Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાભીના પ્રેમમાં ગળાડૂબ યુવાને ભાઇને પતાવી દીધો

યુ.પી.ના અજયને ભાભી મમતા સાથે પ્રેમ થઇ જતાં મોટા ભાઇ સુનિલને રહેંસી ભાભીને લઇ ભાગી ગયો'તોઃ બંને વડોદરાથી યુ.પી. જવા ટ્રેન પકડે એ પહેલા થોરાળા પોલીસની ટીમે પકડી લીધાઃ ૪ તારીખે રાત્રે અજય અને મમતએ મળી કાસળ કાઢી નાંખ્યું: લાશ ગોદડામાં વીંટી ઘર પાસે નાલામાં ફેંકી દીધી'તી : મુળ યુ.પી.નો સુનિલ રાજકુમાર અથરીયા (ઉ.૨૫) ગુમ થતાં પોલીસને જાણ કર્યા વગર પિતાએ શોધખોળ શરૂ કરી'તીઃ અજય અને મમતા પણ અજાણ બની સુનિલને શોધવામાં સામેલ થયા'તાઃ છઠ્ઠીએ બંને ગાયબ થયા અને ગઇકાલે સુનિલની મીરા ઉદ્યોગના નાલામાંથી કોહવાયેલી લાશ મળતાં પોલીસ હરકતમાં આવીઃ મોબાઇલ લોકેશનથી દિયર-ભાભી પકડાયા : ખુદ માતા અને કાકાએ જ માસુમ ભાઇ-બહેનને પિતા વિહોણા કરી દીધા

જ્યાંથી લાશ મળી એ નાલુ અને કોહવાયેલી લાશ તથા ઇન્સેટમાં હત્યાનો ભોગ બનનાર સુનિલકુમારનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: નવા થોરાળા વિસ્તારમાં રહેતો મુળ ઉત્તરપ્રદેશનો સુનિલ રાજકુમાર અથરીયા (ઉ.૨૫) નામનો યુવાન ગત ૫મીએ ગૂમ થયો હતો. આ યુવાનની ગત સાંજે મીરા ઉદ્યોગનનગરના મહાદેવના મંદિર પાસેના નાલામાંથી કોહવાયેલી લાશ મળી આવવાની સાથે ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી પણ સામે આવી હતી. સુનિલને તેના જ ઓરમાન ભાઇ અજયએ પોતાની ભાભી એટલે કે સુનિલની પત્નિ મમતા સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતાં ચકચાર મચી ગઇ હતી. ભાભી સાથે આડાસંબંધમાં અંધ બનેલા અજયએ ભાઇનું કાસળ કાઢી નાંખ્યાની ઘટનામાં થોરાળા પોલીસે લાશ મળ્યાના ગણત્રીના કલાકોમાં સમગ્ર ભેદ ઉકેલી નાંખ્યો હતો.

ચોંકાવનારી ઘટનાની જાણવા મળેલી વિગતો જોઇએ તો ગત સાંજે મીરા ઉદ્યોગનગરના નાલામાં એક પુરૂષની ગોદડામાં વિંટાળેલી કોહવાયેલી અને દુર્ગંધ મારતી લાશ પડી હોવાની જાણ થતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજા અને રાઇટર પૃથ્વીસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક કોણ છે? તે અંગે તપાસ શરૂ કરતાં લાશ જ્યાંથી મળી ત્યાંથી પચાસેક મિટર દૂર થોરાળાના શિવનગરમાં રહેતો અને કારખાનામાં કામ કરતો મુળ યુ.પી.નો સુનિલ રાજકુમાર અથરીયા (ઉ.૨૫) તા. ૫થી ગૂમ થઇ ગયાની ખબર પડી હતી.

જો કે સુનિલ ગૂમ થયાની પોલીસ મથકમાં કોઇ નોંધ કરાવાઇ નહોતી. પોલીસને આ વિસ્તારમાં રહેતાં વૃધ્ધ રાજકુમાર અથરીયા મળ્યા હતાં. તેણે પોતાનો પુત્ર સુનિલ ગૂમ હોવાનું કહેતાં પોલીસે તેને કોહવાયેલો મૃતદેહ બતાવ્યો હતો. જે પોતાના પુત્ર સુનિલનો જ હોવાનું તેણે ઓળખી બતાવ્યું હતું.

