Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વાવડી કામે જવા નીકળેલા પિન્કેશ દેસાણીનું ગોંડલ રોડ ચોકડી પાસે ટ્રકની ઠોકરે મોત

કોઠારીયા રોડ સોમનાથ સોસાયટીના બાવાજી પરિવારમાં ગમગીની

રાજકોટ, તા. ૯ :. ગોંડલ રોડ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને ઉલાળતા સોમનાથ સોસાયટીના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં શેરી નં. ૬માં રહેતા પીન્કેશ ભરતભાઈ દેસાણી (ઉ.વ. ૨૫) સવારે પોતાનું બાઈક લઈને વાવડીમાં આવેલા કારખાનામાં ઈલેકટ્રીકનું કામ કરવા માટે નીકળ્યો હતો. ગોંડલ રોડ ચોકડી પાસે પહોંચતા ટ્રકે બાઈકને ઉલાળતા યુવાન ફંગોળાઈ જતા તેને માથા તથા શરીરે ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. કોઈએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જાણ થતા આજીડેમ પોલીસે હોસ્પીટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પીન્કેશ ઈલેકટ્રીક કામ કરતો હતો તે ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ હતો.

(3:38 pm IST)