રાજકોટ તા.૯: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના (COVID 19)એ રીતસર તબાહી મચાવી દીધી છે અને કોરોના કહેર વચ્ચે તકેદારી માટે કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૪/૪/૨૦૨૦ સુધી અપાયેલા ૨૧ દિવસના લોકડાઉનને હજુ આશરે સાતેક દિવસ લંબાવવાની ચર્ચા છે ત્યારે રાજકોટમાં વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી જીવનજરૂરી આર્યુવેદિક દવાઓનો એક અઠવાડીયુ ચાલે તેટલો સ્ટોક ઉપલબ્ધ હોવાનું રાજકોટ આર્યુવેદિક એસોસિએશનના હોદ્દેદારોએ અકિલાને જણાવ્યુ હતું.
સ્થાનિક રાજકોટમાં કુલ ૭૫ વેપારીઓ (રીટેઇલર્સ-હોલસેલર્સ) સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા અંદાજે ૫૫૦ જેટલા આર્યુવેદિક દવાના વેપારીઓ હાલમાં અમદાવાદ - વડોદરા - મુંબઇ વિગેરે સ્થળોએથી દવાનો માલ સમયસર ન આવતા મુશ્કેલીમાં મૂકાયા હોવાનું જાણવા મળે છે. જો કે વેપારીઓ કસ્ટમર્સને આપવાની થતી પોતાના પાસે ન હોય તેવી ઘટતી દવાઓ એકબીજા પાસેથી લઇ હાલમાં 'વાટકા વ્યવહાર' સાચવી રહ્યા છે.
પરંતુ જો હવે ટુંક સમયમા આર્યુવેદિક દવાઓની સપ્લાય શરૂ નહી થાય અને આર્યુવેદિક દવાના જરૂરીયાત અને માંગ મુજબના મેન્યુફેકચરીંગને સરકાર તાત્કાલિક છુટ નહિ આપે તો ચિંતાભરી સ્થિતી સર્જાવાનો ભય રાજકોટ આર્યુવેદ એસોસીએશનના પ્રમુખ અકબરભાઇ પટેલ તથા કારોબારી મેમ્બર વિશાલભાઇ પાબારીએ વ્યકત કર્યો હતો.
ખાસ કરીને ભારત સહિત સમગ્ર વિશ્વ દિવસે-દિવસે આર્યુવેદિક ઉપચાર તરફ વળતુ જાય છે અને કેન્દ્ર સરકારનું આયુષ મંત્રાલય પણ સક્રિય છે ત્યારે લાઇફડીઝીઝ જેવા કે કીડની,લીવર, કેન્સર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વિગેરેમાં આર્યુવેદિક દવાઓ હાલમાં ખૂબ મોટા પ્રમાણમાં લેવાઇ રહી છે. આવી બધી લાઇફડીઝીઝને લગતી દવાઓ વહેલાસર દરેક વેપારી પાસે અવેલેબલ થઇ જાય તે ઈચ્છનીય છે.
માત્ર રાજકોટમાં જ લાઇફડીઝીઝની કાયમી આર્યુવેદિક દવા લેતા દર્દીઓનો આંક આશરે દોઢ લાખથી પણ વધુ છે. સમગ્ર ગુજરાતમાં તો આ આંકડો લાખોનો હોઇ શકે છે. આ સિવાય અન્ય લોકો સામાન્ય ગણાતી તકલીફો માટે આયુવેદિક દવાઓ લેતા હોય તે અલગ. ઘણા લોકો તો પાચન , તાવ, શરદી, ગેસ-વાયુ, કબજીયાત વિગેરેની તકલીફોમાં નિયમીત રીતે આર્યુવેદિક દવાઓ લેતા જોવા મળે છે. લોકડાઉનના સમયમાં હાલમાં ઘણાં લોકોની માનસિક સ્થિતી ડામાડોળ છે ત્યારે મેન્ટલી અને ફીઝીકલી સ્વસ્થ રહેવા પણ લોકો પ્રાચીન ઔષધી ગણાતી આર્યુવેદિક દવાઓ લેતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં સરેરાશ એક વ્યકિત તો એક યા બીજી રીતે આર્યુવેદિક દવા લેતો હોવાનું જોવા મળે છે.
કેન્સરમાં કિમોથેરાપી પુરી થયા પછી તજજ્ઞો-ડોકટર્સના મતે આર્યુવેદિક દવાઓ (આર્યુવેદ ટ્રીટમેન્ટ) એક દિવસ ચુકયા વગર સતત લેવી જરૂરી હોવાનું સંભળાય છે. ઉપરાંત કીડનીના ડાયાલીસીસ દરમ્યાન ડાયાલીસીસ પછી પણ આર્યુવેદિક દવાઓના પરિણામો અસામાન્ય હોવાનું તજજ્ઞો કહી રહ્યા છે.
