Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શુક્રવારે ભૂપેન્‍દ્રભાઇની હાજરીમાં રાજકોટમાં ભવ્‍ય તિરંગા યાત્રા

૧ લાખ લોકો તિરંગા સાથે જોડાશેઃ સરદાર પટેલ સ્‍ટેચ્‍યુથી રાષ્‍ટ્રીયશાળા સુધીનો ર કિ.મી.નો ભવ્‍ય તિરંગા યાત્રા અને રોડ-શો : રૂટ ઉપર અનેક ફલોટસ-બેન્‍ડ વાજા-ડીજે-પોલીસ ઘોડેશ્વાર સાથે ધમાકેદાર આયોજનઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના ૩૦૦ સ્‍વાતંત્રય સેનાનીઓના કુટુંબીજનો જોડાશે : પત્રકાર પરીષદને સંબોધતા કલેકટર અરૂણ મહેશ બાબુ-મેયર ડો.પ્રદીપ ડવ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ : રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવી રહયા છે રૂટ ઉપર ટ્રાફીક અંગે ખાસ કાર્યવાહી : ધાર્મીક સંસ્‍થાનો-તમામ વેપારી એસો. સ્‍કુલો-કોલેજો-યુનિ. સરકારી સંસ્‍થાઓ-તમામ રાજય-કેન્‍દ્રની કચેરીઓ-ઔદ્યોગીક એસો.-એફપીએસ દુકાનદારો-લોકો જોડાશે

રાજકોટ તા. ૮ :.. આઝાદીના ૭પ વર્ષની આઝાદી કા અમૃત મહોત્‍સવની શાનદાર ઉજવણી થઇ રહી છે, રાજયભરમાં સુરતથી ભવ્‍ય તીરંગા યાત્રા શરૂ થઇ છે, સુરત-વડોદરા-અમદાવાદ બાદ હવે રાજકોટમાં ૧ર મીએ શુક્રવારે સવારે ૯ વાગ્‍યે રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તમામ ધારાસભ્‍યો - મંત્રીઓ - સાંસદોની ઉપસ્‍થિતીમાં ર કી. મી. લાંબી ભવ્‍યાતિભવ્‍ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજે- શહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં ૧ લાખ લોકો જોડાશે તેવી જાહેરાત આજે ભરચકકા પત્રકાર પરીષદમાં જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશાબુએ કરી હતી.
કલેકટરે જણાવ્‍યું હતું કે આ ભવ્‍ય તિરંગા યાત્રાનો ર કિ. મી.નો રૂટ બહુમાળી લોક સરદાર પટેલના સ્‍ટેચ્‍યુથી રાષ્‍ટ્રીય શાળા આખો યાજ્ઞિક રોડનો રહેશે. રાષ્‍ટ્રીય શાળા ખાતે સમાપન કરાશે.
કલેકટરે જણાવેલ કે ૧ર મીએ સ્‍થળ ઉપર જ જીલ્લા વહીવટી તંત્ર ૩૦ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્‍યે વિતરણ કરશે, આ યાત્રામાં રાજકોટ અને સૌરાષ્‍ટ્રના ૩૦૦ જેટલા સ્‍વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને ખાસ જોડાવા આમંત્રણ અપાયું છે.
કલેકટરે આજે શહેરના તમામ પ્રાંત - મામલતદારો અન્‍ય સરકારી કચેરીઓના વડાઓ - પોલીસ કમિશનર - મેયર - રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ વિવિધ સંસ્‍થાઓની મીટીંગ બોલાવી હતી રપ૦ સંસ્‍થાઓના પ્રતિનિધીઓ પણ ખાસ હાજર રહ્યા હતાં. સસ્‍તા અનાજના દૂકાનદાર એસો. દ્વારા ર૦૦ વેપારીઓ તો રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી વી. પી. વૈષ્‍ણવે પ૦ હજાર વેપારીઓ - તેમના પરીવારો જોડાશે તેવી જાહેરાત કરી હતી.
કલેકટરે પત્રકારોને જણાવેલ કે તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ટેબ્‍લો, રૂટ ઉપર સ્‍ટેજ ઉભા કરી આરકેસી- સેન્‍ટમેરી - સ્‍વા સંસ્‍થા-પોલીસ-સીઆરપીના બેન્‍ડ તથા દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરવા અંગે કાર્યવાહી થઇ રહી છે, કલેકટરે ઉમેર્યુ હતું કે યાત્રા સવારે ૯ વાગ્‍યે બહુમાળીથી શરૂ થશે, ૧૧ વાગ્‍યે સમાપન  થશે, જેમાં તમામ એનજીઓ, ધાર્ર્મિક સંસ્‍થાઓ કોલેજ - સ્‍કુલ્‍સ-ડેરી એસો., યુનિવર્સિટી, ઔદ્યોગિક એકમો, ટેલીકોમ, જીઇબી-જીએસટી, રેલ્‍વે-પોસ્‍ટલ - ઇન્‍કમટેક્ષ, બાર એસો. કેમીસ્‍ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. અમુક પરિવારો- શહેરના તમામ વેપારી એસો. પોલીસ ઘોડેશ્વર - શણગારેલા વાહનો-તમામ પદાધિકારીઓ --મેયર - જીલ્લા પંચાયત પ્રમુખ વિગેરર ખાસ જોડાશે.
