Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રસોઇ બનાવવા માટે માતાએ ઠપકો આપતાં ધોરણ-૧૨ની છાત્રા યશ્વીએ મોત મેળવી લીધું

કોઠારીયાના મંગલ પાર્કનો બનાવઃ ગળાફાંસો ખાઇ લીધોઃ ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૯: કોઠારીયા ગામના મંગલ પાર્ક-૪માં રહેતી અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતી યશ્વી ચેતનભાઇ તલસાણીયા (ઉ.વ.૧૭)એ ઘરમાં નીચેના માળે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. માતાએ રસોઇ બનાવવા માટે ઠપકો આપતાં માઠુ લાગી જતાં તેણે આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

જાણવા મળ્યા મુજબ સાંજે યશ્વી અને ઘરના સભ્યો ઉપરના રૂમમાં હતાં ત્યારે યશ્વી નીચે ગઇ હતી. થોડા સમય પછી પરિવારજનો નીચે આવતાં તેણી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં દેકારો મચી ગયો હતો. બેભાન હાલતમાં તેને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર યશ્વી બે બહેન અને એક ભાઇમાંમોટી હતી. તેના પિતા ચેતનભાઇ ગેરેજમાં કામ કરે છે. માતાએ સાંજે રસોઇ બનાવવા માટે યશ્વીને ઠપકો આપતાં તેને માઠુ લાગી ગયું હતું અને આ પગલુ ભરી લીધું હતું. યુવાનીના ઉંબરે પગ મુકી રહેલી આશાસ્પદ દિકરીના આ પગલાથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:14 am IST)