Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

શાદીમાં જવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં સળગેલી હાથીખાનાની સુફીયા બ્લોચનું મોત

રાજીવનગરની યુવતિના એક વર્ષ પહેલા લગ્ન થયા હતાં: ત્રાસનો આક્ષેપ

રાજકોટ તા. ૯: હાથીખાના-૧૦માં રહેતી સુફીયા વસીમ બ્લોચ (ઉ.૨૩) તા. ૨૬ના રોજ દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રજા લીધી હતી અને ગઇકાલે ફરીથી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પહેલા અકસ્માતે દાઝી ગયાનું જણાવાયું હતું. પણ હવે ત્રાસ હોવાનો આક્ષેપ માવતર પક્ષે કર્યો છે.

સુફીયા ૨૬મીએ સાંજે દાઝી જતાં સિવિલમાં ખસેડાઇ હતી. અહિ પ્રાથમિક પુછતાછમાં કેરોસીન ઢોળાયુ ત્યારે અગરબત્તીનો તીખારો પડતાં ભડકો થયાનું જણાવાયું હતું. બાદમાં પરમ દિવસે સિવિલમાંથી રજા લઇ લેવાઇ હતી. ગત સાંજે ફરીથી તેને અહિ દાખલ કરવામાં આવી હતી. પણ સારવારમાં દમ તોડી દીધો હતો.

મૃત્યુ પામના સુફીયા બે ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતી. તેના માવતર રાજીવનગરમાં રહે છે. સુફીયા પતિ વસીમ સાથે હાથીખાનામાં રહેતી હતી. તેના સાસુ-સસરા જંગલેશ્વરમાં રહે છે. મૃતકના ભાઇ જાવેદ બ્લોચે જણાવ્યું હતું કે બહેન દાઝી ગઇ ત્યારે તેને જંગલેશ્વરમાં લઇ જવાઇ હતી અને અકસ્માતે દાઝી ગયાનું કહેવા જણાવાયું હતું. આથી જે તે દિવસે તેણીએ અકસ્માતે દાઝયાનું લખાવ્યું હતું. પણ હકિકતે તેણીને શાદીમાં જવું હોઇ પતિએ ન જવા દઇ ઝઘડો કરતાં તેણી જાતે જ સળગી ગઇ હતી. પતિ-સાસુનો નાની-નાની વાતે ત્રાસ પણ હોવાનો આક્ષેપ જાવેદે કર્યો છે અને પોતે ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું હતું. એ-ડિવીઝનના પીએસઆઇ એ. જી. અબાસણા અને પ્રવિણભાઇ વધુ તપાસ કરે છે. (૧૪.૫)

 

(11:54 am IST)