રાજકોટમાં તીરંગાની હાલ અછતઃ મંગાવાયા છેઃ કુલ ૩ લાખ લોકોને અપાશે
પત્રકાર પરીષદમાં વિતો આપતા મેયર ડો. પ્રદિપ ડવે ઉમેર્યુ હતું કે અમુક વોર્ડ ઓફીસે તિરંગા મળતા નથી તે સાચી વાત છે, હાલ તિરંગા ખલાસ છે, ૧ લાખનું વિતરણ થયું છે, બીજા મંગાવાયા છે, રાજકોટમાં કુલ ૩ લાખ પરીવારોને તિરંગા અપાશે.
રૂટ ઉપર ટ્રાફીક પ્રશ્ન અંગે પીઆઇને મોકલ્‍યા છેઃ વિખ્‍યાત મંદિરો આવતા હોય લોકોને તકલીફ ન પડે તે ખાસ જોવાશે
પત્રકાર પરિષદમાં ઉપસ્‍થિત પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે જણાવ્‍યું હતું કે રૂટ ઉપર ટ્રાફીકનો પ્રશ્ન ન થાય તે માટે અમે ટ્રાફીક પીઆઇને સર્વે માટે અત્‍યારે કહયું છે, તેમજ આ રૂટ ઉપર ૪ થી પ વિખ્‍યાત મંદિરો આવતા હોય સવારે ૧૧ વાગ્‍યા સુધી લોકોને કોઇ તકલીફ ન પડે તે જોવા સંદર્ભે અન્‍ય રૂટ ઉપરથી લોકો જઇ શકે તે પ્રમાણે કાર્યવાહી કરાશે, તેમજ સમગ્ર રૂટ ઉપર સઘન પોલીસ બંદોબસ્‍ત રહેશે.
આ રાજકોટની જનતા સહિત સંયુકત આયોજન છેઃ લોકો ખાસ જોડાય...
કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ છેલ્લે પત્રકારોને જણાવેલ કે આ તિરંગા યાત્રા ભવ્‍ય બની રહેશે, આ રાજકોટની પ્રજાનું જીલ્લા કલેકટર તંત્ર,  પોલીસ તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, કોર્પોરેશન, જીલ્લા પંચાયત સહિત તમામનું સંયુકત આયોજન છે, લોકો ખાસ જોડાય તેવી અપીલ છે.
કલેકટરશ્રીએ કહ્યુ કે, યાત્રા શરૂ થતાં પૂર્વે સવારે ૮ થી ૯ દરમિયાન એક કલાક સાંસ્‍કૃતિક કાર્યક્રમો થશે. આ યાત્રામાં ચારથી પાંચ મ્‍યુઝીક બેન્‍ડ પણ જોડવાનું આયોજન છે. યાત્રામાં રાજકોટના સ્‍વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો પણ જોડાશે.
કલેકટરશ્રીએ કહ્યું કે, તિરંગાની વ્‍યવસ્‍થા વહીવટી તંત્ર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. નાગરિકો ફલેગ કોડ મુજબનો તિરંગો જાતે પણ લાવીને ઉત્‍સાહ પૂર્ણ જોડાઈ શકે છે.
કલેકટરશ્રીએ કહ્યું કે, આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ. કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે.
કલેકટરશ્રીએ કહ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહિ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમાં લોકો જોડાશે અને આ યાત્રા એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.
આ મિટિંગમાં ઉપસ્‍થિત રાજકોટના મેયરશ્રી પ્રદીપભાઈ ડવએ જણાવ્‍યું હતું કે, તિરંગા યાત્રા અંતર્ગત રાજકોટ શહેરમાં એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્‍યું છે અને હજુ પણ લોકોમાં માગ છે. તેમણે કહ્યું કે, આ કોઈ સામાન્‍ય યાત્રા નથી, પણ સમગ્ર વિશ્વને તિરંગાની તાકાત બતાવવાનો અવસર છે.
આ મિટિંગમાં રાજકોટ મ્‍યુનિ.ના ડે. મેયરશ્રી ડો. દર્શિતા શાહ, મ્‍યુનિ. સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્‍કર ભાઈ, સ્‍પે. પોલીસ કમિશનર શ્રી ખુર્શીદ અહેમદ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કર, અધિક કલેકટર શ્રી એન. આર. ધાધલ, શહેર  ભાજપના અધ્‍યક્ષ કમલેશ મિરાણી, વહીવટી તંત્રના અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:47 pm IST)