Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કાલે વિજયભાઇ રૂ. ૩૦૦ કરોડના વિવિધ વિકાસ કામોનો કરાવશે પ્રારંભ

સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક અને આમ્રપાલી ફાટકે બ્રિજ ઉપરાંત રૂડા દ્વારા નિર્માણ પામનાર આવાસ યોજનાનું ખાતમુહુર્તઃ સાંજે પ કલાકે બાલભવન ખાતે સંયુકત ડાયસ કાર્યક્રમ

રાજકોટ તા. ૮: સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવીલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયએંગલ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રિજ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ મંડળ રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનાર આવાસો સહિત કુલ રૂ. ર૯૯.૪૪ કરોડના વિવિધ પ્રોજેકટો ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. ૯ના કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયા ઉપસ્થિત રહેશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા સંયુકત યાદીમાં જણાવાયું છે.

આ અંગે તેમની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટએ સૌરાષ્ટ્રનું આર્થિક હબ છે. રાજકોટમાં સ્માર્ટ સીટીને અનુરૂપ માળખાગત સુવિધાઓના વિકાસની હારમાળા અવિરત ચાલુ છે. રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામો રાજકોટ ખાતે સાકાર થઇ રહ્યા છે. આવતીકાલે તા. ૯મી રાજયનાા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે રૂ. ર૯૯.૪૪ કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત થનાર છે.

અટલ સરોવર ડેવલપમેન્ટ

આ વિકાસ કામોમાં રાજકોટ સ્થિત અટલ સરોવર ખાતે ફેઇઝ-ર ના વિકાસ કામો કે જેમાં અટલ સરોવરમાં ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ કલોક, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરિસ વ્હીલ, બે એમ્ફીથીયેટર, આઇલેન્ડ, પાર્ટી લોન, ફુડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે તેનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવનાર છે.

રૂડાના આવાસ

રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ, રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ યોજના અન્વયે રાજકોટ-કાલાવડ રોડ પર મુંજકા, ખાતે ઇ.ડબલ્યુ.એસ.-૧ના ૮૦ યુનીટ અને ઇ.ડબલ્યુ.એસ.-ર ના ૪૧૬ યુનીટ મળી કુલ ૪૯૬ યુનિટ માટે રૂ. પ૩ર૦.પ૩ લાખની અંદાજીત કિંમતવાળા કામનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે કમરાશે.

હોસ્પિટલ ચોકમાં બ્રિજ

રાજકોટ શહેરના હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથતી ફલાયઓવર બ્રીજ માટેની કામગીરી હાથ ધરેલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોક પર કુવાડવા રોડ, જવાહર રોડ તથા જામનગર રોડ તરફ રસ્તા માટે ટ્રાયએન્ગ્યુંલર ફલાયઓવર બ્રીજ કે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૮૪.૭૧ કરોડ છે. તેનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે કરાશે.

આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજ

રૈયા રોડ એ રાજકોટ શહેરનો મુખ્ય રોડ છે, જેનાં પર દરરોજ આશરે પ થી ૬ લાખ નાગરિકોની અવર જવર રહે છે. હાલની સ્થિતિએ ઉકત રેલ્વે લેવલ ક્રોસિંગ નં. ૬ ઉપર રોજ સાંજે ૧૮ થી ર૦ ટ્રેન પસાર થતી હોય છે. જેમાં ક્રોસિંગ બંધ કરવાથી પુષ્કળ માનવ કલાકો, ઇંધણ વિગેરેનાં વ્યય ઉપરાંત હવા તથા ધ્વનિનું પ્રદુષણ ખૂબ જ થતું હોય છે. તેથી આ જગ્યાએ રેલ્વે અન્ડરબ્રીજ બનાવવાનું નકકી કરવામાં આવેલ છે. આ કામનું ખાતમુહુર્ત પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે કરાશે.

આ પ્રસંગે, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજથલીબેન રૂપાણી, ડીવીઝનલ મેનેજર પશ્ચિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, અનુસુતિ જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક અજયભાઇ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીના કાલના કાર્યક્રમની વિગતો

*  બપોરે ૩-૪પ વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર આગમન

* બપોરે૪ વાગ્યે અટલ સરોવરે એમ્યુઝમેન્ટ પાર્કનું ખાતમહુર્ત

* બપોરે ૪.ર૦ વાગ્યે હોસ્પીટલ ચોક ટ્રાન્ગ્યુલર બ્રીજનું ખાત મુહુર્ત

* બપોરે ૪-૪૦ વાગ્યે આમ્રપાલી ફાટકે અંડર બ્રીજનું ખાત મુહુર્ત

* સાંજે પ વાગ્યે બાલભવન ખાતે મુખ્ય ડાયસ ફંકશન

* સાંજે ૬.૧પ વાગ્યે સ્વામીનારાયણ મંદિરે (બી.એ.પી.એસ) દર્શન સાંજે ૭ વાગ્યે અમૃત સાગર પાર્ટીપ્લોટ ખાતે સંમેલનમાં હાજરી આપશે

* રાત્રે ૮-૧પ વાગ્યે પ્રકાશ સોસાયટીમાં સ્નેહ મિલન કાર્યક્રમ

* રાત્રે ૯ વાગ્યે એરપોર્ટથી ગાંધીનગર રવાના થશે.

(3:19 pm IST)