હાલની લોકડાઉનની સ્થિતીમાં પ્રખ્યાત અને અગ્રણી આર્યુવેદિક કંપનીઓ- ફાર્મસી જેવી કે ઝંડુ, ડાબર, બૈધનાથ, સાન્ડુ,ઉંઝા, વિર્ગો, લાયન, હરીનારાયણ વિગેરે કંપનીના ડેપો બંધ હોય અથવા તો અંશતઃ ચાલુ હોય, આર્યુવેદિક દવાઓ મેળવવામાં વેપારીઓને હાલમાં ઘણી બધી અગવડતા પડતી હોવાનું જાણવા મળે છે. કંપનીના ડેપો વહેલાસર શરૂ થાય અને આર્યુવેદિક દવાઓનો પુરવઠો સતત જળવાઇ રહે તેવું રાજકોટ આર્યુવેદ એસોસિએશનના પ્રમુખ અકબરભાઇ પટેલ, ઉપપ્રમુખ ભાવિકભાઇ રાવલ, મંત્રી અલ્કેશભાઇ કામદાર તથા વિશાલભાઇ પાબારી સહિતના તમામ કારોબારી મેમ્બર્સ ઈચ્છી રહ્યા છે.
સુદર્શન તથા ગીલોય ટેબલેટની શોર્ટેજ
હાલમાં કોરોના સામે લડવામાં માણસની રોગપ્રતિકારક શકિત (ઇમ્યુનિટી પાવર) ઉંચી અને સારી હોવી જરૂરી છે ત્યારે આયુર્વેદમાં સુદર્શન અને ગીલોય લેવાથી રોગપ્રતિકારક શકિત વધતી હોવાનું તજજ્ઞો કહી રહ્યા છે. જેને કારણે હાલમાં બજારમાં સુદર્શન તથા ગીલોય ટેબલેટની શોર્ટેજ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે બંનેના ચૂર્ણ બજારમાં અવેલેબલ હોવાનું જાણવા મળે છે.
નિયમિત ઉપયોગમાં લેવાતી આયુર્વેદિક દવાઓ
(૧) હરડે
(ર) ત્રિફલા
(૩) સિતોપલાદી
(૪) તુલસી ઘનવટી અને પાવડર
(પ) ગળો ઘનવટી
(૬) લક્ષ્મી વિલાસ રસ
(૭) સુદર્શન
(૮) પંચારીષ્ટ
(૯) શંખવટી
(૧૦) બાલગુટી
(૧૧) મધ
(૧ર) ચ્યવનપ્રાસ
કેન્સર તથા કીડની માટે ઉપચારક આયુર્વેદિક ઔષધિઓ
-કેન્સર માટે
(૧) કાંચનાર ગુગળ અને છાલ
(ર) રગત રોહિડો
(૩) CRUEL PLUS Cap
(૪) CARCOWIN Cap
-કિડની માટે
(૧) ચંદ્રપ્રભા
(ર) નિરી KFT સિરપ
(૩) પુનર્નવાદી કવાથ
આ ઉપરાંત ગૌમૂત્ર અર્ક, નિત્યાનંદ રસ, ઓકેન ટેબલેટ કે પછી અન્ય દવાઓ પણ દર્દીઓને જરૂરીયાત મુજબ અપાતી હોય છે. કોઇપણ દવા ડોકટર્સની સલાહ વગર લેવી જોખ્મી છે.
હાલમાં લોકડાઉન વચ્ચે આયુર્વેદિક તથા જેનેરીક મેડીકલ સ્ટોર્સને પણ તંત્ર દ્વારા 'ફ્રી હોમ ડીલીવરી'ના લીસ્ટમાં રાખવા જોઇએ
લોકો લોકડાઉનનું પાલન કરે અને મોટેભાગે ઘરમાં જ રહે તે માટે ગઇકાલે તંત્ર દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારમાં આવેલ એલોપેથીક દવાઓ વેચતા પાંચ મેડીકલ સ્ટોર્સને 'ફ્રી હોમ ડીલીવરી'ના લીસ્ટમાં મુકયા છે. આવી જ રીતે આયુર્વેદિક દવાઓ તથા સરકારી સ્ટોર્સ ઉપરથી જેનેરીક દવાઓ નિયમિત રીતે લેતા હોય તેવા પણ રાજકોટમાં લાખો લોકો છે. માટે આ તમાામ લોકોને પણ ઘર બેઠા દવાઓ મળી રહે અને સાથે સાથે લોકડાઉનનું પણ ચુસ્ત પાલન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલીક આયુર્વેદિક મેડીકલ તથા જેનેરીક મેડીકલ સ્ટોર્સને રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી 'ફ્રી હોમ ડીલીવરી'ના લીસ્ટમાં મુકવા જોઇએ તેવું રાજકોટ આયુર્વેદ એસો. ના પ્રમુખ અકબરભાઇ પટેલે તથા જેનેરીક મેડીકલ સ્ટોરના અગ્રણી વેપારીએ જણાવ્યું છે. રાજકોટ આયુર્વેદ એસો. તો દવાઓ સંદર્ભે રાઉન્ડ ધ કલોક વોટસએપ ગ્રુપ કે પછી હેલ્પલાઇન પણ શરૂ કરવા તત્પર હોવાનું જાણવા મળે છે.