Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઇદે મીલાદોત્સવઃ કાલે જુલૂસઃ પ.૪૦ વાગ્યે સવારે મસ્જિદો સલામીથી ગૂંજી ઉઠશે

પૈગમ્બર સાહેબની ૧૪૪૮મી જન્મ જયંતિનો ભારે ઉત્સાહઃ કાલે આખો દિ'નો રેસકોર્ષના મેદાનમાં ભવ્ય જલ્સોઃ આજે આખી રાત મસ્જીદોમાં ઇબાદતઃ ૧ર વાઅઝની રાત્રીના પુર્ણાહૂતિઃ વિવિધ સેવાકીય કાર્યો 'રવિવાર'નો દિવસ હોઇ જુલૂસ પસાર થવામાં સરળતાઃ યૌમુન્નબી કમિટી દ્વારા સંચાલન

રાજકોટ તા. ૯  : ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ 'ઇદે મીલાદ'ના સ્વરૂપે રવિવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વ આજે શનિવારે આખી રાત મસ્જીદો ખુલ્લી રહેશે અને વ્હેલી સવારે પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવશે. આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ 'ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે ગામ રવિવારે કાલે 'જુલૂસ' યોજવામાં આવશે.

આ વખતે પણ રાજકોટ શહેરમાં રાબેતા મુજબ  ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં ભવ્ય જુલુસ નિકળનાર છે જે રાજકોટ શહેરના લતેલતે મસ્જીદેથી નિકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થઇ રેસકોર્ષ ખાતે પહોંચનાર છે.

 પૈગમ્બર સાહેબની જન્મ જયંતિ ઉજવવા મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

 પૈગમ્બર સહેબની ૧૪૪૮મી જન્મ જયંતિ દર વર્ષે 'ઇદે મીલાદ'ના સ્વરૂપમાં ઉજવવામા આવે છે. અને એ દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઉજવાય છે.

બીજી તરફ આ વખતે 'ઇદે મિલાદ' રવિવારના દિવસે ઉજવવામા આવનાર હોય  રજાનો દિવસ હોઇ  સંખ્યા આ દિવસે નિકળનાર જુલૂસમાં બમણી થઇ જશે જેના લીધે  ઇદનો અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

જો કે  ભાઇબીજની સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રિથી ઇદેમિલાદનો ઉત્સાહ ચોતરફ ફેલાઇ જવા પામ્યો છે. અને ગામે ગામ લતેલતે એ રાત્રિથી જ ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની આજે રાત્રીના પૂર્ણાહુતિ થનાર છે.

ખાસ કરીને ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઇદ હોઇ જેને ઇદે મિલાદ  કહેવામા આવે છે. અને તેમા પૈગમ્બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલૂસ કાઢવામા આવે છે અને તેમા મુસ્લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કાલે સવારના સમયે જુલૂસ નીકળનારા છે. એ પૂર્વ આજે રાત્રિના મોડી રાત સુધી મસ્જીદોમાં મીલાદ-વાઅઝ-કુઆર્ન ખ્વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્બર સાહેબના જન્મ સમયે વ્હેલી સવારે પ.૪૦  વાગ્યે દરેક મસ્જીદોમાં 'સલામી' અર્પિત કરી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામા આવશે.

એ પૂર્વે દરેક મસ્જીદોમાં પરોઢિયે પાંચ વાગ્યાથી મીલાદ શરીફ પઢવામા આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્જીદોમાં ૭ વાગ્યે મીઠાઇ-નિયાઝ વિતરણ કરવામા આવશે.

આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો તહેવાર હોય લતે લતે  મકાનો ઉપર રોશની-શણગાર કરવામા આવ્યો છે. મસ્જીદ-મદ્રેસા-દરગાહોને શણગારવામાં આવ્યા છે અને ચોતરફ ઝંડા લ્હેરાવવામા આવ્યા છે.

 મુસ્લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે કાલે  યોજાનાર જુલૂસને સફળ બનાવવા પણ મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ તકે મુસ્લિમ સમાજ જડબેસલાક બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે જે માટે પણ તેૈયારીઓ ચાલી રહી છે.