પોલીસે વિશેષ પુછતાછ કરતાં રાજકુમાર અથરીયાએ પોતાનો નાનો પુત્ર અજય અને સુનિલની ઘરવાળી મમતા પણ છઠ્ઠી તારીખથી ગાયબ હોવાની વાત કરતાં પોલીસને દાળમાં કંઇક કાળુ હોવાની શંકા ઉપજી હતી. ઘટના હત્યાની હોવાના શંકાસ્પદ મુદ્દાઓ સામે આવતાં એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મુકેશભાઇ રબારી, ભુપતભાઇ, કનુભાઇ ઘેડ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મકવાણા,  કિશનભાઇ, વિજયભાઇ, એએસઆઇ જે. કે. જાડેજા, પૃથ્વીરાજસિંહ સહિતની ટીમે દોડધામ શરૂ કરી દીધી હતી.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે સુનિલ ગૂમ થયાની ખબર પડતાં પોતાની રીતે શોધખોળ શરૂ કરી હતી. તે વખતે અજય અને મમતા પણ પોતે કંઇ જાણતા ન હોવાનું કહી શોધખોળમાં સામેલ થયા હતાં. પણ છઠ્ઠી તારીખે બંને ગાયબ થઇ ગયા હતાં. પોલીસે મોબાઇલ લોકેશનને આધારે તપાસ કરતાં પહેલા અમદાવાદમાં લોકેશન મળ્યું હતું. ગત સાંજે વડોદરાનું લોકેશન મળતાં એએસઆઇ બી. જે. જાડેજા અને ટીમ તાબડતોબ ત્યાં પહોંચી હતી. જ્યાં રેલ્વે સ્ટેશનેથી અજય અને મમતા યુ.પી. જવા માટેની ટ્રેન પકડે એ પહેલા દબોચી લેવાયા હતાં. 

પ્રારંભે તો અજય અને મમતાએ પોતે કંઇ જાણતા ન હોવાનું ગાણું ગાયુ હતું. પણ પોલીસે કડક બની પુછતાછ આરંભતા જ મર્ડરમિસ્ટ્રી ખુલી ગઇ હતી. અજયએ પોતે ભાભી મમતાને પ્રેમ કરતો હોવાથી અને સુનિલ તેમાં આડખીલીરૂપ બનતો હોવાથી મમતા સાથે મળીને ભાઇ સુનિલને પતાવી દીધાને કેફીયત આપી હતી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બીજી તરફ આજે સવારે રાજકોટમાં લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

ભાઇ અને પત્નિના હાથે હત્યાનો ભોગ બનેલા સુનિલના પિતા રાજકુમાર અથરીયા સુનિલની બાજુમાં જ અલગ રહે છે. તેણે પ્રથમ પત્નિના મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા છે. અજય નવી પત્નિનો પુત્ર છે.  સુનિલકુમાર  ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેની બહેનનું નામ રીટા છે. સુનિલ અને તેનો પરિવાર સતરેક વર્ષથી રાજકોટ રહે છે. સુનિલે સાત વર્ષ પહેલા ગામની જ યુવતિ મમતા સાથે લવમેરેજ કર્યા હતાં. તેને એક પુત્રી ગોલુ (ઉ.૬) અને એક પુત્ર બાબુ (ઉ.૪) છે. ખુદ માતા અને કાકાએ જ આ માસુમ સંતાનો ઉપરથી તેના પિતાની છત્રછાંયા છીનવી લેતાં બંને પર ફિટકાર વરસી રહ્યો છે.

અજયએ ગમછાથી સુનિલને મુંગો દઇ દીધો, શ્વાસ રૃંધાયા નહિ ત્યાં સુધી મમતાએ પગ પકડી રાખ્યા

પ્લાન મુજબ ગુરૂવારે રાત્રે મમતાએ સુનિલ દારૂ પી ઘરે આવ્યો હોવાનો ફોન કર્યો ને અજય નાઇટ શિફટમાંથી ઘરે આવ્યો

.હત્યાની સનસનાટીભરી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. સુનિલને પતાવી દેવા તેની પત્નિ મમતા અને ભાઇ અજયએ પ્લાન ઘડ્યો હતો. એ મુજબ મમતાએ ગુરૂવારે મોડી રાત્રે બારેક વાગ્યા આસપાસ સુનિલ નશો કરીને આવ્યો હોઇ તક જોઇ અજયને ફોન કર્યો હતો. આ વખતે અજય નાઇટ શિફટમાં કારખાનામાં કામ કરતો હતો. પ્રેમિકા ભાભી મમતાનો ફોન આવતાં જ અજય કારખાનેથી કામનું બહાનુ કરી ઘરે આવ્યો હતો અને મોટા ભાઇ સુનિલને ગમછાથી મોઢે મુંગો દઇ દીધો હતો અને પછાડી દીધો હતો. સુનિલે છુટવા માટે ધમપછાડા કરતાં પત્નિ મમતાએ તેના પગ પકડી રાખ્યા હતાં. સુનિલ તરફડીને શાંત ન થઇ ગયો ત્યાં સુધી મમતાએ પગ પકડી રાખ્યા હતાં. એ પછી બંને ગોદડામાં લાશ વિંટાળી ઘરથી પચાસેક મિટર દૂર નાલામાં ફેંકી આવ્યા હતાં. બાદમાં અજય ફરીથી કારખાને કામે જતો રહ્યો હતો અને મમતા કંઇ બન્યું ન હોય તેમ સુઇ ગઇ હતી.

(4:12 pm IST)