Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોંગ્રેસનાં રાજમાં દંડની દાદાગીરીમાંથી મળશે મુકિતઃ ગાયત્રીબા

ભ્રષ્ટાચાર મુકત સુશાસન માટે કટીબધ્ધતા દર્શાવતા વોર્ડ નં. ૩ના જાગૃત કોંગ્રેસી ઉમેદવારો : ઇ-મેમો-માસ્કનાં અવ્યવહારૂ દંડઃ રસ્તા-પાણી-સફાઇ-રેલનગર બ્રીજ જેવી સુવિધાઓમાં ભાજપની રાજકીય કિન્નાખોરી છતાં વોર્ડ નં. ૩માં કોંગ્રેસનાં કોર્પોરેટરો દિવસ-રાત મહેનત કરી અંડરબ્રીજ, બગીચાઓ, ડીઆઇ પાઇપ લાઇન, પેવીંગ બ્લોક, બગીચા ડેવલોપમેન્ટના એક જ વર્ષમાં પ૮ કરોડના કામો કરાવ્યા

વોર્ડ નં. ૩ના કોંગ્રેસના ઉમેદવારો 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતેઃ મનપાના ચૂંટણીના કોંગી ઉમેદવારો ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, કાજલબેન પુરબીયા, દિલીપભાઈ આશવાણી, દાનાભાઈ હુંબલે આજે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ 'અકિલા'ના મોભી પૂ. કિરીટભાઈ ગણાત્રાના આશિર્વાદ મેળવ્યા હતા તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: મ.ન.પા.ની ચુંટણીને આડે હવે ૧૦ દિવસ રહયા છે તેથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી લોકસંપર્ક અને ચુંટણી પ્રચાર કરી રહયા છે. ત્યારે વોર્ડ નં. ૩નાં અડીખમ લડાયક મહિલા ઉમેદવાર અને પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તેમજ તેમની પેનલના અન્ય ઉમેદવારો કાજલબેન પુરબીયા, દિલીપ આસવાણી, દાનાભાઇ હુંબલ એ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવી અને કોંગ્રેસ મ.ન.પા.માં ભ્રષ્ટાચાર મુકત સુશાસન  આપવા કટીબધ્ધ હોવાનું જણાવી વર્તમાન ભાજપ શાસનમાં લોકોને ઇ-મેમો, માસ્ક વગેરેના અસહય દંડ વસુલવાની દાદાગીરીમાંથી મુકિત અપાવવા કટીબધ્ધતા દર્શાવી હતી.

આ તકે ગાયત્રીબાએ મ.ન.પા.નો ભાજપ શાસનની વરવી હકીકત જણાવતા કહયું હતુ કે, વોર્ડ નં. ૩માં સતત ૧પ વર્ષથી એટલે કે ત્રણ ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટરોને રહેવાસીઓએ વિજયી બનાવ્યા છે. ત્યારે આ ત્રણ ટર્મ દરમિયાન તમામ કોંગી કોર્પોરેટરોએ મતદારો પ્રત્યે વફાદારી રાખી દિવસ-રાતની મહેનત કરી ભાજપ શાસકોની રાજકીય  કિન્નાખોરીમાં સામા પુરે તરીને સમગ્ર વોર્ડમાં રેલનગર અંડરબ્રીજ, નવો પાણીનો ટાંકો, નવા ટી.પી. રસ્તાઓ, નવા બગીચાઓ, નવી આવાસ યોજનાઓ, ફાયર સ્ટેશન, નવી પાણીની ડી.આઇ. પાઇપ લાઇનો, નવી ટી.પી. સ્કીમોથી અમલવારી જેવા કરોડોનાં વિકાસ કામો કરાવ્યાં છે. જયારે છેલ્લા ૧ વર્ષમાં પ૮ કરોડનાં વિકાસ કામો કરાવેલ છે.

ગાયત્રીબાએ વધુમાં જણાવેલ કે કોરોના મહામારીનાં નામે ભાજપનાં શાસકોએ શહેરીજનો પાસેથી ઇ-મેલો અને માસ્કનાં દંડ, કર્ફયુ બેડા સહિતનાં અનેક અવ્યવહારૂ દંડ વસુલાઇ રહ્યા છે. પ્રજાનો રોષ હોવા છતાં દાદાગીરીથી આવા દંડ વસુલાઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ મ.ન.પા.માં શાસનમાં આવશે કે તુરત જ આવા ખોટા દંડમાંથી પ્રજાને મૂકિત અપાવશે.

તેઓએ વિશેષમાં જણાવેલ કે લોકડાઉન દરમિયાન તમામ રહેવાસીઓને ભેદભાવ વગર ૪ થી પ મહિના સુધી અનાજ-શાકભાજીની કીટનું વિતરણ તેઓએ ત્થા સાથી કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી દ્વારા કરાયેલ ત્થા દરરોજે ર૦૦૦ વ્યકિતઓ માટે રસોડુ પણ ચાલુ રાખ્યું હતું.

