Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કર્મકાંડી કમલેશભાઇને મરવા મજબૂર કરનાર દિલીપ કોરાટ રિમાન્ડ પરઃ રાત લોકઅપમાં વિતાવીઃ પૈસા ચુકવી દીધાના કોઇ પુરાવા નથી

પુત્ર અંકિત, પિતા કમલેશભાઇ પછી પુત્રી કૃપાલીએ પણ દમ તોડ્યોઃ લાબડીયા પરિવારમાં કલ્પાંત :દિલીપના બેંક સ્ટેટમેન્ટ સહિતની વિગતો તપાસવા તજવીજઃ વકિલ આર. ડી. વોરા હજુ ફરાર : કમલેશભાઇએ ઝેર પીધાની ખબર પડતાં જ દિલીપ અમદાવાદ ભાગી ગયો હતોઃ વકિલ કયાં છે એની પોતાની ખબર નહિ હોવાનું રટણ : ભાઇ અંકિત, પિતા કમલેશભાઇ પછી દમ તોડનાર બહેન કૃપાલી લાબડીયા

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામે શિવમ્ પાર્ક-૩માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ તા. ૩ના રોજ પોતાના દિકરા અંકિત (ઉ.વ.૨૨), પુત્રી કૃપાલી (ઉ.વ.૨૧)ને 'કોરોનાની દવા છે' કહી ઝેરી દવા પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધી હતી.  સારવારમાં પહેલા અંકિતનું મોત થયા બાદ કમલેશભાઇએ દમ તોડી દીધો હતો. આ બનાવમાં પોલીસે કમલેશભાઇ લાબડીયા સામે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવી પોતે પી લેવા અંગે હત્યા, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવારને અંતે રવિવારે મધર્સ ડેના દિવસે દિકરી કૃપાલીએ પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બીજી તરફ કમલેશભાઇને મરવા અને સંતાનોને મારવા મજબૂર કરવા બદલ નોંધાયેલા ગુનામાં તાલુકા પોલીસે એક આરોપી દિલીપ જીવરાજભાઇ કોરાટ (ઉ.વ.૪૬-રહે. 'ધરતી', ઉદયનગર-૧૭, સરદાર કોમ્યુનિટી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે. ગત રાત તેણે લોકઅપમાં પસાર કરી હતી.

તાલુકા પોલીસે આ બનાવમાં કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાની ફરિયાદ પરથી વકિલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરટા સામે આઇપીસી ૩૦૬, ૪૦૬, ૩૮૪, ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવત્રુ કરી કમલેશભાઇનું ૧ કરોડ ૨૯ લાખના મકાનનો સોદો કરી સુથીના રૂ. ૫૧ હજાર અને બીજા ૨૦ લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે કમલેશભાઇ એડવોકેટ રાજેશભાઇ દેવજીભાઇ વોરા (આર. ડી. વોરા)ની ઓફિસે જતાં ત્યાં તેણે અને તથા દિલીપ જીવરાજભાઇ કોરાટ કોરાટે મળી   ૧,૨૯,૫૧,૦૦૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ એકાવન હજાર)ના સોદામાં ચુકવેલા  ૨૦ લાખ ૫૧ હજાર સિવાયના પૈસા તમને આપી દીધા છે અને તેના લખાણની ડાયરીના પાના તમે ફાડી નાંખ્યા છે એવો ખોટો આરોપ મુકી સાટાખત કરી દેવા દબાણ કર્યુ હતું.

આ રીતે પોતાની સાથે છેતરપીંડી થતાં અને ૧,૨૯,૫૧૦૦૦નું મકાન માત્ર ૨૦ લાખ ૫૧ હજારમાં પડાવી લેવા પ્રયાસ થયો હોઇ કમલેશભાઇ ઝેર પીવા અને સંતાનોને પીવડાવવા મજબૂર થયાનો ગુનો નોંધાયો હતો.

ફરાર આરોપીઓ પૈકીનો દિલીપ જીવરાજભાઇ કોરાટ (કારખાનેદાર) અમદાવાદ હાઇવે પર આવ્યો હોવાની બાતમીને આધારે તેને પકડી લઇ કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવતાં તે નેગેટિવ આવતાં તાલુકા પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરાતાં મંગળવાર સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ મળ્યા હોઇ વિશેષ પુછતાછ શરૂ થઇ હતી. જો કે દિલીપે પોતે પુરા પૈસા ચુકવી જ દીધાનું અને કમલેશભાઇએ ડાયરીના પાના ફાડી નાંખ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું. દિલીપે કબુલ્યું હતું કે કમલેશભાઇ પરિવારજનો સાથે ઝેર પી લીધાની ખબર પડતાં જ પોતે રાજકોટથી અમદાવાદ મામાના ઘર તરફ ભાગ્યો હતો. વકિલ વોરા સાથે કોઇ સંપર્ક થયો નહોતો.

જો કે તેણે કમલેશભાઇ લાબડીયાને પૈસા ચુકવ્યા છે એ માટેના કોઇ નક્કર પુરાવા તે પોલીસને આપી શકયો નથી. પોલીસ તેના બેંક સ્ટેટમેન્ટ સહિતની વિગતો પણ તપાસશે. દિલીપે રાત લોકઅપમાં વિતાવી હતી. વકિલ આર. ડી. વોરાની તપાસ યથાતવ રાખવામાં આવી છે.

નોંધનીય છે કે આ બનાવમાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ સાંસદ રામભાઇ મોકરીયા સહિતે આરોપીઓ સામે નક્કર અને તટસ્થ કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ ભરતભાઇ વનાણી, એએસઆઇ આર. બી. જાડેજા, ભરતભાઇ વનાણી, હેડકોન્સ. મોહસીનખાન મલેક, વિજયગીરી ગોસ્વામી, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા અને હરસુખભાઇ સબાડ વધુ તપાસ કરે છે.

(11:55 am IST)