Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

છૂટાછેડા થયા બાદ ડીપ્રેશનમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

કોઠારિયા સોલવન્ટ કવાર્ટરમાં બનાવ : માતા અને બહેને પ્રેમલતાબેનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્યો : પરિવારનો શોક

રાજકોટ,તા. ૧૦ : કોઠારિયા સોલવન્ટ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ વોર્ડ કવાર્ટર નં. ૧૦૫૦માં છ માસથી માવતરના ઘરે રહેતા પ્રેમ લતાબેન ભીખુભાઇ ગોહેલ (ઉવ.૨૮)એ રૂમમાં છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા અને બહેન બહારથી ઘરે આવ્યા ત્યારે પુત્રી પ્રેમ લતાબેનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પાડોશીએ ડીસમીસ વડે દરવાજો ખોલ્યો હતો. અને તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી યશ વાડોલીયાએ તપાસ કરતા પરિણીતાનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ કરતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ વી.બી.સુખાનંદી તથા કિરીટભાઇ રામાવતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક પ્રેમલતાબેને તા. ૧૬/૧ ના રોજ રાજકોટમાં રહેતા અમીત નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતા તા. ૧૮/૫ના રોજ તેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારથી તે ડીપ્રેશનમાં રહેતા હોય તેથી તેણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ હતું.

(3:12 pm IST)