Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રણુજાનગરમાં જિંદગીથી કંટાળી અમીત ઉમરાણીયાનો આપઘાત

કૌટુંબીક ભાઇ ઘરે આવતા યુવાન લટકતી હાલતમાં નજરે પડયો : પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા. ૮ : હુડકો ચોકડી પાસે રણુજાનગરમાં રહેતા યુવાને જિંદગીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રણુજાનગર શેરી નં. ૧૪માં રહેતા અમીત ચંદુભાઇ ઉમરાણીયા (ઉ.વ.૨૯) એ પોતાના ઘરે લોખંડના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો બહાર ગયા હોઇ, ફોન કરતા અમીતે ફોન ન ઉપાડતા તેના કાકાનો દીકરો ઘરે આવ્યો ત્યારે રૂમનો દરવાજો બંધ હતો, તેણે દરવાજો ખખડાવતા ન ખોલતા તેણે રૂમની પાછળ નવેરામાં જઇને દરવાજો ખોલતા અમીતને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી આરતીબેન સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ કાળુભાઇ ગામેતી તથા રાઇટર ભગીરથસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક અમીત લુહારી કામ કરતો હતો. તેણે જિંદગીથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બીમારી સબબ રાજેશભાઇનું મોત

 કોઠારીયા રોડ પર વિવેકાનંદનગર શેરી નં. ૨માં રાજેશભાઇ પ્રાગજીભાઇ પાનસુરીયા (ઉ.૪૫) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રસીકભાઇ ગઢાદરા તથા રાઇટર મીહીરસિંહે કાર્યવાહી કરી હતી.

(3:04 pm IST)