આ ઉપરાંત ગાયત્રીબાનાં નેજા તળે મેલડીમાં એજયુકેશન ટ્રસ્ટ મારફત વિસ્તારોમાં દરેક તહેવારોમાં રાહત દરે મિઠાઇ-ફરસાણ વિતરણ, રાશનકીટનું વિતરણ ત્થા ગરીબ બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવે છે.

આમ ગાયત્રીબા ત્થા દિલીપભાઇ આ લોકસેવાની જયોતને કારણે તેઓ તથા તેમની પેનલનાં ઉમેદવાર દાનાભાઇ હુંબલ, કાજલબેન પુરબિયા, વોર્ડ નં.૩ ના રેલનગર, સંતોષનગર, ગાયકવાડી, જંકશન, પરસાણાનગર, સિંધી કોલોની, સાધુવાસવાણી કુંજ, રેફયુજી કોલોની નગર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, કોલસાવાડી, ગાયકવાડી, જામનગર હાઇવે પર નંદનવન, કૃષ્ણપરા,  સત્યમ શિવમ સુંદરમ પાર્ક, ઉપરાંત મ.ન.પા.ની ત્રણ ટાઉનશીપનાં મતદારોમાં સારી એવી લોકચાહનાં ધરાવે છે અને આ તમામ મતદારોએ તેઓને ઝડપી બહુમતીથી ચુંટવા કોલ આપ્યો છે.

ગાયત્રીબા વાઘેલાનો ટુંકો પરીચય

વોર્ડ નં. ૩ના કોંગ્રેસની પેનલના મહિલા ઉમેદવાર શ્રીમતી ગાયત્રીબા એ. વાઘેલા ઉચ્ચ શિક્ષીત અને પ્રજાના પ્રશ્નને સતત સજાગ રહેતા કોર્પોરેટર છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષી નેતા તરીકે અને સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તરીકે શાસક પક્ષ અને તંત્રની પોલખોલ કાર્યક્રમ અંતર્ગત દરરોજ પ્રજાની જુદી જુદી સમસ્યાઓ હલ કરાવવા સતત ઝઝુમતા રહયા છે. રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટની પ્રાથમીક સુવિધાઓ ઉપરાંત ટી.પી.ના રોડ રસ્તા ખુલ્લા કરાવવા અને મ્યુનિસીપલ તંત્ર દ્વારા પ્રજાના કરવેરા થકી એકત્ર થતા નાણાનો દુરઉપયોગ અટકાવવા અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની ઉત્કૃષ્ટ ભુમીકા ભજવી ખરા પ્રજા સેવકની ઇમેજ ઉભી કરવામાં સફળ રહયા છે.

દિલીપભાઇ આસવાણીનો ટુંકો પરીચય

વોર્ડ નં. ૩ ના કોંગી ઉમેદવાર દિલીપભાઇ આસવાણી ર૦૧૦ થી ર૦૧પ સામાજીક લોકોને અવનવી જરૂરીયાતમંદ ધ્યાનમાં લઇ સમાજને બહેનો-દિકરીઓ પોતાના પગભર કરવાના ઇરાદે સગર ટ્રેનીંગ કલાસનું આયોજન કરેલ જેમાં રંગોળી, મહેંદી, રસોઇ, સિલાઇ કામ તથા મેડીકલ કેમ્પ જેવા અવનવા કાર્યક્રમ કરી લોકોના હ્રદયમાં અલગ સ્થાન બનાવવામાં સફળતા મેળવેલ છે.

ર૦૦૦ની સાલથી અત્યાર સુધી ઓમ સાંઇ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી રાજકોટની ગરીબ પ્રજામાં ન કોઇ ભુખ્યુ ન રહે તે માટે સતત ૧૮ જેટલા અન્નરથ ચલાવી પ્રભુનાં આશીષ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહયા છે.

દાનાભાઇ હુંબલનો ટુંકો પરીચય

મહાનગર પાલીકાની ચુંટણી માટે વોર્ડ નં. ૩ ના કોંગ્રેસી ઉમેદવાર તરીકે શ્રી દાનાભાઇ ગગુભાઇ હુંબલની પસંદગી થવા પામી છે. વોર્ડ નં.૩ માંથી કોંગ્રેસની પેનલના ઉમેદવાર તરીકે તેઓ પ્રથમવાર ચુંટણી લડવા જઇ રહયા છે. જે કોંગ્રેસના સાથી સભ્યોનો તેમના કાર્ય પર રહેલો વિશ્વાસ દર્શાવે છે. વર્ષોથી પરોક્ષ રીતે કોંગ્રેસના એક સક્ષમ કાર્યકર તરીકે તેમણે પોતાની ભુમીકા ભજવી છે.

