Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પ્રભુ! પ્રભુ બનવું તારી મોનોપોલી નથી, તારૂ જ શરણું લઇ હું પ્રભુ! બની શકીશ...

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દર વર્ષે આવે અને દર વર્ષે બધા ઉજવે. પર્યુષણ શા માટે ઉજવવાના હોય ?

પર્યુષણ આત્માને શુધ્ધ કરવા માટે હોય, જેમને આત્માને શુધ્ધ કરવાના ભાવ હોય, આત્માને શુધ્ધ કરવાનું લક્ષ હોય એમને માટે પર્યુષણ પુરૂષાર્થ પ્રારંભ કરવાનું પરિબળ હોય છે.

જે શુધ્ધ થાય છે તે સિધ્ધ થાય છે.

પર્વાધિરાજ પર્યુષણનો સંદેશ છે.

નિરાશાને ખંખેરી નાંખો :

ઘણા બધાં માનતા હોય છે કે, ગમે તેટલું કરવા છતા મારો ક્રોધ શાંત થતો નથી, મારા રાગ દ્વેષ ઘટતાં નથી, મારાથી આ થઇ શકતું નથી, હું આ કરી શકું નહી...

આજે તમારી આ માન્યતાઓનું પરિવર્તન કરી ધ્યો. તમારા આત્માને એક આશ્વાસન આપો.

તમે પણ શુધ્ધ થઇ શકો છો, તમે પણ સિધ્ધ થઇ શકો છો. તમારી અંદરમાં એક વિશ્વાસને દ્રઢ કરી દયો.

જે મારા પરમાત્મા કરી શકે છે, તે હું કરી શકું છુ. મારા પ્રભુએ જે કર્યુ છે એ હું પણ કરી શકું છુ, હું પણ મારા આત્માને શુધ્ધ કરી, સિધ્ધ બની શકું છુ. હું પણ પ્રભુ બની શકું છુ. પર્વાધિરાજ પર્યુષણ અવસરે  પ્રભુને પ્રાર્થના કરો...

હે પ્રભુ ! હું અશુધ્ધ છુ. માટે તારા શરણે શુધ્ધ થવા આવ્યો છુ. મારે અશુધ્ધમાંથી શુધ્ધ થવું છે. મારે અવગુણીમાંથી ગુણવાન બનવું છે. મારે દોષીમાંથી દોષમુકત થવું છે. પ્રભુ ! તમે શુધ્ધ બની ગયા છો અને મને માર્ગ આપી ગયા છો કે શુધ્ધ બની શકાય છે. પ્રભુ ! મારે શુધ્ધ થવું છે. આ પ્રાર્થના સાથે સાથે સ્વયંમાં રહેલા નેગેટીવભાવને દૂર કરો, તમારા અંદરમાં રહેલી નિરાશાને ખંખેરી નાંખો.  મારાથી કંઇ થતું નથી. આટલા વર્ષો પર્યુષણ ઉજવ્યા. આટલી આરાધના - સાધના કરી પણ કંઇ વધારે ફરક પડતો નથી. મારાથી કાંઇ થતુ નથી, મારાથી કાંઇ થશે નહી. આવા નિરાશાના ભાવોને ખંખેરી નાખો.

શુધ્ધિ હર એક આત્મા કરી શકે છે, જે પુરૂષાર્થ કરે છે તે અવશ્ય શુધ્ધ થાય છે, જે પુરૂષાર્થ નથી કરતા તે અશુધ્ધ રહી જાય છે.

આજે તમારા આત્માને એક પોઝીટીવ મેસેજ આપો, હું પણ શુધ્ધ થઇ શકું છુ. હું પણ મારા આત્માને પરમાત્મા બનાવી શકું છુ. મારામાં પણ પરિવર્તન આવી શકે છે. જો હું પુરૂષાર્થ કરીશ તો હું પરમાત્મા જેવો બની શકીશ.

મારાથી ન થઇ શકે એ તમારી નિરાશા છે અને મારાથી થઇ શકે, એ  તમારો પુરૂષાર્થ છે.

આજે અંતરમનમાં એક વાત સ્થિર કરી દયો કે, પ્રભુ બનવું એ પ્રભુ દ્વારા મારા પર કરેલી કૃપા છે, પ્રભુ કહે છે, આજે હું જેવો છું તેવો તું પણ બની શકે છે. જે મારૂ સ્થાન છે, ત્યા તારૂ સ્થાન પણ બની શકે છે, જે મારૂ જ્ઞાન છે તેવું તારૂ જ્ઞાન પણ પ્રગટી શકે છે, જે મારા ભાવ છે, તેવા તારા ભાવ પણ થઇ શકે છે.

