News of Tuesday, 9th July 2019
જ્યાં હત્યા થઇ તે નવાગામ આરએમસી કવાર્ટર, સંડાસમાં પડેલો દિલીપ કોળીની કોહવાયેલો મૃતદેહ, ઘટના સ્થળે લોકો, પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૯: શહેરના કુવાડવા રોડ પર નવાગામ આવાસ કવાર્ટરમાંથી ગત સાંજે કોહવાયેલી દૂર્ગંધ મારતી એક યુવાનની લાશ મળી આવતાં બી-ડિવીઝન પોલીસ હરકતમાં આવી હતી અને બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. હત્યાનો ભોગ બનનારનું નામ દિલીપ હમિરભાઇ પરમાર (કોળી) (ઉ.૪૩) હોવાનું અને તે નવાગામમાં સુરેશ દરજીના આવાસ કવાર્ટરમાં કુસુમ નામની કોળી વિધવા સાથે રહેતો હોવાનું ખુલ્યું હતું. હત્યા પાછળ 'એક ફુલ દો માલી' જેવું કારણ બહાર આવી રહ્યું છે. દિલીપ સાથે રહેતી કુસુમને હવે કેટલાક સમયથી જશા નામના કોળી શખ્સ સાથે નીકટતા થઇ જતાં આ કારણે દિલીપ અને કુસુમ વચ્ચે જશાને કારણે ઝઘડા શરૂ થયા હતાં અને વાત હત્યા સુધી પહોંચી હતી. હત્યામાં કુસુમ, જશો તથા કવાર્ટર માલિકની પણ સંડોવણી હોવાની પ્રાથમિક શકયતા સામે આવી છે.
વિગત એવી છે કે નવાગામ આવાસ કવાર્ટર બ્લોક નં. ૨૧/૨૬૭૫ બંધ હોઇ અને તેમાંથી અસહ્ય દૂર્ગંધ આવતી હોઇ પડોશીઓએ કવાર્ટર માલિક સુરેશ દરજીને ફોનથી જાણ કરતાં તે સાંજે ઘરે આવ્યા હતાં અને કવાર્ટર ખોલીને જોતાં સંડાસમાંથી દિલીપ પરમારની કોહવાયેલી લાશ મળી આવતાં તેણે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પી.આઇ. આર. વાય. રાવલ, પીએઅસાઇ ડામોર, એએસઆઇ યુ. બી. પવાર, હેડકોન્સ. ખોડુભા જાડેજા, વિરમભાઇ ધગલ, વિજયગીરી, એભલભાઇ બરાલીયા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી કોહવાઇ ગયેલી દિલીપ પરમારની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. છાતીમાં છરી કે તિક્ષ્ણ હથીયારના ઘા હોય તેવા નિશાન દેખાય છે. જો કે પોસ્ટ મોર્ટમ બાદ સાચી વિગતો બહાર આવશે.
પોલીસે કવાર્ટરના માલિક સુરેશ દરજીની જ ઉલટ પુછતાછ કરતાં કેટલીક માહિતી બહાર આવતાં તેના આધારે હત્યામાં દિલીપની પ્રેમિકા કોળી વિધવા મહિલા કુસુમ તથા કુસુમ સાથે કેટલાક દિવસથી સંપર્કમાં આવેલો બીજો એક જશા નામનો કોળી શખ્સ સામેલ હોવાનું જણાયું છે. દિલીપ પરમાર (ઉ.૪૩) મુળ જામનગર શંકર ટેકરીનો વતની હતો. કુસુમ કેટલાક સમયથી સુરેશ દરજીના કવાર્ટરમાં દિલીપ સાથે જ રહેતી હતી અને બંને વચ્ચે નિકટ સંબંધો હતો. એ દરમિયાન થોડા સમયથી આ બંનેની વચ્ચે જશો આવ્યો હતો. તેની સાથે કુસુમને રિલેશન હોવાની દિલીપને શંકા ઉપજતાં ઝઘડા શરૂ થયા હતાં. આ કારણે ચારેક દિવસ પહેલા કુસુમ અને જશાએ મળી દિલીપનું કાસળ કાઢી નાંખ્યાની શકયતા છે.
બીજી તરફ આ વાતથી કવાર્ટર માલિક સુરેશ દરજી પણ વાકેફ હોવાનું અને ઘટનાની જાણ કુસુમે જ તેને કરી હોવાનું પણ ચર્ચાતું હોઇ પોલીસે તેની વિશેષ પુછતાછ યથાવત રાખી ભાગી ગયેલી કુસુમ અને બીજા કોળી શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરશે.