Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ધો-૧૨ના છાત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી રોડ પર મહાશકિત પાર્કમાં બનાવઃ માતા સવારે પાંચ વાગ્યે ઉઠીને અગાસીએથી નીચે આવ્યા ત્યારે ૧૭ વર્ષનો દિકરો હર્ષ રૂમમાં લટકતો મળ્યોઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૯: જુના મોરબી રોડ પર મહાશકિત પાર્કમાં રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સગર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મહાશકિત પાર્કમાં હર્ષ રાજેશભાઇ કારેણા (ઉ.૧૭)એ ઘરમાં પંખામાં સાડી બાંધી ગળફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર હર્ષ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને એક બહેનથી નાનો હતો. તે કુવાડવા રોડ પર આવેલી નક્ષત્ર વિદ્યાલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. આ વર્ષે જ તેણે બારમા ધોરણમાં પ્રવેશ લીધો હતો.

પરિવારના બધા લોકો રાત્રે અગાસી પર સુતા હતાં. હર્ષએ વહેલી સવારે કે મોડી રાત્રે નીચે આવી રૂમ અંદરથી બંધ કરી લઇ આ પગલુ ભરી લીધુ હતું. તેના માતા સવારે પાંચ વાગ્યે ઉઠીને નીચે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં નહિ ખોલાતાં પડોશીએ અગાસીએથી રૂમની બારીમાંથી જોતાં હર્ષ લટકતો જોવા મળતાં દરવાજો તોડવામાં આવ્યો હતો. એકના એક દિકરાના મોતથી માતા-પિતા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.

હર્ષ અભ્યાસ કરવા સાથે ઇમિટેશનનું કામ પણ કરતો હતો. તેના પિતા મજૂરી કરે છે. મુળ ગોંડલનો આ પરિવાર વર્ષોથી રાજકોટ સ્થાયી થયો છે. (૧૪.૬)

(4:24 pm IST)