Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કોચીંગ-ટ્યુશન કલાસ ખોલવાની છૂટ આપતાં પોલીસ કમિશનર

૧૦થી ૨૦ જુલાઇ સુધીના જાહેરનામામાં રાતના ૧૦થી સવારના ૬ સુધી કર્ફ્યુ યથાવતઃ દૂકાનો ખોલવાનો સમય પણ યથાવત : લગ્ન પ્રસંગમાં અગાઉ ૧૦૦ લોકોની છૂટ હતી, તેમાં વધારો કરી ૧૫૦ કરાયાઃ સિનેમા-ઓડિટોરીયમમાં ૬૦ ટકા સુધીની છુટ

રાજકોટ તા. ૨૬: રાજ્ય સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી  માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અગાઉ ૨૬/૬ થી ૯/૭ સુધીનું સુધારા સાથેનું જાહેરનામુ આપ્યું હતું. મુદ્દત પુરી થતાં હવે આગામી ૨૦ જુલાઇ સુધીનું નવું જાહેરનામુ આપ્યું છે. જો કે તેમાં કર્ફયુ સમય રાતના ૧૦ થી સવારના ૬ સુધી તેમજ તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી દૂકાનો ખુલી રાખી શકશે એ નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના તમામ કોચીંગ સેન્ટરો-ટ્યુશન કલાસીસને સ્થળની ક્ષમતાના ૫૦ ટકા છાત્રોની સંખ્યા સાથે બેચવાઇઝ ખુલ્લા રાખવાની છુટ અપાઇ છે. તો સાથો સાથ લગ્ન પ્રસંગોમાં પણ સંખ્યા ૧૦૦ હતી તે વધારીને ૧૫૦ હાજર રહી શકે તે માટેની છુટ અપાઇ છે.

અગાઉના જાહેરનામા મુજબ સિનેમા થિએટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળોને ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવાની મંજુરી અપાઇ હતી. તેમાં હવે ૧૦ ટકાનો વધારો કરી ૬૦ ટકા કેપેસિટી સાથે ખુલ્લા રાખવાની છુટ અપાઇ છે. જો કે આ બધા સાથે સંકળાયેલા લોકોએ વેકસીન લઇ લેવી ફરજીયાત છે. શૈક્ષણિક સંસ્થાઓ (ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટરપાર્ક, સ્પા અને સ્વિમીંગ પુલ હજુ પણ બંધ જ રાખવાના રહેશે.  રેસ્ટોરન્ટ પણ અગાઉની છુટછાટ મુજબ ૬૦ ટકાની કેપેસીટી સાથે રાતના ૯ સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨:૦૦ સુધી હોમ ડિલીવરી (Home Delivery)ની સુવિધા ચાલુ રાખી શકાશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા દરમિયાન લોકોએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહીં, રખડવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી.

 તમામ દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૦૯:૦૦થી રાત્રીના ૯:૦૦ સુધી ખુલ્લા રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ તા.૩૧/૦૭ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજયીક એકમોચાલુ રાખી શકાશે નહી.)

 જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯:૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે. અંતિમ ક્રીયા/દફન વિધીમાં ૪૦ (ચાલીસ) વ્યકિતઓ સામેલ થઇ શકશે.  લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ અગાઉ મહત્તમ ૧૦૦ (સો) લોકોની મંજૂરી અપાઇ હતી, તેમાં વધારો કરીને હવે ૧૫૦ (એકસો પચાસ) લોકોની મંજુરી અપાઇ છે. લગ્ન માટે ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતું બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં) લોકો એકત્રિત થઈ શકશે.

આ ઉપરાંત ધોરણ ૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો-ટ્યુશન કલાસીસ અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરિક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો તેની ક્ષમતાના ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતો સાથે ચાલુ રાખી શકાશે. સંચાલકો-માલિકો, શિક્ષકો, કર્મચારીઓએ ૩૧/૭ સુધીમાં કોરોના વેકસીનનો એક ડોઝ લઇ લે તે ફરજીયાત રહેશે. જો વેકસીન નહિ લે તો આવા કલાસીસ-કોચીંગ સેન્ટર, ટ્યુશન કલાસ ચાલુ રાખી શકાશે નહિ.

તેમજ શાળા-કોલેજ-અન્ય સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરિક્ષાઓ પણ ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે.

વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે  ચાલુ રાખી શકાશે. પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. પબ્લીક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યુમાંથી મુકિત આપવામાં આવે છે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. (રમત ગમતમાંભાગ લેનાર ખેલાડી, સ્પોર્ટસ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લેઇ લેવો ફરજીયાત છે)

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો,મહત્તમ ૬૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. (અગાઉ ૫૦ ટકાની છુટ હતી, તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦ જુન સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે)

શૈક્ષણીક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

૩૧/૭ સુધીમાં જેને ફરજીયાત વેકસીન લેવાની છે તે પૈકીના કોઇપણ વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોઇ તેવા કિસ્સાઓમાં ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/હોસ્પીટલમાંથી  રજા આપ્યાની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામ લોકોએ ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  • અમલવારી સમય

આ જાહેરનામા હુકમનો અમલ તા. ૧૦/૦૭/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ થી તા. ૨૦/૦૭/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ સુધી કરવાનો રહેશે. તેમ વધુમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(1:03 pm IST)