Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કચ્છની તમામ સ્કુલો વચ્ચે એક આધુનિક રસોડા વિકસાવવુ જરૂરી : દિનેશ કારીયા

સસ્તા અનાજના દુકાનદારો, મધ્યાહન ભોજન, આંગણવાડીની કામગીરી અર્થે ભુજમાં મળી ગયેલ સમિક્ષા બેઠક

રાજકોટ : ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય દિનેશભાઇ કારીયાની અધ્યક્ષતામાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં 'રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩' ના અમલીકરણના અનુસંધાને જિલ્લામાં  જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીની અદ્યતન પરિસ્થિતી તથા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોની કામગીરીની રાષ્ટ્રીય અન્ન કાયદા ૨૦૧૩ સંદર્ભે ચર્ચા વિચારણા કરવા માટેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. બેઠક સંબોધતા દિનેશભાઇ કારીયાએ જણાવેલ કે કચ્છ જિલ્લામાં કુલ ૬૬૫ સસ્તા અનાજની દુકાનો આવેલ છે જેમાંથી ૧૨૦ દુકાનના લાઇસન્સ કોઇ કારણસર બંધ કરાતા તેમના ગ્રાહકોને અન્ય દુકાનેથી વિતરણ વ્યવસ્થામાં સમાવી લેવાયા છે. નવા લાયસન્સની કાર્યવાહી પણ ઝડપથી આટોપવા તેઓએ સુચન કરેલ. સ્વૈચ્છીક રાજીનામુ આપેલ હોય તેમનો પણ ત્વરીત નિર્ણય કરી નવા લાયસન્સની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવેલ. જિલ્લામાં આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લીન્કઅપ કરવાનું કામ ૯૩ ટકા પૂર્ણ થયેલ હોય તે બાબતે અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન મધ્યાહન ભોજન બાબતે ચર્ચા કરી જિલ્લામાં કુલ ૧૦ તાલુકા હોય કચ્છ જિલ્લામાં એક તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે વિકસાવી આધુનિક રસોડુ બનાવી તમામ સ્કુલો સુધી ભોજન પહોંચતુ થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા કરવા પણ દિનેશભાઇ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫) એ સુચન કરેલ. આંગણવાડીની કાર્યપધ્ધતી વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને ફલેવર્ડ મિલ્ક અને સેરેલેક ટાઇપ ટેસ્ટ આધુનિક પેકીંગમાં પીરસવા ટુંક સમયમાં ડેરીઓ સાથે સંકલન સાધવા અંગેની જાણકારી પણ આ બેઠકમાં અપાઇ હતી. નાના ભુલ્કાઓ પ્રત્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતાનું દ્રષ્ટાંત આપી બિરદાવવામાં આવેલ. આ બેઠકમાં કલેકટર શ્રી રમૈયા મોહન મેડમે દિનેશભાઇ કારીયાનું સ્વાગત કરેલ. ડી. ડી.ઓ. સી.જે. પટેલ, આર.ડી.સી. ડી.આર. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી આર. જે. જાડેજા, કચ્છ જિલ્લા અગીયાર તાલુકાના મામલતદારશ્રીઓ અને મધ્યાહન ભોજન અને આંગણવાડી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:05 pm IST)