Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

જાહેરમાં કચરો ફેંકતા લોકોને દંડ થશેઃ સ્વચ્છતા બાબતે સમીક્ષા કરતા બંછાનિધી પાની

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૩૦ જાન્યુ સુધીમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુને સ્વચ્છ રાજકોટની સુંદર ભેટ આપવા કમર કસી લેવામાં આવી છે. સ્વચ્છતા અંગે મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી વિવિધ પ્રકારની કામગીરીઓની વખતોવખત સમીક્ષા થાય છે અને આવશ્યકતા અનુસાર મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. આ સિલસિલા હેઠળ આજે તા. ૮-૧-૨૦૧૮ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને અધિકારીશ્રીઓની એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં કમિશનરશ્રીએ સ્વચ્છતા સંદર્ભમાં થઇ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી અને હવે પછી હાથ ધરવાની થતી કામગીરી અંગે કેટલીક સૂચનાઓ પણ આપી હતી. દરમ્યાન જાહેરમાં કચરો ફેંકી આપણા સ્વચ્છ શહેરને ગંદુ કરી રહેલા લોકો તેમની આવી પ્રવૃત્તિ બંધ કરે તે પણ એટલું જ જરૂરી છે. જોકે જાહેરમાં કચરો ફેંકવાનું બંધ નહી જ કરતા નાગરિકો સામે આકરા પગલાં લેવા પણ કમિશનરશ્રીએ અધિકારીઓને સૂચના આપી છે. મહાનગરપાલિકાની તમામ શાખાઓના વડાઓ, વોર્ડ ઓફિસરો સહિતનાને કમિશનરશ્રીએ સત્તા આપી છે અને તેઓ પોતાની આ સત્તા હેઠળ, જાહેરમાં કચરો ફેંકતા લોકોને દંડ કરવા તેમ મીટીંગમાં મ્યુ.કમિશ્નરે જણાવાયું હતું. (૨૩.૧પ)

(3:53 pm IST)