ઇદે મીલાદની ૧ર દિ'ની ઉજવણી નિમિતે રાજકોટ શહેરમાં લતે લતે ૧ર દિ' ના વાઅઝના કાર્યક્રમો યોજાયા છે. જેમાં સૌથી શ્રેષ્ઠ જલ્સો પંજેતની સબિલ કમીટી દ્વારા રામનાથપરા હુસેની ચોકમાં યોજાયો છે. આ ઉપરાંત રઝાનગર મેઇન રોડ ઉપર મદ્રેસાએ રઝાએ નૂર પાસે ૧ર દિ' માટે હઝરત મૌલાના ઉબૈદુલ્લાહ હૈદરી  નકશબંદી (રાજસ્થાન) તકરીર કરી રહ્યા છે.

 કાલે શહેરમાં સવારે રામનાથપરા ગરૂડ ચોક અને સદર વિસ્તારમાંથી મુખ્ય બે ઝુલુસો નીકળશે. આ ઉપરાંત અન્ય વિસ્તારના નાના ઝુલુસો પણ નીકળશે. આ ઝુલુસો શહેરના ત્રિકોણબાગ ખાતે એકત્ર થઇ મુખ્ય વિશાળ ઝુલુસ સાથે ઢેબર ચોક, નાગરિક બેંક ભવન, ખટારા સ્ટેન્ડ, હોસ્પિટલ ચોક થઇ રેસકોર્ષના વિશાળ ગ્રાઉન્ડમાં સભાના રૂપમાં ફેરવાય જશે. જયાં નાત શરીફ, ન્યાઝ, શાનદાર તકરીર અને સલાતોસલામ પેશ કરવામાં આવશે. આ જુલૂસમાં અંદાજે ર લાખલોકો  એકાદ હજાર જેટલા નાના-મોટા વાહનો સાથે જોડાશે.

બાલ મુબારક

અત્રે ઉલ્લેખનીય  છે કે, ઇદે મીલાદની આગલી રાતે  આજે મોટી રાત કહેવાય છે   આજે આખી રાત  મસ્જીદોમાં નમાઝ પઢવામાં આવશે અને આ ઉપરાંત આજે રાત્રે જેનું સોથી વધુ મહત્વ છે.બાલમુબારકના દિદાર મુસ્લિમ બિરાદરો કરશે.

 મુસ્લીમોના પવિત્ર આકા અને મહાન પથદર્શકના જન્મદિન મુબારકને વઘામણા કરવા યૌમુન્નબી કમીટીના ઉપક્રમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક ફલોટસ, ટ્રક, મોટર, રીક્ષા મોટર સાયકલ સહિતના વિવિધ વાહનોમાં સવારે ૭ વાગ્યે દૂધની ડેરી, જંગલેશ્વર, બાપુનગર, બાબરીયા કોલોની, ગોકુલનગર, થોરાળા વિસ્તાર, ભગવતીપરા, ગંજીવાડા, માજોઠીનગર, રામનાથપરા, ઘાંચીવાડ વિગેરે વિસ્તારનું ઝૂલૂસ રામનાથપરા ગરૂડ ચોક ખાતે પહોંચશે જયાંથી કોઠારીયાનાકા, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાપુના બાવલા પાસે થઇને ઢેબર ચોકમાં પહોંચશે. જયાંથી સદર વિસ્તારના રૈયા, નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, ભીસ્તીવાડ, પોપટપરા, મોચી બજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, સદર વિસ્તાર, રૂખડીયા કોલોની વિસ્તારનું ઝૂલૂસ ફુલછાબ ચોકમાં ભેગા થઇને સદર બજાર હરીહર ચોક, જયુબેલી ચોક, એસબીએસ ચોકથી ત્રિકોણબાગ થઇને શહેરના વિસ્તારના જુલૂસમાં ભેગા થઇ ઢેબર રોડ, નાગરીક બેન્ક, હોસ્પિટલ ચોક થઇને રેસકોર્ષના વિશાળ ગ્રાઉન્ડમાં પહોંચી ધાર્મિક સભાના રૂપમાં ફેરવાય જશે. જયાં નાત શરીફ વાએઝ શરીફ અને મઝહબે ઇસ્લામ શું છે ? આતંકવાદીને કોઇ ધર્મ હોતો નથી. ઇસ્લામમાં કદાપી આતંકવાદને સ્થાન હોય શકે નહીં. તેના ઉપર જાહેર વ્યાખ્યા, ન, તકરીર,  આપી શાંતી, અમન અને ભાઇચારાની ભાવનાનો સંદેશ વધુ મજબુત બનાવશે.

