Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દિવાળીના પર્વ ઉપર ટ્રેનમાંથી મહિલા મુસાફરના ૪II લાખની મતા સાથેના પર્સની ઉઠાંતરીનો ભેદ ખુલ્યોઃ કિશોર સકંજામાં

ક્રાઇમ બ્રાન્ચના અભિજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ અને અશોક ડાંગરની બાતમીના આધારે ૮૦ ફુટ રોડ એચડીએફસી બેંક પાસેથી ઉઠાવી લેવાયોઃ સોનાના આભુષણો સહિત ૪.૬૬ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ૭: દિવાળીના આગલા દિવસે પોતાના વતન જુનાગઢના માણાવદર  જઇ રહેલા રાજકોટના મશરૂ દંપતીના ૪ાા લાખથી વધુની મતા સાથેના પર્સની ઉઠાંતરીનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી એક કિશોરને સકંજામાં લઇ ૪ લાખ ૬૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસમેન અભીજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ અને અશોકભાઇ ડાંગરની બાતમીના આધારે પીઆઇ એચ.એમ.ગઢવી, રાજેશ બાળા, પ્રદીપસિંહ જાડેજા, રઘુવરસિંહ વાળા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ સહીતના સ્ટાફે આ સફળ કામગીરી કરી હતી.

સોનાની ૪ બંગડી, ર પાટલી, સોનાનો સેટ, સોનાનું મંગળસુત્ર એક નાનુ અને એક મોટુ, સોનાનો સફેદ હીરાજડીત પેન્ડલ સેટ,  સોનાનો મોતીજડીત પેન્ડલ સેટ,  સોનાનો ડોકીયાવાળો સેટ, સોનાની પ્લેટવાળી લક્કી અને બોલ્સવાળી લક્કી, પાટી ડીઝાઇનનો સોનાનો ચેઇન, સોનાની ૩ વીંટી સહિત ર૩૩ ગ્રામ સોનાના દાગીના આશરે ૪ લાખ ૬૬ હજારની કિંમતના કબ્જે કરવામાં આવ્યા છે.

ફરીયાદી દિલીપકુમાર અમૃતલાલ મશરૂ તેમના પત્ની સાથે દિવાળી ઉજવવા માણાવદર જઇ રહયા હતા ત્યારે આ ઉઠાંતરી કિશોરે ભકિતનગર સ્ટેશનથી કોઠારીયા સ્ટેશન સુધીમાં કરી હોવાનું કબુલ્યું છે.

(4:11 pm IST)