Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

OTP આધારિત ફરીયાદ નિવારણ સિસ્‍ટમ રાષ્‍ટ્રીય કક્ષાએ ઝળકી

મનપાને વધુ એક નેશનલ એવોર્ડ

રાજકોટ, તા. ૦૯: મહાનગરપાલિકામાં વહીવટી સુધારણા ક્ષેત્રે લેવામાં આવી રહેલા પગલાંઓ અંતર્ગત ગત વર્ષથી શરૂ કરવામાં આવેલી ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્‍ટમને ભારત સરકાર દ્વારા નેશનલ ઇ-ગવર્નન્‍સ એવોર્ડ આપવામા આવતા રાષ્‍ટ્રીય સ્‍તરે રાજકોટ મહાનગરપાલિકાને ગૌરવ પ્રાપ્ત થયેલ છે, તેમ માન. મેયર ડૉ. પ્રદિપ ડવ, ધારાસભ્‍ય અને  ડે. મેયર ડૉ. દર્શિતાબેન  શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષનેતા વિનુભાઈ ધવા અને દંડક સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવી ખુશી વ્‍યક્‍ત કરતા તંત્રને અભિનંદન પાઠવ્‍યા હતા.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, વધુ ને વધુ નાગરિકો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે ત્‍યારે ટેકનોલોજીનાં માધ્‍યમથી તેઓ પોતાના અનેક પ્રકારના કામો કરી શકે છે અને તેના આધારે ૅઇઝ ઓફ લિવિંગૅનું સ્‍તર ક્રમશઃ ઉચું જઈ રહયું છે. વર્તમાન સમયમાં ઈન્‍ટરનેટની સેવાઓ આધારિત મોબાઈલ ફોનના ઉપયોગ કરનાર લોકોની સંખ્‍યા પણ સતત વધી રહી છે. મોબાઈલ ફોન વડે પણ લોકો તેમના જુદાજુદા પ્રકારના કામો પૂર્ણ કરી શકે છે, અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાએ ગત વર્ષ તા. ૧૮ નાં રોજથી નાગરિકોને ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્‍ટમની સેવાઓ ઉપલબ્‍ધ બનાવી હતી. આ સેવા ખુબ જ લોકભોગ્‍ય બની. મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ લગત ફરિયાદ નોંધાવતા શહેરીજનો ફરિયાદનો નિકાલ થાય ત્‍યારબાદ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી ફરિયાદી નાગરિક પાસેથી ઓટીપી મેળવે છે અને મહાનગરપાલિકાની સિસ્‍ટમમાં જે તે ફરિયાદનો નિકાલ થયાનું સ્‍ટેટસ અપડેટ કરી શકે છે.

આ એવોર્ડ સંબંધી અન્‍ય માહિતી આપતા કમિશનરએ વિશેષમાં એમ જણાવ્‍યું હતું કે, ભારત સરકાર દ્વારા કેન્‍દ્ર સરકારના જુદા જુદા વિભાગો, રાજ્‍ય સરકારના વિભાગો, મહાનગરપાલિકાઓ તેમજ રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ દ્વારા કરવામા આવતા શ્રેષ્ઠ ઇ-ગવર્નન્‍સ પ્રોજેક્‍ટને એવોર્ડ આપવામા આવે છે. આ એવોર્ડ જુદી જુદી પાંચ કેટેગરીમા આપવામા આવે છે. જેમ કે  ૧. એક્‍સલન્‍સ ઇન ગવર્નમેન્‍ટ પ્રોસેસ રિએન્‍જીનીયરીંગ ફોર ડિજિટલ ટ્રાન્‍સફોર્મેશન, ૨. એક્‍સલન્‍સ ઇન પ્રોવાઈડિંગ સિટિઝન સેન્‍ટ્રીક ડિલિવરી, ૩. એક્‍સલન્‍સ ઇન ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ ઇનિશિએટીવ ઇન ઇ-ગવર્નન્‍સ, ૪.આઉટસ્‍ટેન્‍ડિંગ રિસર્ચ ઓન સિટિઝન સેન્‍ટ્રીક સર્વિસીઝ બાય એકેડેમિક/રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટસ, ૫.એક્‍સલન્‍સ ઇન એડોપ્‍ટિંગ ટેકનોલોજીસ.