વોર્ડ નં.૩ માં જ આવેલ સાંઇબાબા સોસાયટીના પ્રમુખ તરીકે સનરાઇઝ સ્કુલ શ્રી મીનાબેન ગગુભાઇ હુંબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમજ પેટ્રોલીયમ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સંભાળતા છેલ્લા ૪૦ વર્ષોથી રેલનગર એરીયામાં જ પ્રજા વચ્ચે રહી લોકોના પ્રશ્નો માટે રજુઆતો કરી રહયા છે.

કાજલબેન પુરબિયાનો ટુંકો પરિચય

વોર્ડ નં. ૩ ના વાલ્મિકી સમાજનાં કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી કાજલબેન મયુરભાઇ પુરબીયા વાલ્મિકી સમાજનાં સેવાભાવી અને સફાઇ કામદારોનાં સુખ દુઃખનાં સાથી પુરબીયા પરિવારમાંથી આવે છે. વાલ્મીકી સમાજનાં શિક્ષિત મહિલા અગ્રણી કાજલબેન છેલ્લા એક દાયકાથી સમાજમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત વાલ્મિકી સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દુષણો નાબુદ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. કોંગ્રેસી કોપોરેટર ગાયત્રીબા વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ કાજલબેન પુરબીયા ચૂંટણી લડી રહ્યા છે.

વોર્ડ નં.૩ના કોંગ્રેસનાં ૪ ઉમેદવારોની ફોન નંબર સાથેની નામાવલી

ગાયત્રીબા વાઘેલા-

મો. ૯૮૯૮૪ ૭૭૧રર,

કાજલબેન પુરબીયા-

મો. ૯૯૦૪૯ ૭૧૦૪પ,

દિલીપ આસવાણી

મો. ૯૮રપર રર૧૦૦,

શ્રી દાનાભાઇ જી. હુંબલ-

મો. ૯૮૭૯૩ ૦૮ર૬૧.

લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદોને અનાજ, શાકભાજીની કીટ વિતરણ કરવા સાથે દરરોજ ર૦૦૦ લોકોનું રસોડુ ચલાવ્યું : લોકડાઉનમાં દાનાભાઇ કુંગશીયાએ પોતાની સ્કુલના  વિદ્યાર્થીઓની ર૪ લાખ ફી માફ કરી

રાજકોટ, તા., ૧૦: વોર્ડ નં. ૩ ના છેલ્લી બે ટર્મથી જંગી બહુમતીથી ચુંટાતા કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા અને તેમની પેનલના દિલીપભાઇ આસવાણી, કાજલબેન પુરબીયા અને દાનાભાઇ કુંગશીયાએ તેમના વિસ્તારના કામો કરવામાં પાછુ વાળીને જોયું નથી. ગાયત્રીબા વાઘેલા અને તેમના સાથી કોર્પોરેટરોએ એક જ વર્ષમાં પ૮ કરોડના રોડ-રસ્તા, ડીઆઇ પાઇપ લાઇન, પેવીંગ બ્લોક, ગાર્ડન ડેવલોપમેન્ટ સહીતના વિકાસકામો કરાવી વોર્ડના વિસ્તારની પ્રજાની સુખ સુવિધાઓમાં વધારો કરાવ્યો છે. આવાસ યોજનાઓ થકી આર્થીક રીતે નબળા પરીવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં પણ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું યોગદાન અનન્ય રહયુ઼ છે.

 જાગૃત પેનલના ઉમેદવાર દાનાભાઇ કુંગશીયાએ પોતાની રેલનગર સ્થિત સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓની ર૪ લાખ જેવી માતબર ફી લોકડાઉન દરમિયાન માફ કરી માનવતાનું અનન્ય ઉદાહરણ પુરૂ પાડયું છે. દિલીપ આસવાણી પણ સેવાભાવી કોર્પોરેટર છે. તેમના દ્વારા વર્ષભર જરૂરીયાત મંદો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવે છે. તેમના ઓમ સાંઇ ચેરીટેબલ  ટ્રસ્ટની રીક્ષાઓ વોર્ડ નં.૩ સહીત જંકશનના વિસ્તારોમાં ઘુમી વળી ગરીબોની આંતરડી ઠારતી સતત નજરે પડે છે. આવા સેવાભાવી ઉમેદવારોને જંગી બહુમતીથી ચુટી કાઢવા વોર્ડ નં. ૩ ના રેલનગર, જંકશન પ્લોટ, પરસાણાનગર, જામનગર રોડ ઉપરના સત્યમ શિવમ પાર્ક, શેઠનગર, નંદનવન, રેલનગરના સંતોષીનગર, સાધુ વાસવાણી કુંજ, ગાયકવાડી, કૈલાશવાડી, ભીસ્તીવાડ, હુડકો કવાર્ટર, સિંધી કોલોની સહીતના મતદારોએ કોલ આપ્યો છે.

(3:42 pm IST)