Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કાળમુખા કોરોનાને પડકારતું રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપ: રાજકોટના ચાર યુવાનોએ જામનગરના ડોકટરોના સહયોગથી શરૂ કર્યો સેવાયજ્ઞ

સિવિલ બ્લડબેન્ક અધિકારી ડોકટર કૃપાલ પૂજારાના સહકારથી સિવિલ હોસ્પિટલમાં ટેપિંગ કાર્ય: હિતેન પારેખ,મનોજ રાણપરા,વિશાલ માન્ડલીયા અને મિલાપ શેઠએ કોરોના મહામારીમાં આશાની જ્યોત જગાવી : જામનગર,જૂનાગઢ,અમદાવાદ અને મુંબઈમા પણ કાર્યની નોંધ લઈ ત્યાં પણ આ રીતે પ્લાઝ્મા ડોનેશન પ્રવૃત્તિ શરૂ કરાઈ

રાજકોટ : આજથી લગભગ 1 વર્ષ પહેલાં કોરોના નામની મહામારી આવી, ત્યારે ભાગ્યે જ કોઈને ખ્યાલ આવ્યો હશે કે આ મહામારી આટલા લાંબા સમય સુધી ચાલશે. શ્રમિકો અને રોજમદારોનું જીવન જીવવું આકરું પડી ગયું. સરકાર નિઃસહાય બની ગઈ. લોકો હેરાન પરેશાન થઈ ગયા. પણ જીવન છે એ ચાલતું રહે છે , એ મંત્ર મુજબ જિંદગી પાટે ચડતી રહી. શરૂઆત માં મહામારી ના લક્ષણો મોટાભાગે એક સરખા રહ્યા, બીમારી નવી હતી એટલે સંશોધન કાર્ય પણ સમય માંગી લે તેવું હતું.

