Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ચંદ્રેશનગરમાં રજપૂત ભાઇઓ પર પૈસાની લેતી-દેતી મામલે ધોકા-પાઇપથી હુમલો

ઉછીના આપેલા નાણા પાછા માંગતા મહિપતસિંહ ભટ્ટી સહિતના તૂટી પડ્યાનો આરોપ

રાજકોટ તા. ૯: ચંદ્રેશનગરમાં રહેતાં કારખાનેદાર સોરઠીયા રજપૂત આધેડ તથા તેના નાના ભાઇ પર કોૈટુંબીક સગાએ ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે ખસેડાયા છે. પૈસાની ઉઘરાણી બાબતે આ માથાકુટ થયાનું ખુલ્યું છે.

ચંદ્રેશનગર-૨માં રહેતાં સુનિલસિંહ નવલસિંહ ભટ્ટી (ઉ.૪૭) તથા તેના ભાઇ મનિષસિંહ નવલસિંહ ભટ્ટી (ઉ.૪૦) ઘર નજીક ચોકમાં હતાં. ત્યારે મહિપતસિંહ અજીતસિંહ ભટ્ટી ઉર્ફ ભકો અને તેના પુત્ર તથા અજાણ્યા ત્રણ-ચાર જણાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુનિલસિંહને ફર્નિચરનું કારખાનુ છે. તેના કહેવા મુજબ તેણે સાતેક વર્ષ પહેલા કોૈટુંબીક સગા મહિપતસિંહને સારવાર માટે જરૂર ઉભી થતાં દસ લાખ ઉછીના આપ્યા હતાં. આ રકમની હવે પોતાને જરૂર હોઇ ઉઘરાણી કરતાં હુમલો થયો હતો. (૧૪.૧૨)

(4:20 pm IST)