઓ સૈયદ સફીભાઇ જેઠવા (ઉ.વ.૨૧-રહે. રૈયા રોડ, નહેરૂનગર-૧), ઇમરાન ઇકબાલભાઇ શેખ (ઉ.૨૬-રહે. નહેરૂનગર-૫) તથા ફૈઝલ રશીદખાન પઠાણ (ઉ.૨૩-રહે. વાવડી ગામ રાજકોટ)ની ધરપકડ કરી છે. લાખની સ્વીફટ કાર કબ્જે કરી છે. ઝડપાયેલામાં સૈયદ બીએચએમએસનો હોમીયોપેથી કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે ઇમરાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા કાર લે-વેંચનો ધંધો કરે છે. જ્યારે ફૈઝલ એમબીએનો અભ્યાસ કરે છે. રાતે ફૈઝલ મિત્ર ઇમરાન પાસે આવ્યો હોઇ તેને વાવડી મુકવા માટે ઇમરાન અને સૈયદ કાર લઇને જતાં હતાં. ત્યારે કાર ઇમરાન હંકારતો હતો. કોટેચા ચોકમાં રિક્ષામાં બેઠેલી યુવતિને જીંજરાના ફોતરા ઉડાડ્યા બાદ વાત છેડતી સુધી પહોંચી હતી.
પોલીસ કમિશનર કચેરી ખાતે ત્રણેય આરોપીઓને લાવવામાં આવ્યા હતાં અને આગવી ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવાયું હતું. આજ પછી કદી પણ કોઇની છેડતી ન કરે તેવો પાઠ પોલીસે ભણાવતાં ઓય માડી ઓય બાપા...ના અવાજ નીકળીડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએઅસાઇ જે. એસ. ચંપાવત, પીએસઆઇ જે. કે. પાંડાવદરા, કોન્સ. પ્રશાંતસિંહ નટવરસિંહ, ભાગ્યેશભાઇ, ડ્રાઇવર રફીકભાઇ જલાલભાઇ, એએસઆઇ વેલુભા ઝાલા, ભાવેશભાઇ ગઢવી, ભાવીનભાઇ ગઢવી, યુવરાજસિંહ જાડેજા તથા તાલુકા પી.આઇ.જે. વી. ધોળા અને તેની ટીમ તથા માલવીયાનગર ડી. સ્ટાફની ટીમોએ ત્રણેયને દબોચ્યા હતાં. (૧૪.૭)
ઝડપાયેલા ત્રણ શખ્સોમાં એક હોમીયોપેથીનો, બીજો એમબીએનો છાત્રઃ ત્રીજો ટૂર્સ ટ્રાવેલ્સનો ધંધાર્થી
.પોલીસે ત્રણ આરોપીઓ સૈયદ સફીભાઇ જેઠવા (ઉ.વ.૨૧-રહે. રૈયા રોડ, નહેરૂનગર-૧), ઇમરાન ઇકબાલભાઇ શેખ (ઉ.૨૬-રહે. નહેરૂનગર-૫) તથા ફૈઝલ રશીદખાન પઠાણ (ઉ.૨૩-રહે. વાવડી ગામ રાજકોટ)ની ધરપકડ કરી છે. લાખની સ્વીફટ કાર કબ્જે કરી છે. ઝડપાયેલામાં સૈયદ બીએચએમએસનો હોમીયોપેથી કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે ઇમરાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા કાર લે-વેંચનો ધંધો કરે છે. જ્યારે ફૈઝલ એમબીએનો અભ્યાસ કરે છે.