રાજકોટ, તા.૧૦: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિનાં અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા આધારિત 'રઢિયાળી રાત' કાર્યક્ર્મોનું પ્રેરક આયોજન, સમગ્ર ગુજરાતમાં, સતત નવમા વર્ષે થશે. નવી પેઢી આપણા ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે.
આ વર્ષે પણ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્થળો ચોટીલા (જન્મભૂમિ), રાજકોટ (શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (મેટ્રીક), ભાવનગર તથા જૂનાગઢ (કોલેજ-શિક્ષણ) , ધંધુકા (અદાલતમાં સ્વરચિત કાવ્ય 'છેલ્લી પ્રાર્થના'ગાયું ત્યારે મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખો આંસુભીની થઈ ગઈ), રાણપુર (કર્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), બગસરા (વડવાઓનું વતન) ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, લીંબડી, રાપર-કચ્છ ખાતે 'રઢિયાળી રાત'કાર્યક્ર્મો યોજાશે.
ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પીયૅરિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થશે.
વધુ વિગત માટે પિનાકી મેદ્યાણી (૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.
'રઢિયાળી રાત' સુરીલા સંઘજીવનમાંથી ઊઠતા નૃત્યધ્વનિ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. 'ધૂળધોયા'નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંઘાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'માં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'નો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. 'રઢિયાળી રાત'નાં ગીતોનું વર્ગીકરણ દાંપત્યનાં ગીતો, કુટુંબસંસારનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, દેર-ભોજાઈનાં ગીતો, કજોડાંનાં ગીતો, વિનોદ-ગીતો, રસ-ગીતો, હાલરડાં-બાળગીતો, કાન-ગોપીનાં ગીતો, ઋતુ-ગીતો, ઇતિહાસ-ગીતો, ગીતકથાઓ, જ્ઞાન-ગીતો, રમકડાં, નવરાત્રીનાં જોડકણાં, મુસલમાની રાસડા, નાવિકોનાં ગીતો ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. 'લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે તેમ તેઓ લાગણીભેર કહેતા.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર સાથે મેળાપ
૧૯૩૩નાં અંતમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર મુંબઈ આવેલા. એમના અંતરંગ સાથી અને ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝે ઝવેરચંદ મેઘાણીની ગીત-પ્રસાદી ચાખીને કવિવરને ભલામણ કરી કે તેઓ મેદ્યાણીને મળે. સવારના ૭.૩૦ વાગે ટાગોરના ઉતારે સર દોરાબજી તાતા પેલેસ ખાતે મુલાકાત ગોઠવાઈ. અડધા કલાકનો સમય ફળવાયો હતો. શૌર્ય-શૃંગાર રસે છલકતા ગુજરાતના લોકસાહિત્યની રસપ્રદ વાતો ઉપરાંત લોકગીતો ઝવેરચંદ મેદ્યાણી પાસેથી સાંભળીને ટાગોરના મુખ પર પ્રસન્નતા છવાઈ. ગુજરાતનાં અને બંગાળનાં લોકગીતોના ઝવેરચંદ મેઘાણીએ રજૂ કરેલ તુલનાત્મક સમન્વયથી ટાગોર ઝૂમી ઊઠ્યા. નિર્ધારિત સમય તો કયાંય રહ્યો — તેનાથી ત્રણ ગણો સમય ટાગોરે ઝવેરચંદ મેઘાણીને માણતાં ખુશી ખુશી સાથે વિતાવ્યો ! એક નાજુક વાઘની પેઠે પ્રત્યેક ભાવ ઝીલ્યો. ના છડિયાં હથિયાર ગાયું ત્યારે ટાગોર અને નંદલાલ બોઝ બન્નેએ કહ્યું કે, અમારે ત્યાં આવું નથી ! કવિવરે ઝવેરચંદ મેદ્યાણીને શાંતિનિકેતન આવવા નિમંત્રણ આપ્યું. માર્ચ ૧૯૪૧માં શાંતિનિકેતન જઈને લોકસાહિત્ય વિષે અંગ્રેજીમાં ચાર શ્રેણીબદ્ઘ વ્યાખ્યાનો આપીને ઝવેરચંદ મેઘાણીએ ત્યાં ઉપસ્થિત દેશવિદેશના સેંકડો વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા. 'મેઘાણીજી દિલ કે તાર હિલા ગયે !'.આખા શાંતિનિકેતનનું વાતાવરણ લોકગીતોના વિષય વડે છવાઈ ગયું. સહુ શ્રોતાઓએ પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું. અમારા કાન પર તમારા આ લોકસ્વરો એ જાણે અમારા પોતાના હોય, ને અમારી ભૂમિનાં પડમાંથી જાણે અમે સદા સાંભળ્યા કર્યા હોય, તેવા લાગે છે; સ્વરો સાથે રચનાઓ, મરોડો, ભાવસ્પંદનો, ભાષામર્મો ને ચિત્રોના પ્રકારો — બધું જ અમારું લાગે છે.લૃ માનપત્ર પણ અર્પણ થયું, તેનો નમ્રભાવે સ્વીકાર કરતી વેળાના 'આ તો પ્રેમપત્ર છે' એવા હૃદયસ્પર્શી, સ્વયંસ્ફૂર્ત ઉદ્ગાર થકી સહુનાં દિલ જીતી લીધાં.
અમદાવાદ-શાહીબાગ સ્થિત સર ચિનુભાઈ બેરોનેટના બંગલા 'શાંતિકુંજ'ખાતે ૧૬-૧૭ માર્ચ ૧૯૨૯થી રોજ યોજાયેલગુજરાત સાહિત્ય સભાના રજત-મહોત્સવ કાર્યક્ર્મ દરમિયાન ઝવેરચંદ મેઘાણીને લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન બદલ ૧૯૨૮દ્ગટ સહુપ્રથમ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત થયો હતો. કેશવલાલ ધ્રુવ, ડો. હરિપ્રસાદ દેસાઈ, રામનારાયણ પાઠક, ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' સહિત અનેક વિદ્વાન સાક્ષરો ઉપસ્થિત હતા. સાહિત્યજગતમાં પોતાનું હજુ સાત જ વર્ષનું શિખાઉ શૈશવ ચાલી રહ્યું છે તેમ ઝવેરચંદ મેઘાણીએ વિનમ્રપણે જણાવ્યું હતું.(૨૨.૭)