જૈનધર્મનો આ સર્વશ્રેષ્ઠ સિધ્ધાંત છે.જેવા મારા પરમાત્મા તેવો હું, જેવો પુરૂષાર્થ એમણે કર્યો, તેવો પુરૂષાર્થ હું પણ કરી શકું છુ. જેવી પાત્રતા મારા પ્રભુ મહાવીરની, જેવી પાત્રતા પ્રભુ આદિનાથની અને જેવી પાત્રતા સર્વ તીર્થંકર પરમાત્માની, તેવી જ પાત્રતા મારામાં પણ છે માત્ર એને પ્રગટ કરવાની જરૂર છે. માટે જ, આજથી નિરાશાને ખંખેરી નાંખો અને એક દ્રઢ નિર્ણય પર આવો કે, પ્રભુ ! એક દિવસ હું પણ તારા જેવો બનીશ, આ તમારા નિર્ણયને તમારી ભાવના બનાવી દયો અને દરરોજ એ ભાવને દ્રઢ કરો તો એક દિવસ પુરૂષાર્થનો પ્રારંભ પણ થઇ જશે. આજે નિર્ણય કરશો તો કાલે પુરૂષાર્થ થશે. કાલે પુરૂષાર્થ થશે તો પરમ દિવસે સફળ થઇ શકશો.

પણ ખોટ કયાં છે ? પ્રોબ્લેમ કયાં છે ?

દર વર્ષે પર્યુષણ આવે છે. દર વર્ષે તમે તમારી ડોલ કુવામાં નાંખો છો. ડોલ ભરાય એટલે દોરી ખેંચી બહાર કાઢો છો, પણ ડોલ જયાં ઉપર આવે છે ત્યાં સુધીમાં તો ખાલી થઇ ગઇ હોય છે.

દર વર્ષે ધર્મક્ષેત્ર રૂપી કુવામાં તમે તમારા આત્માને પ્રભુ જ્ઞાનવાણીથી ભરવા લઇ આવો છો. આઠ દિવસ તમને લાગે છે કે મારી હોલ ભરાય ગઇ છે પણ જેવા પર્યુષણ પૂરા થાય અને ધાર્મિક વાતાવરણમાંથી બહાર આવો ત્યારે સમજાય કે મારી ડોલ તો ખાલી જ છે. ડોલ ભરાયેલી કેમ નથી રહેતી ? કેમકે, ડોલમાં નીચે નિરાશારૂપી કાણું છે. ગામડામાં જયારે ડોલમાં કાણું પડી જાય ત્યારે લોકો તેમાં રેણ કરાવે એટલે કાણું બંધ થઇ  જાય, પછી પાણી નીકળી ન જાય.

પર્વાધિરાજ પર્યુષણ તમારી ડોલમાં પડેલા નિરાશાના કાણાં પર રેણ મારવા માટે છે, રેણ શેનાથી મરાય ?

નિરાશાનું રેણ છે પોઝીટીવીટી, તમારો આત્મવિશ્વાસ, તમારો સંવેગ ભાવ ! મારાથી કંઇ નહી થાય - તો ડોલ ખાલી થઇ જવાની છે. મારાથી બધુ થઇ શકશે તો ડોલ ભરાય જવાની છે.

જરૂર શેની છે ? ડોલ ભરવાની કે કાણું બંધ કરવાની ? પુરૂષાર્થ શેનો કરવો જોઇએ ? પહેલા ડોલ ભરવાનો કે પહેલા કાણું બંધ કરવાનું?

મારે પહેલા કાણા બંધ કરવા છે, મારે પહેલા મારી નિરાશા અને નેગેટીવીટીને દૂર કરવા છે. મારે મારી નિરાશાને ખંખેરી નાંખવી છે. મારાથી પણ શુધ્ધિ થઇ શકે છે. આજે થોડી શુધ્ધિ થશે તો કાલે ચોકકસ થોડી વધારે શુધ્ધિ થશે અને એમ કરતા કરતા એક દિવસ પુર્ણ શુધ્ધ થઇ શકીશ.

તમારી અનિત્યતાની પ્રજ્ઞાને વધારો :

પર્વાધિરાજ પર્યુષણ કોણ ઉજવી શકે ?

