Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નવલનગરના ભરવાડ યુવાન મારૂતિની હત્યાથી ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

૩૧મીએ વાહન દૂર હટાવવા મામલે પડોશી બોરીચા પરિવારે હુમલો કરતાં મારૂતિ અને તેના ભાઇ લખન મેવાડાને ઇજા થઇ'તીઃ હત્યારા લાલો અને સંજય બોરીચા હજુ ફરાર

રાજકોટ તા. ૯: નવલનગર-૩/૧૮ના ખુણે રહેતાં લક્ષમણ ઉર્ફ લખન સુરેશભાઇ મેવાડા (ભરવાડ) (ઉ.૩૪) તથા તેના નાના ભાઇ  મારૂતિ સુરેશભાઇ મેવાડા (ઉ.૨૮) ઉપર ૩૧મીએ પડોશમાં જ રહેતાં નામચીન બોરીચા પરિવારે છરીથી હુમલો કરતાં મારૂતિના આંતરડા બહાર નીકળી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. તેના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

માલવીયાનગર પોલીસે લક્ષમણ ઉર્ફ લખનની ફરિયાદ પરથી તેના પડોશી કાનો ઉર્ફ લાલો ડાયાભાઇ બોરીચા, સંજય ડાયાભાઇ બોરીચા, ડાયા બોરીચા, હંસા ડાયા બોરીચા અને તેના સગા નાગજી વરૂ સામે આઇપીસી ૩૦૭, ૩૨૬, ૧૪૩, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ મંડળી રચી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા સબબ ગુનો નોંધ્યો હતો. જેમાં ડાયા બોરીચા, હંસા બોરીચા અને નાગજી વરૂની ધરપકડ કરી લેવાઇ હતી.

લક્ષમણને પોતાની કાર પાર્ક કરવી હોઇ પડોશી લાલા બોરીચાના ઘરે આવેલા શખ્સોના મોટરસાઇકલો આડેધડ પાર્ક કરાયા હોઇ જે પોતે હટાવતો હતો ત્યારે કાનો ઉર્ફ લાલો ધસી આવ્યો હતો અને વાહનો શું કામ હટાવ્યા કહી છરીથી તૂટી પડતાં લક્ષમણ તથા નાના ભાઇ મારૂતિને ગંભીર ઇજા પહોંચી હતી. કાના સાથે તેનો ભાઇ, માતા-પિતા સહિતનાએ પણ હુમલો કર્યો હતો.

સારવાર દરમિયાન ગત રાત્રે મારૂતિ મેવાડાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યાનો ભોગ બનનાર બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જે પિતા વિહોણા થતાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે ફરાર એવા કાનો ઉર્ફ લાલો અને સંજય બોરીચાની શોધખોળ આદરી છે. માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી, અરૂણભાઇ બાંભણીયા તથા ડી. સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

(12:59 pm IST)