રાજકોટ મહાનગરપાલિકાના ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્‍ટમને ૅ એક્‍સલન્‍સ ઇન ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ ઇનિશિએટીવ ઇન ઇ-ગવર્નન્‍સ  કેટેગરીમાં સિલ્‍વર એવોર્ડ આપવામા આવેલ છે. આ એવોર્ડ નેશનલ ઇ-ગવર્નન્‍સ કોન્‍ફરંસ દરમિયાન આપવામા આવેલ. નેશનલ ઇગવર્નન્‍સ કોન્‍ફરંસ તા. ૨૬-૨૭ નવેમ્‍બરના રોજ જમ્‍મુ- કટરા ખાતે યોજવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાને આ એવોર્ડ ભારત સરકારનાં કેન્‍દ્રીય મંત્રી  જીતેન્‍દ્ર સીંઘ (મીનીસ્‍ટ્રી ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ,મીનીસ્‍ટ્રી ઓફ અર્થ એન્‍ડ સાયન્‍સ, મીનીસ્‍ટ્રી ઓફ પબ્‍લીક ગ્રીવન્‍સીસ અને પેન્‍શન, ડીપાર્ટેમેન્‍ટ ઓફ એટોમીક એનર્જી એન્‍ડ ડીપર્ટ્‍મેંટ ઓફ સ્‍પેસ) દ્વારા આપવામા આવેલ. આ એવોર્ડમાં ભારત સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ ટ્રોફી, એવોર્ડ સર્ટીફીકેટ તેમજ રૂ. ૩,૦૦૦૦૦/- નું પુરસ્‍કાર આપવામા આવેલ તેમજ આ પ્રોજેક્‍ટનાં હેડ કમીશનર  અમીત અરોરા તેમજ અન્‍ય ટીમ મેમ્‍બર ને એવોર્ડ સર્ટીફીકેટ આપવામા આવેલ. આ કાર્યક્રમમા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર  ચેતન નંદાણી તેમજ ડાયરેક્‍ટર આઈટી  સંજય ગોહિલ દ્વારા ભારત સરકારનાં માનનીય મંત્રીના હસ્‍તે એવોર્ડ સ્‍વીકારવામા આવેલ.(૯.૯)

આજદિન સુધીમાં ૪.ર૬ લાખ ફરીયાદ નોંધાઇ

મનપાએ સેવા શરૂ કરી ત્‍યારથી આજદિન સુધીમાં ૪,ર૬,૯ર૦ ફરીયાદ નોંધાઇ છે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની ફરીયાદોનો યોગ્‍ય રીતે અને સમયસર નીકાલ થાય એ માટે ગત વર્ષથી ઓટીપી અને ફીડબેક આધારીત ફરીયાદ નીવરણ સીસ્‍ટમ શરૂ કરવામા આવેલ છે. જેમા લોકોને પોતાની ફરીયાદ નોંધાવવા માટે જુદા જુદા ઓપ્‍શન જેવાકે ૨૪હ્‍૭ કોલ સેંટર (ટોલ ફ્રી નંબર- ૧૮૦૦-૧૨૩-૧૯૭૩), વોટ્‍સએપ (૯૫૧૨૩૦૧૯૭૩), મોબાઇલ એપ, વેબસાઈટ વિગેરે આપેલ છે. તેમજ દરેક પ્રકારની ફરીયાદોની નીવારણ અંગેની સમય મર્યાદા નક્કી કરવામા આવેલ છે તેમજ મોબાઇલ એપ. મારફત નોધવામા આવતી ફરીયાદોનું જીઓ રેફરન્‍સીંગ પણ કરવામા આવે છે. સફાઇ, ડ્રેનેજ , પાણી વિગેરે લગત ફરીયાદોનો નિકાલ સમયે ફરીયાદીને ઓટીપી મોકલવામા આવે છે અને ઓટીપી રામનપાના અધિકારી દ્વારા પોતાની મોબાઈલ એપ પર એન્‍ટર કર્યા બાદ જ ફરીયાદનો નીકાલ થઈ શકે છે. આ ઉપરાંત શહેરીજનો પાસેથી તેઓની ફરીયાદ બાદ થયેલ કામગીરી તેમજ મનપાના સ્‍ટાફનાં વર્તન અંગે પણ ફીડબેક લેવામા આવે છે.  આ સીસ્‍ટમ મારફત નોંધવામા આવતી તમામ ફરીયાદોનું મનપાના માનનીય કમિશનર દ્વારા મોનીટરીંગ તેમજ એનાલીસીસ કરવામા આવે છે.

(4:21 pm IST)