Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટમાં પુરાતત્વ વિભાગની કચેરી કાર્યરત

જુની કલેકટર કચેરી પાસે જગ્યા ફાળવાઇ : જયાબેન ફાઉન્ડેશન દ્વારા વર્ષો વર્ષ થતી રજુઆતો ફળીઃ પુરતો સ્ટાફ ફાળવી જાળવણીનું કાર્ય આગળ વધારાશે તો પ્રાચીન સંસ્કૃતિની ધરોહરો સુરક્ષિત બનશે

રાજકોટ તા. ૮ : રાજકોટમાં જુની કલેકટર કચેરી ખાતે પુરાતત્વ વિભાગની કચેરી શરૂ કરાતા વર્ષો જુની માંગણી સંતોષાઇ છે.

ગુજરાત સરકારની પુરાતત્વ વિભાગની રાજકોટ સર્કલ ઓફીસ હેઠળ દસ જિલ્લા અને આશરે ૧૮૦ રક્ષીત સ્મારકની જવાબદારી છે. ત્યારે લાંબા સમયથી સ્ટાફ વગર આ કચેરી નિસ્ક્રીય હાલતમાં ધુળ ખાઇ રહી હતી.

ફકત ૧ ચોકીદાર કાર્યરત છે. અતિ મહત્વના વિશ્વ પ્રસિધ્ધ પ્રાચીન સ્મારકો જેવમ કે બૌધ્ધ ગુફા ખંભાલીડા (૧૮૦૦ વર્ષ પ્રાચીન), હરપ્પન સંસ્કૃતિનું શોધાયેલ કિલ્લેબંધ નગર રોજડી (૪૫૦૦ વર્ષ પ્રાચીન), સોમનાથ મહાદેવ પાસે આવેલ સૂર્ય મંદિર (નગરાના ટીંબા ઉપર આવેલ ૭૫૦ વર્ષ પ્રાચીન) ની યોગ્ય જાળવણી સામે અનેક સવાલો ઉભા થયા થયા હતા.

પ્રાચિન સંસ્કૃતિ બચાવ અભિયાન ચલાવતા જયબેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા રાજય સરકારને વર્ષોથી જાળવણી માટે પુરતો સ્ટાફ ફાળવવા રજુઆતો કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા 'અકિલા' માં પ્રસિધ્ધ થયેલ આ અંગેના અહેવાલો ધ્યાનમાં આવતા મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી મુકેલ હતી. સક્ષમ પુરાતત્વ વિભાગની કચેરી રાજકોટને ફાળવવા ધ્યાન દોરેલ. જે માંગણી હવે સંતોષાઇ હોય તેમ જુની કલેકટર કચેરી ખાતે પુરાતત્વ વિભાગનું કચેરી કાર્યરત કરવામાં આવતા વર્ષો જુના પ્રશ્નનો હલ આવ્યો છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રાચીન સંસ્કૃતિના સેંકડો સ્થળો શોધાયેલા છે. આ શોધાયેલા સ્થળોની યોગ્ય જાળવણી ખુબ જરૂરી હોય છે. ત્યારે રાજકોટ ખાતે જુની કલેકટર કચેરી ખાતે  શરૂ થયેલ આ પુરાતત્વ વિભાગની કચેરીમાં પુરતો ટેકનીકલી સ્ટાફ ફાળવવામાં આવે અને નવા સંશોધનોને વેગ આપવા તથા થયેલા સંશોધનોની જાળવણી કરવામાં આવે તેવી લાગણી જયાબેન ફાઉન્ડેશન દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છેક ે પુરાતત્વવિદ્દ શ્રી પી. પી. પંડયાએ પ્રાગૈતિહાસિક આધ્યા ઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સ્થળો સૌરાષ્ટ્રના શોધેલા છે એન જે સરકારના રેકર્ડ પર બોલે છે. ગુજરાતમાં અન્ય ઘણા રાજયોની જેમ પ્રાચીન સંસ્કૃતિની નોંધનીય જાળવણી તેના વિસ્તારનો વિકાસ હવે થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. વિશ્વના ૭ થી ૮ દેશોમાં જ હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિ શોધાયેલ છે ત્યારે આપણો દેશ તે હરળોમાં આવતો હોય ખુશીની વાત છે. ગુજરાતના ગૌરવપ્રદ સ્થળોની જાળવણી થશે તો આવનારી પેઢીને તે અંગે જાણકારી મળતી રહેશે. આ પુરાતત્વ કચેરી સંપૂર્ણપણે કાર્યરત બને અને આપણા વારસાની જાળવણી કરે તેવી આશા અંતમાં પરેશભાઇ પંડયા (મો.૯૪૨૯૫ ૭૧૬૬૩) એ વ્યકત કરી છે.

(3:59 pm IST)