Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વોર્ડ નં. ૨ના ભાજપના ઉમેદવારો દ્વારા વિકાસ કાર્યોને વધુ વેગવંતા કરવાનો કોલ

'અકિલા' કાર્યાલયે જયમીન ઠાકર, મનીષ રાડીયા, ડો. દર્શિતા શાહ, મીનાબા જાડેજા શુભેચ્છા મુલાકાતે

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ભાજપના ઉમેદવારો અને સમર્થક નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે ત્યારે ભાજપના વોર્ડ નં. ૨ના ઉમેદવારો જયમીનભાઈ નવનીતભાઈ ઠાકર, મનીષભાઈ નટવરલાલ રાડિયા, ડો. દર્શિતાબેન પારસભાઈ શાહ, મીનાબા અજયસિંહ જાડેજાએ 'અકિલા' કાર્યાલયે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત લઈને ભાજપની વિકાસયાત્રા વર્ણવી હતી.

ભાજપના ઉમેદવારો જયમીન ઠાકર, મનીષ રાડીયા, ડો. દર્શિતા શાહ અને શ્રીમતી મીનાબા જાડેજાએ 'અકિલા' કાર્યાલય ખાતે જણાવ્યુ હતુ કે આ ચૂંટણી માટે વોર્ડ નં. ૨મા ભાજપ તરફી લોકોનો ઉત્સાહ છે અને ઠેર ઠેરથી ભાજપની પેનલને આવકાર મળી રહ્યો છે.

ભાજપના ઉમેદવારોએ જણાવ્યુ હતુ કે, રાજકોટ કોર્પોરેશનમાં ૪૫ વર્ષ ભાજપે શાસન કર્યુ છે અને આગામી ચૂંટણીમાં જીત સાથે ભાજપ દ્વારા ગોલ્ડન જ્યુબેલીની ઉજવણી કરવામાં આવશે અને વોર્ડ નં. ૨ની સાથો સાથ રાજકોટની વિકાસયાત્રા વધુ આગળ વધશે.

વોર્ડ નં. ૨ના ભાજપના ઉમેદવાર જયમીન ઠાકરે ૫ વર્ષ સુધી કોર્પોરેટર તરીકે કાર્યરત રહીને વિકાસ કાર્યો કર્યા છે. આ ઉપરાંત ભાજપ યુવા મોરચામાં મંત્રી, મહામંત્રી, પ્રમુખ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે સેવાઓ આપી છે.

સતત ૩ વર્ષ સુધી દિવાળી કાર્નિવલ અને મેરેથોન ઉપરાંત ૮૫૦૦૦થી વધુ પરિવારોને 'મુખ્યમંત્રી શ્રી મા અમૃતમ કાર્ડ - મા વાત્સલ્ય' યોજનાનો લાભ આપીને ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ અપાયો હતો.

વોર્ડ નં. ૨ના ભાજપના ઉમેદવાર મનીષ રાડીયા, વૈદ્ય વિશારદ અને આયુર્વેદ રત્ન જેવી ડિગ્રીઓ ધરાવે છે.

તેઓ શહેર ભાજપ મંત્રી, સંગઠન મંત્રી, સંગઠન પ્રભારી તથા ૫ વર્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકયા છે.

મનીષ રાડીયા કોર્પોરેશનમા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રહીને ૧૨૬૬૮ કરતા વધુ પરિવારોને મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્યના કાર્ડ કાઢી આપીને લોકસેવા કરી છે. વિશ્વ યોગ દિવસે ૧૫૦૦ સગર્ભા માતાઓને યોગ કરાવીને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ડો. દર્શિતા શાહ કોર્પોરેટર તેમજ ડે. મેયર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી ચુકયા છે. જૈન સમાજના જીવદયા અને પર્યાવરણ પ્રેમી છે. રાજકોટની વિરાણી બહેરા-મુંગા શાળામાં ટ્રસ્ટી તેમજ જૈન સમાજની અનેક સંસ્થાઓમાં કાર્યરત છે.

જ્યારે શ્રીમતી મીનાબા એ. જાડેજા બજરંગવાડી વેપારી એસોસીએશનના પ્રમુખ અજયસિંહ જાડેજાના ધર્મપત્ની છે. તેઓ ક્ષત્રિય મહિલા ઉત્કર્ષ મંડળના સંગઠનના પ્રમુખ છે. વિધવા સહાય, સખી મંડળ અને મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા સ્ત્રી સશકિતકરણ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા સહિત અનેક કાર્યો કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારો જયમીન ઠાકર (મો. ૯૮૭૯૮ ૦૦૦૦૧), મનીષ રાડીયા (મો. ૯૮૨૪૫ ૮૧૯૯૯), ડો. દર્શિતા શાહ (મો. ૯૮૨૪૨ ૦૧૨૩૪), શ્રીમતી મીનાબા એ. જાડેજા (મો. ૯૮૭૯૧ ૧૦૪૯૯)

(3:38 pm IST)