Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કમલેશ જાનીની સુપુત્રી ડો.નૂપુરનું અકસ્માતમાં કરૂણ મોત

રાજકોટના જાણીતા શિક્ષણવિદ્દ જાની પરિવાર ઉપર વજ્રઘાત : પી.ડી.માલવીયા કોલેજના પ્રિન્સીપાલ : પરીક્ષા આપી બહેનપણીના સ્કુટર પાછળ બેસી ઝેરોક્ષ કરાવવા જતી વેળાએ કારે હડફેટે લેતા બ્રેઈન હેમરેજ : ૭ તબીબોની સારવાર પણ કારગત ન નીવડતા આખરે અંતિમશ્વાસ લીધા * પરીવાર - શિક્ષણ જગતમાં ઘેરો શોક * અંતિમયાત્રામાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા * વિવિધ ક્ષેત્રના આગેવાનોએ અંજલી અર્પી

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટના શિક્ષણ જગત સાથે સંકળાયેલ જાની પરિવારની તબીબ સુપુત્રીનું કાર અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થતા કરૂણ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજકોટના જાણીતા શિક્ષણવિદ જાની પરિવારની આશાસ્પદ તબીબ સુપુત્રી નૂપુર જે તબીબ વિદ્યાશાખાનો ઉચ્ચ અભ્યાસ ચેન્નાઈ ખાતે કરી હતી. શનિવારે તેની પરીક્ષા પૂર્ણ કરી બહેનપણીના સ્કુટર પાછળ બેસી ઝેરોક્ષ કરાવવા જઈ રહી હતી ત્યારે પાછળ આવતી કારનું ટાયર ફાટતા સ્કુટરને હડફેટે લીધુ હતું. જેના કારણે નૂપુર સ્કુટર ઉપરથી ફંગોળાઈ જતાં માથામાં ઈજા પહોંચી હતી.

ગંભીર રીતે ઘવાયેલ ડો.નૂપુરને તુરંત ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ. જયાં ૭ તબીબોએ અતિ ઘનિષ્ઠ સારવાર કરી હતી. પરંતુ હેમરેજ ગંભીર હોવાથી નૂપુરને બચાવી શકયા ન હતા અને નૂપુરે નાની ઉંમરે અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા   કહીને મહાપ્રયાણ કર્યુ હતું.

આ ગમખ્વાર સમાચાર જાની પરિવારને થતાં જ પરિવાર અવાચક - સ્તબ્ધ બની ગયો હતો. તાબડતોબ ડો.નૂપુરના પિતા ડો.કમલેશ જાની, એડવોકેટ ગજેન્દ્ર જાની અને બનેવી ડો.હાર્દ વસાવડા હવાઈમાર્ગે ચેન્નાઈ દોડી ગયા હતા.

ડો.નૂપુરને બચાવવાના તબીબોના પ્રયાસો નિષ્ફળ નિવડતા આજે ગઈકાલે સવારે વિમાનમાર્ગે ડો.નૂપુરનો નશ્વર દેહ અમદાવાદ લવાયા બાદ રાજકોટ મોટા મૌવા સ્થિત પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં જાની પરિવારના નિવાસસ્થાને પહોંચતા જ હૈયાફાટ રૂદન - હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. કોણ કોને શાંત્વના આપે તેવી ગમગીની છવાઈ હતી.

ડો.નૂપુર જાની બાલ્યાકાળથી જ ખૂબ હસમુખી, સૌને મદદરૂપ થનાર અને શિક્ષણમાં ખૂબ તેજસ્વી હતી. ડો.નૂપુરે નાની ઉંમરે લીધેલી વિદાયથી પરિવાર ઉપર વજ્રઘાત પડ્યો છે. શિક્ષણજગત અને જાની પરિવારમાં ભારે ગમગીની - ઘેરો શોક છવાયો છે.

રાજકોટની જાણીતી પી.ડી.માલવિયા કોલેજના પ્રિન્સિપાલ ડો.કમલેશ જાનીની સુપુત્રી નૂપુર (ઉ.વ.૨૪)નું ચેન્નાઈમાં કાર અકસ્માતમાં કરૂણમોત નીપજેલ છે. સ્વ. નૂપુરના પાર્થિવ દેહને રવિવારે મોડીરાત્રે વિમાનમાર્ગે અમદાવાદ લવાયો હતો. સ્વ.નૂપુર નિવૃત મામલતદાર એમ.એલ જાનીની પૌત્રી, શૈલેષભાઇ એમ,જાની (ચેરમેન -ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ) જયોતીન્દ્રભાઈ એમ.જાની (સદગુરૂ મહિલા કોલેજ),ગજેન્દ્રભાઈ એમ.જાની (એડવોકેટ)ના ભત્રીજી અને ડો.ખ્યાતિ વસાવડાની બહેન તેમજ ડો. હાર્દ વસાવડાની સાળી થાય છે સ્વ.નૂપુરની સ્મશાનયાત્રા રાજકોટમાં આજે સવારે ૧૦ વાગ્યે પેન્ટાગોન સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામેથી નીકળી મોટામવા સ્મશાન ગૃહ ખાતે પહોંેચી હતી.

પ્રાર્થનાસભા

તા.૧૩-૧૨-૨૦૧૮ ગુરૂવારે : સમય - ૪ થી ૬ દરમિયાન સૌરાષ્ટ્ર હાઈસ્કુલ મધ્યસ્થ હોલમાં રાખેલ છે

(3:55 pm IST)