Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

આવતા મંગળવાર સુધી સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં મેઘરાજાનું જોર વધુ રહેશે : અશોકભાઈ પટેલ

સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ઝાપટા, હળવો, મધ્યમ વરસશે તો ગુજરાતમાં કયાંક - કયાંક ભારે વરસાદની પણ શકયતા

રાજકોટ, તા. ૮ : આજથી ત્રણ - ચાર દિવસ સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. જયારે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ વરસતો રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગુજરાત ઉપર જે સિસ્ટમ્સ હતી તે ગઈકાલથી અરબી સમુદ્ર તરફ લો - પ્રેસર તરીકે સરકી ગયેલ અને આજે પાકિસ્તાનથી દક્ષિણે વેલમાર્ક લો-પ્રેસર તરીકે નોર્થ અરબી સમુદ્રમાં છે. અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમી ભારે પવનો સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાત ઉપરથી ફૂંકાઈ રહ્યા છે.

નોર્થ એમ.પી. ઉપર એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૨.૧ કિ.મી. અને ૪.૫ કિ.મી.ના લેવલે  છે. અરબી સમુદ્રવાળુ લોપ્રેસર અને એમ.પી.વાળુ અપરએર સાયકલોનીક સરકયુલેશન આ બંને વચ્ચેનો ટ્રફ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થઈ રહ્યો છે.

નોર્થ - વેસ્ટ બંગાળની ખાડીમાં ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.ના લેવલે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. જે આવતા દિવસોમાં તેમાંથી લોપ્રેસર થવાની સંભાવના છે.

અશોકભાઈએ તા.૮ થી ૧૧ ઓગષ્ટ સુધીની આગાહીમાં જણાવ્યુ છે કે આ દિવસોમાં સૌરાષ્ટ્ર - કચ્છમાં છુટા છવાયા સ્થળોએ ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ સમયગાળામાં કોઈ મોટી સિસ્ટમ્સ નથી તેમ છતા ગુજરાત તરફ વરસાદનંુ પ્રમાણ વધુ રહેશે. ખાસ કરી દક્ષિણ ગુજરાતને સારો લાભ મળશે.

(3:04 pm IST)