એવામાં વૈજ્ઞાનિકોએ એવું શોધ્યું કે કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ થઈ જાય પછી લગભગ ૨૮ દિવસ પછી એમના લોહીમાં એક રોગ પ્રતિકારક તત્વ બને છે જેને પ્લાઝ્માથી ઓળખવામાં આવ્યું. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય એટલે એને સ્વસ્થ થવા માં લગભગ ૧૪ દિવસ જેટલો સમય લાગતો હોય છે. ત્યારબાદ ૨૮ દિવસ પછી એ પ્લાઝ્મા ડોનેટ કરી શકે. તો સાદી ભાષામાં કહીએ તો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે પછી ૪૨ માં દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી શકાય.
આવી સાદી સમજ મેળવ્યા બાદ રાજકોટના ૪ યુવાનો હિતેન પારેખ,મનોજ રાણપરા,વિશાલ માન્ડલીયા અને મિલાપ શેઠ એ જામનગરના સેવાભાવી બેન જિજ્ઞાબેન તન્ના અને ડોકટર મનીષ વિડજાના માર્ગદર્શનથી રમત રમતમાં સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવ્યું. જેનું નામ "રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપ" એવું આપ્યું.  સૌ પ્રથમ કામ એ કરવાનું હતું કે જે વ્યક્તિઓ સંક્રમિત થયા છે એમને શોધવાના, કેમકે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈ જગ્યાએએથી આ પ્રકારનો ડેટા જાહેર કરવાની મનાઈ હતી. એટલે સૌ પ્રથમ ડિજિટલ ફોર્મ બનાવ્યું કે જેમાં સંક્રમિત વ્યક્તિ પોતાનો ડેટા લખી શકે. આમ કરતા કરતા આશરે ૧૫૦  વ્યક્તિઓ એટલે કે પ્લાઝ્મા ડોનરનો ડેટા મળ્યો. હવે પછીનું કાર્ય હતું એમને સમજાવવાનું કે પ્લાઝ્મા ડોનેટ કરવાથી કોઈ તકલીફ પડતી નથી.  ધીરે ધીરે દાતાઓ તૈયાર થવા લાગ્યા અને પછી ટેપિંગની પ્રક્રિયા શરૂ કરી. હોવી ટેપિંગ એટલે એ પ્રક્રિયા કે જેનાથી ડોનરના બ્લડ માંથી પ્લાઝ્મા છૂટું પાડી એને સંગ્રહ કરવો. આ પ્રક્રિયા ખર્ચાળ છે. ખાનગી લેબમાં આશરે ૧૪૦૦૦ ૱ જેટલો આનો ખર્ચ આવે. તપાસ કરતા માલુમ પડ્યું કે આ પ્રક્રિયા સિવિલમાં તદ્દન ફ્રી માં કરી આપવામાં આવે છે. સિવિલ બ્લડબેન્ક અધિકારી ડોકટર કૃપાલ પૂજારાના સહકારથી સિવિલ હોસ્પિટલમાં ટેપિંગ કાર્ય શરૂ કર્યું.
સામાન્ય રીતે કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ થયા બાદ 28 દિવસ બાદ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. અને દર પંદર દિવસે 6 વખત પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. એક પ્લાઝ્મા ડોનેટ પ્રક્રિય માં 2 પ્લાઝ્માના ડોઝ બને છે. એટલે આમ જોઈએ તો સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ થયા બાદ 12 વ્યક્તિઓ ને પ્લાઝ્મા આપી અને જીવન બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.
રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપ આ બધી પ્રક્રિયા માં એક પોસ્ટમેન જેવી ભૂમિકા ભજવે છે. દાતાઓ નો ડેટા મળતા જ એમનો સમ્પર્ક કરી એમને પ્લાઝ્મા ડોનેશન ની અગત્યતા સમજાવે છે અને તેમને પ્લાઝ્મા ડોનેટ કરવા પ્રોત્સાહિત કરે છે. કોઈ પણ ફિસ કે ચાર્જ લીધા વગર દાતા અને લાભાર્થી માટે પૂલની ભૂમિકા ભજવે છે. આશરે 350 કરતા વધુ પ્લાઝ્મા ડોનેશન કરાવી ચુક્યા છે.
રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના મિત્રો સાથે વાત કરતા એ લોકોએ જણાવ્યું કે હાલ મહામારીનું વિકરાળ સ્વરૂપ થતા પ્લાઝ્મા ની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. જે જુના ડોનર હતા એ લોકો એ પોતાની મહત્તમ ક્ષમતા મુજબ પ્લાઝ્મા ડોનેટ કરી આપ્યું છે. ખુશીની વાત એ છે કે ગ્રુપ કમિટીના મેમ્બર મિલાપભાઈ પોતે 8 વખત પ્લાઝ્મા ડોનેટ કરી ચુક્યા છે. જે સેકન્ડ હાઈએસ્ટ પ્લાઝ્મા ડોનેશન છે.
રાજકોટ પલાઝમા ડોનર ગ્રુપની સ્થાપના બાદ જામનગર,જૂનાગઢ,અમદાવાદ અને મુંબઈમા પણ કાર્યની નોંધ લઈ ત્યાં પણ આ રીતે પ્લાઝ્મા ડોનેશન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, જે રાજકોટ માટે ગર્વ ની વાત છે
હવે જરૂર છે નવા દાતાઓની.રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપ તરફથી કોરોના સંક્રમિત લોકો ને અપીલ કરવા માં આવી છે કે તે લોકો આ કપરા કાળ માં આગળ આવે અને પ્લાઝ્મા ડોનેટ કરે. એ માટે એક નમ્બર પણ જાહેર કરવામાં આવ્યો છે. 9409580892 પર મિસ્કોલ કરવાથી કે વોટ્સએપ પર hi લખીને મોકલવાથી એમને ડિજિટલ ફોર્મ મળી જશે.
આ ઉપરાંત હિતેન પારેખ (7575075759), મનોજ રાણપરા(92283 0766),વિશાલભાઈ માન્ડલીયા (8905977776), મિલાપભાઈ શેઠ(9099098190), જિજ્ઞાબેન તન્ના (9998464731) તથા ડોકટર મનીષ વિડજા (9909016684) પર પણ કોન્ટેકટ કરી શકાશે.
એ ફોર્મ  ભરીને આપશો એટલે રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપની ટિમ આપનો સમ્પર્ક કરી પ્લાઝ્મા ડોનેટ કરનારને બધી વ્યવસ્થા કરી આપશે. પ્લાઝ્મા અંગેની સમજ પણ આપશે અને જરૂરિયાત વાળા વ્યક્તિને વાહન ની વ્યવસ્થા પણ કરી આપશે 

(6:58 pm IST)