Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સંસાર છોડી દેવાનું રટણ કરતાં ધર્મરાજ પાર્કના દિપક જળુએ ગળાફાંસો ખાઇ જિંદગી તરછોડી

૨૬ વર્ષના આહિર યુવાને માતાને નીચેના રૂમમાં મોકલ્યા બાદ પગલુ ભરી લીધું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામમાં સ્વપ્નલોક રેસિડેન્સી પાછળ ધર્મરાજ પાર્કમાં રહેતાં દિપક હીરાભાઇ જળુ (ઉ.વ.૨૬) નામના આહિર યુવાને સાંજે પોતાના ઘરમાં ઉપરના રૂમમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. અપરિણીત એવા આ યુવાનને સંસારમાંથી મન ઉઠી ગયું હતું તેવી તે કેટલાક દિવસોથી વાતો કરતો હતો તેમજ પોતાને કંઇક વળગ્યું હોવાનું રટણ પણ કરતો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દિપક જળુએ સાંજે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં તેના મામાના દિકરા રાજેશભાઇ સહિતના સ્વજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં યુનિવર્સિટીના હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડ અને લક્ષમણભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ સાંજે દિપક ઉપરના રૂમમાં માતા તથા મોટા ભાઇના સંતાનોની સાથે હતો. માતા નીચે ગયા બાદ દિપકે ફાંસો ખાઇ લેતાં તેના ભત્રીજાઓએ દેકારો મચાવતાં ભાભી સુનિતાબેન ઉપર જોવા જતાં દિયર દિપક લટકતો દેખાતાં તેણીએ બુમાબુમ કરી મુકતાં પરિવારજનો ભેગા થઇ ગયા હતાં અને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ત્યારે મોડુ થઇ ગયું હતું.

પોલીસ સુત્રોના કહેવા મુજબ આપઘાત કરનાર દિપક ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ અને કુંવારો હતો. તે મોટા ભાઇ સાથે ઘર નજીક મુરલીધર પાન નામની દૂકાનમાં  બેસતો હતો. કેટલાક દિવસથી તેનો મગજ ભમતો હતો અને સંસારમાં હવે કંઇ રહ્યું નથી...તેવી વાતો કરતો હતો. તેમજ પોતાને કંઇક વળગ્યું હોવાથી સતત બેચેની રહેતી હોવાની વાતો કરતો હતો. એ દરમિયાન તેણે આ પગલુ ભરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે બીજુ કોઇ કારણ તો નથી ને? તે જાણવા તપાસ યથાવત રાખી છે.

(1:13 pm IST)