આવતીકાલે સવારે રામનાથપરા ગરૂડ ચોકમાંથી  જુલૂસ નીકળશે. આ જુલૂસમાં રામનાથપરા, હુસેની ચોક, નવી ઘાંચીવાડ, જંગલેશ્વર, દૂધની ડેરી, ભગવતીપરા, મનહરપરા, માજોઠીનગર, સુમરા સોસાયટી, દેવપરા, લક્ષ્મીનગર સહિતના વિસ્તારના નાના મોટા  સેંકડો વાહનો જોડાશે.

સદર વિસ્તાર

આવતીકાલે સવારે નમાઝ બાદ ફુલછાબ ચોકમાંથી સદર વિસ્તારનું વિશાળ જુલૂસ  નીકળશે તેમજ સદર વિસ્તાર તથા અન્ય વિસ્તારના જુલૂસ ફુલછાબ ચોકમાં એકત્ર થશે અને ત્યાંથી હજારો માણસો સેંકડો વાહનો સાથેનું જુલૂસ શરૂ થશે. ફુલછાબ ચોકથી શરૂ થનાર આ જુલૂસ સદર બજાર, હરીહર ચોક, એસબીએસ ચોક, ઢેબર ચોક, ત્રિકોણ બાગ ચોક, નાગરીક બેન્ક ચોક, હોસ્પિટલ ચોક થઇને રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં પહોંચશે.

યંગ મુસ્લિમ સોશ્યલ ગ્રુપ દ્વારા જુલૂસનો આવકાર કાર્યક્રમ

રાજકોટ તા. ૮ :.. સદર બજાર ચોકમાં ફ્રુટ-બિસ્કીટ-સરબત વિતરણ તથા કમીટીના સદસ્યો 'બ્લડ ડોનેશન' શીબીરમાં ભાગ લેશે.

વિશ્વના સમસ્ત મુસ્લીમ સમાજની ધરોહર સમાન-મહાન પયગંમ્બર હઝરત મોહંમદ સાહેબના જન્મદિન નિમિતે શહેરભરના મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી રવિવારના રોજ સવારે ૯ કલાકે જુલૂસનો પ્રારંભ થશે.

આ તકે યંગ મુસ્લીમ સોશ્યલ ગ્રુપ સદર દ્વારા સદર બજાર ચોકમાં આવકાર કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

યંગ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રફીકભાઇ માલાણીએ એક યાદીમાં જણાવ્યુ છે કે, સવારે ૧૦ કલાકે સદર બજાર ચોકમાં હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો આવકાર કાર્યક્રમ તથા ફ્રુટ-બિસ્કીટ-સરબત વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હિન્દુ - મુસ્લીમ આગેવાનો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ કમીટીના સભ્યશ્રી હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે 'બ્લડ ડોનેશન કેમ્પ' માં ભાગ લેશે. આવકાર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ત્થા એઝાઝ મેમણ, સોહિલરાજ, ઇકબાલ મોગલ, ફારૂક ગોપલાણી, ઇસુફ રાણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

દરેક વિસ્તારોમાંથી જુલૂસ

રાજકોટ : મુસ્લિમસમાજ દ્વારા ઇદે મિલાદુન્નબીની ઉમંગભેર ઉજવણી કરવામાં શહેરમાં વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવશે. મસ્જિદ તેમજ મુસ્લિમ વિસ્તારોમાં મિલાદ સહિતના કાર્યક્રમો દરરોજ યોજાઇ રહ્યા છે.

જયારે ઇદે મિલાદની ઉજવણીમાં શહેરમાં ભવ્ય જુલૂસ મુખ્ય માર્ગો પર ફરશે.  ઉપરાંત અનેક સ્થળોએ ન્યાઝનું આયોજન કરાયું છે.  શહેરના દુધની ડેરી, જંગલેશ્વર, બાબરિયા કોલોની, ખોડિયારપરા, ગોકુલનગર, થોરાળા, કોઠારિયા સોલવન્ટ, મનહરપરા, ભગવતીપરા, રામનાથપરા, ઘાંચીવાડ, બાપુનગર તથા સદર વિસ્તારમાંથી રૈયાગામ, નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, સદરબજાર, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, પોપટપરા, ભીસ્તીવાડ, મોચી બજાર વગેરે વિસ્તારોમાંથી જુલૂસ નિકળશે અને તમામ જુલૂસો ત્રિકોણ બાગ ખાતે એકત્ર થઇ રાબેતા મુજબ રેસકોર્ષ મેદાનમાં પહોંચશે.

(11:49 am IST)