પર્વાધિરાજ પર્યુષણ મનુષ્ય જ ઉજવી શકે. આત્મશુધ્ધિ કરી શકાય એવો ભાવ અને એવો ભવ માત્ર મનુષ્યનો જ છે. તિર્યંચના જીવો ક્રોધ કરી શકે પણ ક્ષમાપના ન કરી શકે. આ સમજ માત્ર મનુષ્ય પાસે હોય.

સમજ વધે તો પર્યુષણ સાર્થક કહેવાય.

સમજ ઘટે તો પર્યુષણ નિર્રથક કહેવાય.

પર્યુષણ સંપન્ન થાય ત્યારે તમારી પાસે પ્રભાવનાની મૂડી વધવી જોઇએ કે પ્રભુના પ્રભાવની મૂડી વધવી જોઇએ ? પ્રભુનો પ્રભાવ પ્રજ્ઞાનો હોય.

પ્રજ્ઞાની મૂડી વધારવા વિશુધ્ધિ કરવી જરૂરી છે. જો પ્રજ્ઞા વધે તો પ્રોબ્લેમ ઘટે. જેમ જેમ આત્માની વિશુધ્ધિ થતી જાય, તેમ તેમ પ્રજ્ઞાનું પ્રાગટય થતું જાય.

આત્મની વિશુધ્ધિ કરવા અને પ્રજ્ઞાનું પ્રાગટય કરવા અનિત્યતાનો ભાવ અનુભવાવો જોઇએ.

સંસારમાં આત્માને અશુધ્ધ કરનારા અનેક તત્વોમાંથી ત્રણ મુખ્ય તત્વો છે. શરીર, સબંધો અને સંયોગો. આત્માને અશુધ્ધ કરનારા તમામ ભાવોની પાછળ ત્રણ માન્યતાઓ મુખ્ય ભાગ ભજવે છે.

શરીર શાશ્વત, સંબંધો શાશ્વત, સંગોયો શાશ્વત જો આ માન્યતાનું પરિવર્તન થઇ જાય તો આત્માને અશુધ્ધ કરનારા રાગ દ્વેષ ઘટયા વિના રહે જ નહી, શરીર સબંધો અને સંયોગો અશાશ્વત છે, અનિત્ય છે, આ બોધ જેમને સમજાય તેની શુધ્ધિ થવા લાગે.

પર્વાધિરાજ પર્યુષણમાં તમારા સેલ્ફને બોધ આપી દયો : આત્મા સિવાય બધુ અનિત્ય છે. અશાશ્વત છે. શરીર તો અંતે મૃત્યુ પામવાનો સ્વભાવ લઇને આવ્યું છે. સંબંધો તો બધા એકસપાયરી ડેઇટ લઇને આવ્યા છે. સંયોગો એક પણ કાયમ રહેવાવાળા નથી. આ ત્રણે અનિત્ય છે એને ગમે તેટલા પકડી રાખવાનો પ્રયત્ન કરશો, એ રહેવાવાળા નથી. જો એ રહેવાવાળા નથી તો એની માટે વધારે મોહ રાખવા જેવો નથી. એના માટે વધારે રાગ દ્વેષ કરવા જેવા નથી.

જેમ-જેમ અનિત્યતાની પ્રજ્ઞા વધે છે. વ્યકિત જયાં હોય, ત્યાં શાંતિથી રહી શકે છે. જેમની પાસે અનિત્યતાની સમજ નથી એમની અશાંતિનો પાર નથી.

પર્યુષણના અવસરે, આત્મશુધ્ધિના લક્ષ સાથે તમારે સર્વ પ્રથમ તમારી માન્યતાઓનું પરિવર્તન કરવાનું છે.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એક એવું પર્વ છે. જયાં ઓટોમેટીક ભાવ જાગૃત થઇ જાય છે. અંદરથી એક પ્રેરણા જાગે છે. પોતાના આત્મા માટે કંઇક કરવાનો ઉલ્લાસ ભાવ પ્રગટે છે, પછી એ નાના બાળકો હોય, યંગસ્ટર્સ હોય કે વડીલો હોય, કયારેય ધર્મસ્થાનકમાં ન આવનારને પણ આ આઠ દિવસ ધર્મસ્થાનકમાં આવવાના અને ધર્મસાધના કરવાના ભાવ થાય છે અને એ દિશામાં પુરૂષાર્થ પણ કરે છે.(૪૫.૨)

(12:11 pm IST)