Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ત્રંબકેશ્વર મંદિર - ત્રિવેણીઘાટનો વિકાસ કરાશે : રાજુભાઈ ધ્રુવ

ત્રંબામાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં ત્રિવેણીઘાટમાં અમાસનો લોકમેળો સંપન્‍ન : યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા.૪.૫૨ કરોડના ખર્ચે વિકાસના કામો ચાલુ : ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયાની ગ્રાન્‍ટમાંથી પાંચ લાખના ખર્ચે સીસી રોડ બનશે

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ તાલુકાના ત્રંબા ગામ ખાતે પ્રાચીન ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં અને ત્રિવેણીઘાટના પટાંગણમાં અમાસના પવિત્ર દિવસે યોજાયેલ ભવ્‍ય ગ્રામ્‍ય લોકમેળાનું અધ્‍યક્ષ સ્‍થાનેથી ઉદ્દઘાટન કરતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને પ્રદેશ ભાજપ પ્રવક્‍તા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે જયોતિર્લિંગ ત્રંબકેશ્વરની જેમ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને ત્રિવેણીદ્યાટનો બેનમૂન તથા બેજોડ વિકાસ કરાશે. આ પવિત્ર જગ્‍યાના વિકાસની અનેકવિધ તકો છે જેને ધ્‍યાનમાં લઈને મારા પવિત્રધામ વિકાસ બોર્ડના કાર્યકાળ દરમ્‍યાન ગત વર્ષ રૂ ૪.૫૨ કરોડ મંજૂર કરવામાં આવ્‍યા હતા જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં મંદિરના ત્રિવેણીદ્યાટ ત્રિવેણી નદીમાં સ્‍નાન કરવા આવતા બહેનોને વષા પરિધાન માટે ચેન્‍જ રૂમ,બાથરુમ રસોડું તથા ટોઇલેટના કામો પ્રગતિમાં છે. આ યાત્રાધામ સૌરાષ્ટ્રનું પ્રથમ પંક્‍તિનું યાત્રાધામ બને તેવી અમારી નેમ છે. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી નાના મોટા યાત્રા ધામોનું તેમજ વિવિધ છેવાળાના સમાજોના ધાર્મિક સ્‍થાનકોનું પણ યાત્રાધામ બોર્ડ દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે.

શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે વિશ્વમાં આપણા દેશની લોકશાહી મોટી છે. આ લોકશાહીને મજબૂત બનાવવામાં આપણી સંસ્‍કૃતિ, સહિષ્‍ણુતા અને સર્વ ધર્મ સમભાવએ અગત્‍યના પરિબળ છે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વમાં પ્રજા કલ્‍યાણ અને વિકાસના અનેકવિધ કાર્યો જુદાજુદા ક્ષેત્રોમાં હાથ ધરાઈ રહ્યા છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની પ્રજાને પીવાના પાણી માટે મુશ્‍કેલી ન પડે તે માટે ત્રીજી વખત નર્મદાના નીરનું આજી ડેમમાં અવતરણ કરેલ છે. નર્મદા નદીએ આપણે આંગણે આવેલ છે. ગંગા નદી પછી નર્મદા નદીને પવિત્ર ગણવામાં આવે છે.

આ યાત્રાધામ એક રમણીય નજરાણું અને ઘરેણું બને તે માટે આપણે સહિયારા પુરૂષાર્થ કરીએ અને વિકાસ માટે વધુ રકમની જરૂર હશે તો અમે લાવશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં અમાસના દિવસે પરંપરાથી લોકમેળો યોજાય છે. કિમવદંતી મુજબ આ ત્રંબકેશ્વર મહાદેવના શિવલીંગની સ્‍થાપના પાંડવોએ તેના વનવાસ દરમ્‍યાન કરી હોવાનું કહેવાય છે.

 છેલ્લા ૨૫ વર્ષથી ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા લોકમેળો યોજવામાં આવે છે આજે મેળામાં આવતા લોકો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ છે તેમજ ઋષિ પાંચમના દિવસે પિતૃતર્પણ માટે બહેનો મોટી સંખ્‍યામાં આવે છે અને ત્રિવેણી દ્યાટમાં સ્‍નાન કરે છે તે દિવસે પણ યોજાતા લોકમેળામાં આવતા લોકો માટે ફરાળ તથા પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે

અતિથિવિશેષ પદેથી ધારાસભ્‍યશ્રી લાખાભાઈ સાગઠીયાએ તેમની ગ્રાન્‍ટમાંથી પાંચ લાખના ખર્ચે ગામથી ઘાટ સુધી સીસી રોડ બનાવવા માટે જાહેરાત કરી હતી.  ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્‍યું હતું કે,આપણી સંસ્‍કૃતિને જીવંત રાખવામાં લોકોત્‍સવ તથા લોકમેળાનો મોટો ફાળો છે. પૂર્વ ધારાસભ્‍યશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું કે, રાજુભાઈ ધ્રુવના પ્રયત્‍નોથી આ જગ્‍યાનું ૪.૫૨કરોડના ખર્ચે વિકાસ અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે

આ પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વલ્લભભાઈ શેખલીયા, આર્કિટેક ઈજનેરશ્રી મીરાબેન ચતવાણી, અગ્રણીઓ શ્રી મનહરભાઈ બાબરીયા, મહંતશ્રી, તેજસ ગોરસીયા, મનુભાઇ ત્રાપસીયા,  શ્રીચેતનભાઇ ઠુમ્‍મર, સરપંચ શ્રી રતિભાઇ ત્રાપસીયા, જીવરાજભાઈ ત્રાપસીયા,સંજયભાઈ ત્રાપસીયા વિ. ઉપસ્‍થિત રહ્યા હતા. આ લોકમેળાના સફળ આયોજન માટે યુવા ગ્રુપના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(4:19 pm IST)