Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જળ અભિયાનઃ રાજકોટ તાલુકાના ખેરડી ગામના ૬૦ ખેડુતો માટે સોના જેવુ સાબીતઃ ૩૦૦ એકર જમીનનો ફાયદો

ધોળકી તળાવ છલકાયું: ૬૦ કૂવામાં નવા પાણી આવ્યાઃ મોલાત બચી જશે..

રાજકોટ, તા.૯: સુજલામ સુફલામ જળ અભિયાન રાજકોટ તાલુકાના ખેરડી ગામના ૬૦ જેટલા ખેડૂતો માટે સોના જેવી સાબીત થઇ છે. ગત્ત માર્ચ માસ દરમિયાન રાજકોટ તાલુકાના ખેરડી ગામની સીમમાં આવેલું અને ધોળકી તળાવ નામે ઓળખાતું જળાશય સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન ઊંડુ ઉતારવામાં આવ્યું હતું અને હવે આ જળાશય મોસમના પ્રથમ વરસાદમાં છલોછલ ભરાઇ જતાં આસપાસની ૩૦૦ એકર જેટલી જમીનને ફાયદો થયો છે.

ખેરડી ગામના જળ અભિયાનમાં સહભાગી બનવા માટે રાજકોટ શહેરમાં કાર્યરત ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળીએ તત્પતા દાખવી હતી અને તેને રાજકોટ શહેર-૨ પ્રાંત અધિકારી શ્રી જસવંત જેગોડાએ તુરંત પ્રતિસાદ આપી ઉકત તળાવ ઊંડુ ઉતારવા મંજૂરી આપી હતી. ગત્ત્। ઉનાળા દરમિયાન અહી જરૂરત મુજબના બૂલડોઝર ધોળકી તળાવને ઉંડ ઉતારવાના કામે લાગી ગયા હતા. તળાવમાંથી નીકળતી માટી વિનામૂલ્યે ૨૦થી ૨૫ ખેડૂતોને આપવામાં આવી હતી. આ માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં નાખી હતી.

લાગલગાટ ચાલેલા કામ દરમિયાન ૩૩૦૦ ઘન ફૂટ જેટલી માટી ખોદી કાઢવામાં આવી હતી. એનો સીધો અર્થ થયો કે તળાવની એટલી જળસંગ્રહ ક્ષમતા વધી હતી. તળાવના ખોદકામ દરમિયાન નીકળેલી કેટલીક માટીથી તળાવના પાળા પણ મજબૂત કરવામાં આવ્યા.

 આ વર્ષાઋતુમાં પડેલા મોસમના પ્રથમ અને એ વિસ્તારના સારા વરસાદને પગલે આખું તળાવ છલકાઇ ગયું. પ્રથમ વરસાદ હતો એટલે પાણી પણ સીધુ જમીનમાં ઉતર્યું. તેમ કહેતા ગામના અગ્રણી શ્રી શિવલાલભાઇ પીપળિયાએ ઉમેર્યું કે, ધોળકી તળાવના કારણે આસપાસની વાડીમાં આવેલા ૬૦ જેટલા કૂવામાં નવા પાણી આવ્યા છે. વરસાદ ખેંચાતા પાણીની જરૂરત ઉભી થઇ છે. એવા સમયે જ આ તળાવના કારણે કૂવા જીવતા થતાં મોલાતને બચાવી શકાશે. આ તળાવની કામગીરી માટે ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળી દ્વારા રૂ. એક લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. જેમાંથી આ કામગીરી કરવામાં આવી છે.

તેમણે એમ પણ કહ્યું કે રાજય સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન યોજના કારણે જળાશયો ઊંડા ઉતારવામાં આવ્યા તે ખેડૂતો માટે સારી બાબત છે. વરસાદી પાણીનો સારી રીતે સંગ્રહ થઇ શકયો છે. ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળીના પ્રાયોજક અને પૂર્વ ધારાસભ્ય શ્રી ટપુભાઇ લિંબાસિયાએ પણ આ અભિયાનની પ્રશંસા કરી પોતાની મંડળી દ્વારા કાગદડીમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ બિનઅનામત આયોગના શ્રી હંસરાજભાઇ ગજેરા, રોહિતભાઇ પીપળીયા, કિરણભાઇ ડોબરિયા, વલ્લભભાઇ પીપળિયા,  જીવણભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 pm IST)