Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી

વકીલોની વિવિધ સમસ્યાઓને પરિણામ બક્ષી બનાવવા કટી બધ્ધ

 

રાજકોટ : બાર કાઉન્સીલમાં એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી તે પ્રસંગે તેમની સાથે એડવોકેટ અશ્વિન ભટ્ટ, મનોહરસિંહ જાડેજા, ધવલ મહેતા વિગેરે દર્શાય છે.

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાત બાર કાઉન્સીલની આગામી તા. ર૮ માર્ચે યોજાનાર ચૂંટણીમાં રાજકોટના યુવા એડવોકેટ સિધ્ધરાજસિંહ    જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાત બાર કાઉન્સીલની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાઇ છે. ગુજરાતમાં લગભગ ૮૦ હજારથી વધુ વકીલો સાથે જોડાયેલી ગુજરાત બાર કાઉન્સીલમાં આ વર્ષ રાજકોટના જાણીતા અને સૌ વકીલોના માનીતા એવા સિધ્ધરાજસિંહ જાડેજાએ રાજકોટથી પ્રથમ ઉમેદવારી નોંધાવી છે.

બાર કાઉન્સીલની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં અગાઉ રાજકોટના જાણીતા એડવોકેટ દિલીપભાઇ પટેલ સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ ક્રમાંકે ચૂંટાઇ આવ્યા હતાં. આ વર્ષે પણ દિલીપભાઇ પટેલ તેમજ એડવોકેટ જીજ્ઞેશભાઇ જોષી પણ ચૂંટણી લડવા ઉત્સુક છે. એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજાએ રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય સને ૧૯૯૮ ની સાલમાં શરૂ કરેલ અને સને ર૦૦૧ ની સાલમાં લબ્ધ પ્રતિષ્ઠીત રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે નાની ઉમરે જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલ અને સને ર૦૦૩ ની સાલમાં જૂનીયર બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયેલ હતો તેમજ સને ર૦૦૮ ની સાલમાં ઇન્ડીયન એસોસીએશન ઓફ લોયર્સ ના ડીસ્ટ્રીકટ ચેરમેન તરીકે નિમણુક પામી વકીલોના પ્રશ્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલ છે.

તેમજ સને ર૦૦૯ ની સાલમાં ક્રિમીનલ બાર એસોસીએશન, રાજકોટ ના સેક્રેટરી તરીકે નિમણુક થયેલ અને ફોજદારી પ્રેકટીશ કરતા વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ પ્રશ્નોને અગ્રતાક્રમ આપી સત્યરે નિર્ણય લઇ નિકાલ કરેલ હતો.

સને ર૦૧૦ માં રાજકોટ બાર એસોસીએશનમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે બિનહરીફ ચૂંટાઇ આવી વકીલોના તમામ પ્રશ્નોનો નિકાલ લાવેલ અને સને ર૦૧૩ ની સાલમાં રાજકોટ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ તરીકે જંગી બહુમતીથી મતો મેળવીને ચૂંટાઇ આવેલ અને સતત કોર્ટ પ્રીમાઇસીસમાં ૧૧ થી ૬ હાજર રહી તેમજ વેલ્ફેર ફંડ અંગેની ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલશ્રીઓના પ્રશ્નોને વાચા આપી નિષ્ઠાપૂર્વક, ઇમાનદારીથી કામગીરી કરેલ હતી તથા રાજકોટમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આયોજીત થયેલ તમામ લીગલ સેમીનારમાં ઉત્કૃષ્ઠ અને પ્રસંનીય કામગીરી કરેલ હતી.

આવનાર સમયની જરૂરીયાતો જોતા ગુજરાતના જુદા જુદા તાલુકા, જીલ્લાના બાર એસોસીએશનની સામાજીક, શૈક્ષણીક, આર્થિક અને આરોગ્યલક્ષી વિવિધ સમસ્યાઓને પરિણામલક્ષી બનાવવા અને આપનો અવાજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પહોંચાડવા તેઓએ ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાત બાર કાઉન્સીલમાં શ્રી જાડેજાએ તેમના વકીલ મિત્રોની હાજરી ઉમેદવારી નોંધાવી હતી.

આ સમયે એડવોકેટ અશ્વિન ભટ્ટ, મનોહરસિંહ જાડેજા, ધવલ મહેતા વિગેરે વકીલો હાજર રહ્યા હતાં. (પ-ર૩)

(2:56 pm IST)